ચીન જોતું રહી ગયું, ભારતને નેપાળમાં મળી મોટી કુટનૈતિક જીત
India got diplomatic edge over china in Nepal, sher bahadur deuba sworn as pm amid conflict explain
નેપાળ, 20 જુલાઈ : ભારત અને નેપાળ વચ્ચેના સંબંધો છેલ્લા કેટલાક વર્ષોમાં કથળ્યા છે. ખાસ કરીને નેપાળના પૂર્વ વડાપ્રધાન કેપી શર્મા ઓલીના કાર્યકાળ દરમિયાન બંને દેશોના સંબંધોમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા હતા. ચીન અને નેપાળની વધતી જતી નીકટતા તેનું મુખ્ય કારણ હતું. જે બાદ છેલ્લા એક વર્ષ દરમિયાન નેપાળના રાજકારણમાં ખૂબ જ ઉથલપાથલ હતી. હાલ નેપાળના વડાપ્રધાન શેર બહાદુર દેઉબા છે, જે નેપાળ કોંગ્રેસના અધ્યક્ષ પણ છે. દેઉબાના વડાપ્રધાન બન્યા બાદ ભારતને નેપાળમાં મોટી કુટનૈતિક જીત મળી છે.

નેપાળમાં ભારતને થયો ડિપ્લોમેટિક ફાયદો
નેપાળના વડાપ્રધાન શેર બહાદુર દેઉબાને નેપાળ સંસદમાં વિશ્વાસનો મત મળ્યા બાદ ભારત સાથેના સંબંધોને મજબૂત કરવા તરફના પ્રયત્નોને પ્રથમિકતા આપવાની વાત કરી છે. દેઉબાએ ચીન તરફ પોતાનું વલણ સાફ કરી નાખ્યું છે. દેઉબાએ સ્પષ્ટતા કરી છે કે, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મળીને બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરવા પગલા લેવામાં આવશે. છેલ્લા કેટલાક વર્ષો બાદ આ પહેલીવાર છે, જ્યારે નેપાળે ભારત સાથે સંબંધો સુધારવા હાથ લંબાવ્યો હોય. નેપાળમાં વામપંથી સરકારોએ અત્યાર સુધી ચીન તરફનું વલણ અપનાવ્યું હતું. આવી પરિસ્થિતિમાં નેપાળમાં કોંગ્રેસની સત્તા આવ્યા બાદ ભારતને મોટી કુટનૈતિક જીત હાંસલ છે.

સંબધો સુધારવા માટે નેપાળે કરી પહેલ
નેપાળે ભારત તરફ એક પગલું ભર્યું છે અને ભારતે પણ નેપાળ તરફ બે પગલા લીધા છે. વિશ્વાસનો મત જીત્યા બાદ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેપાળના વડાપ્રધાન દેઉબાને ટ્વિટર પર અભિનંદન પાઠવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટની દખલ બાદ દેઉબા સત્તાવાર રીતે 5મી વખત નેપાળના વડાપ્રધાન બન્યા છે. વડાપ્રધાન દેઉબાનો કાર્યકાળ કેવો રહેશે? શું તેમના વડાપ્રધાન બનવાથી નેપાળમાં રાજકીય અસ્થિરતાનો અંત આવશે? આવા અનેક પ્રશ્નો હજૂ સળગી રહ્યા છે. આવા સમયે શેર બહાદુર દેઉબાને પણ નવા સંજોગોમાં અનેક પડકારોનો સામનો કરવો પડે તે સ્વાભાવિક છે. દેઉબા સામે પડકાર શું હશે? દેઉબાના વડાપ્રધાન બનવાની સાથે નેપાળ અને ભારતના સંબંધો કેવા રહેશે?

ભારત સાથેના સંબંધો મજબુત કરવા મહત્વપૂર્ણ છે : દેઉબા
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અભિનંદનને સ્વીકારીને નેપાળના વડાપ્રધાન દેઉબાએ જવાબ આપ્યો કે, હું બંને દેશો અને લોકો વચ્ચે વધુ મજબૂત સંબંધ સ્થાપિત કરવા માટે તમારી સાથે કામ કરવા ઇચ્છુ છું. ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે સંસદના નીચલા ગૃહને પુનઃ સ્થાપિત કર્યા બાદ નેપાળી કોંગ્રેસ અધ્યક્ષ શેર બહાદુર દેઉબાએ સરળતાથી અન્ય પક્ષોની મદદથી વિશ્વાસનો મત જીતી લીધો છે. આ રીતે નેપાળમાં કોરોના મહામારી વચ્ચે દેશ ચૂંટણીની પ્રક્રિયામાંથી બચી ગયો છે. હવે દેશમાં ચૂંટણીને બદલે છ મહિના માટે સરકાર સુરક્ષિત છે. આ અગાઉ નેપાળમાં નેપાળી કોમ્યુનિસ્ટ પાર્ટીના કેપી શર્મા ઓલીના નેતૃત્વવાળી સરકાર હતી, જે ચીનથી પ્રભાવિત છે. જેના કારણે કેટલાક મુદ્દાઓ પર ભારત અને નેપાળ વચ્ચે સંઘર્ષની સ્થિતિ હતી.

ઓલીના કાર્યકાળ દરમિયાન સંબંધોમાં આવી હતી ખટાશ
નેપાળ અને ભારતના સંબંધો પર નજર કરીએ તો, તે જગ જાહેર છે કે કે. પી. શર્મા ઓલીના કાર્યકાળ દરમિયાન બંને દેશોના સંબંધ કથળ્યા હતા. ઘણા વિવાદાસ્પદ મુદ્દાઓ પર બંને દેશો વચ્ચે સંઘર્ષની સ્થિતિ પણ ઉભી થઈ હતી. ઓલી ચીનના સમર્થક માનવામાં આવે છે, તેમનું વલણ હંમેશા ભારત વિરોધી રહ્યું છે. ઘણી વખત સ્પષ્ટ પણ થઈ ગયું છે કે, ઓલી સીધા ચીનની સૂચનાઓ પર કામ કરી રહ્યા છે. ચીને પણ ઓલીને બચાવવા પોતાના સ્તરે ઘણા પ્રયાસો કર્યા હતા. પહેલા પ્રચંડ અને ઓલીએ સમાધાન કરવાનો પ્રયાસ કર્યો હતો. જે બાદ રાષ્ટ્રપતિ સાથે ચીનના પ્રતિનિધિઓની બેઠક થઈ, પણ નેપાળમાં ઓલીની સરકાર ટકી શકી ન હતી.

નેપાળના વિવાદિત નકશાને મંજૂરી મળી
ઉલ્લેખનીય છે કે, 15 ફેબ્રુઆરી, 2018 ના રોજ કેપી શર્મા ઓલી બીજી વાર નેપાળના વડાપ્રધાન બન્યા હતા. જે બાદ ભારત સાથે નેપાળના સંબંધો તેમના કાર્યકાળ દરમિયાન સૌથી ખરાબ તબક્કો રહ્યો હતો. નેપાળના વિવાદિત નવા નકશાને ઓલી કેબિનેટ દ્વારા 20 મે, 2020 ના રોજ મંજૂરી આપવામાં આવી હતી. ભારત-નેપાળ સંબંધોને બગાડવામાં આ સૌથી મોટું પરિબળ માનવામાં આવે છે. આ નકશામાં નેપાળમાં કલાપાની, લિપુ લેખ અને ભારતના લિમ્પીયાધુરા બતાવવામાં આવ્યા છે. ભારતે આ નકશાની વિરુદ્ધ એક નોટીસ રજૂ કરીને ઐતિહાસિક તથ્યો સાથે ચેડાં કરનારી ચેષ્ટા ગણાવી હતી. હાલ નેપાળના વડાપ્રધાને ચીનને બદલે ભારત સાથેના સંબંધો સુધારવા પર ભાર મૂકવાની વાત કરી રહ્યા છે, જ્યારે નેપાળના રાજકારણને સમજનારા નિષ્ણાંતો કહે છે કે દેઉબાને ભારત તરફી માનવામાં આવે છે અને તેમના વડાપ્રધાન બનવું એ ભારત માટે મોટી કુટનૈતિક જીત છે.












Click it and Unblock the Notifications
