યુએસ-કેનેડા બૉર્ડર પર મૃત્યુ પામેલા તમામ ગુજરાતના ડિંગુચાના રહેવાસી, કેનેડા પોલિસે કરી પુષ્ટિ
યુએસ-કેનેડા બૉર્ડર પર ગુજરાતના એક પટેલ પરિવારના ચાર સભ્યોના મોત મામલે પુષ્ટિ થઈ ગઈ છે.
નવી દિલ્લીઃ યુએસ-કેનેડા બૉર્ડર પર ગુજરાતના એક પટેલ પરિવારના ચાર સભ્યોના મોત મામલે પુષ્ટિ થઈ ગઈ છે. ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના ડીંગુચા ગામના પટેલ પરિવારના મોતની પુષ્ટિ કેનેડા પોલિસ દ્વારા કરવામાં આવી છે. મૃત્યુ પામેલ તમામ ચારેય લોકો ડીંગુચા ગામના જ હતા. જેમાં જગદીશભાઈ પટેલ(39), વૈશાલીબહેન પટેલ(37), વિહાંગી પટેલ(11), ધાર્મિક પટેલ(3)નુ મોત ઠંડીના કારણે થયુ હતુ.
ઉલ્લેખનીય છે કે 19 જાન્યુઆરીના રોજ કેનેડા પોલિસને મૃતદેહ મળ્યા હતા. 12 જાન્યુઆરીના રોજ પટેલ પરિવાર કેનેડા પહોંચ્યો હતો અને 18 તારીખે પટેલ પરિવાર એમરસન પહોંચ્યો હતો. મળતી માહિતી મુજબ ગુજરાતી પરિવરની અંતિમ વિધિ કેનેડા ખાતે જ કરવામાં આવશે. પરિવારના એક સભ્ય અંતિમ વિધિમાં જોડાવા કેનેડા જઈ શકે છે. અંતિમ વિધિ માટે કેનેડા જવા માટે જગદીશભાઈના મોટાભાઈ વિનંતી કરશે. કેનેડિયન સરકારની માહિતીના આધારે ભારતીય એમ્બેસીએ મૃત્યુની ખરાઈ કરી છે.
કેનેડાની પોલિસે ખુલાસો કરીને જણાવ્યુ છે કે એક અઠવાડિયા પહેલા અમારા અધિકારીઓએ યુએસ-કેનેડા બૉર્ડર પાસે ઈમર્સન, મેનિટોબા નજીક ચાર મૃત વ્યક્તિઓની શોધ કરી હતી જેમાં પીડિતોની ઓળખની પુષ્ટિ કરવામાં આવી છે. અમારા અધિકારીઓ પીડિતોની ઓળખની પુષ્ટિ કરવા માટે મુખ્ય તબીબી પરીક્ષકની ઓફિસ સાથે કામ કરી રહ્યા છે. શબ પરીક્ષણ પૂર્વ થવાથી અમે હવે પીડિતોની ઓળખની પુષ્ટિ કરવાની સ્થિતિમાં છીએ. તેઓ એક જ પરિવારના છે અને તમામ ભારતીય નાગરિક છે.
મેડિકલ એક્ઝામિનરની ઓફિસે પણ પુષ્ટિ કરી હતી કે મૃત્યુનુ કારણ એક્પોઝર હતુ. શરુઆતમાં અમે પીડિતોમાંથી એકની ઓળખ કરી હતી. અમે એ ભૂલ માટે ક્ષમાપ્રાર્થી છીએ પરંતુ કૃપા કરીને સમજો કે સ્થિર અવસ્થામાં મૃતદેહો મળી આવ્યા હતા અને પરિવાર દ્વારા પહેરવામાં આવેલા કપડાના કારણે પ્રારંભિક ઓળખ મુશ્કેલ બની હતી. તેથી જ નામોની પુષ્ટિ કરવાની પ્રક્રિયામાં ઘણો સમય લાગ્યો હતો.
કલોલ તાલુકાના ડીંગુચા ગામના પટેલ પરિવારના ચાર સભ્યોના કેનેડાથી ગેરકાયદે અમેરિકા જતા રસ્તામાં ભારે બરફ વર્ષામાં માઈનસ 35 ડિગ્રીના વાતાવરણમાં થીજી જવાથી મોત થવાની ઘટનામાં ગુજરાત પોલિસ વડાએ સીઆઈડી ક્રાઈમની એંટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટને તપાસ સોંપી દીધી છે. તેમાં પ્રાથમિક તપાસ શરૂ થઈ ગઈ છે અને ગામના તલાટી પાસેથી મૃતકોના નામની મતદારયાદી વગેરે દસ્તાવેજો લઈને તપાસ ચાલુ કરી દેવામાં આવી છે.