પાકિસ્તાને ખોટું પગલું ભર્યું તો પરિણામ ભયંકર હશે, ભારતની ચેતવણી
ભારતે પાકિસ્તાનના નેતાઓના યુદ્ધ ભડકાવતા તાજેતરના નિવેદનો પર કડક પ્રતિક્રિયા આપી છે.
ભારતે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો પાકિસ્તાન કોઈપણ પ્રકારની ખોટી હરકત કરશે તો તેના પરિણામો અત્યંત ગંભીર અને પીડાદાયક હશે. ભારતે પાકિસ્તાની નેતાઓને તેમની વાણી પર સંયમ રાખવા પણ જણાવ્યું છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે ગુરુવારે યોજાયેલી સાપ્તાહિક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, પાકિસ્તાનના નેતાઓ સતત ગેરજવાબદાર, યુદ્ધ ભડકાવનારા અને નફરત ફેલાવનારા નિવેદનો આપી રહ્યા છે.
તેમણે આ નિવેદનોને ઇસ્લામાબાદની જૂની યુક્તિ ગણાવી છે, જેનો ઉદ્દેશ્ય ભારત વિરુદ્ધ નફરત ફેલાવવાનો અને પોતાની નિષ્ફળતાઓ પરથી લોકોનું ધ્યાન ભટકાવવાનો છે.
રણધીર જયસ્વાલે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, પાકિસ્તાની નેતૃત્વ તરફથી સતત બેજવાબદાર, યુદ્ધોન્માદી અને નફરત ફેલાવનારી ટિપ્પણીઓ આવી રહી છે. પાકિસ્તાને પોતાની જીભ પર લગામ રાખવી જોઈએ, કારણ કે કોઈ પણ ખોટું પગલું તાજેતરના ઉદાહરણોની જેમ જ પીડાદાયક પરિણામ લાવશે.
છેલ્લા 48 કલાકમાં સિંધુ જળ સંધિના સસ્પેન્શનને લઈને પાકિસ્તાનના ત્રણ મોટા નેતાઓ - વડાપ્રધાન શહબાઝ શરીફ, ભૂતપૂર્વ વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો અને આર્મી ચીફ જનરલ અસીમ મુનીરે ભારત વિરૂદ્ધ ધમકીભર્યા નિવેદનો આપવામાં આવ્યા છે, જેના કારણે બંને દેશો વચ્ચે તણાવ વધુ વધી ગયો છે.
નોંધનીય છે કે આ તણાવ એવા સમયે વધ્યો છે જ્યારે તાજેતરમાં ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ 7 મેના રોજ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકી ઠેકાણાઓ પર કાર્યવાહી શરૂ કરી હતી. 4 દિવસ સુધી ડ્રોન અને મિસાઈલ હુમલાઓ બાદ બંને દેશો 10 મેના રોજ સંઘર્ષવિરામ માટે સંમત થયા હતા.












Click it and Unblock the Notifications
