Kashmir Issue : કાશ્મીર મુદ્દે ઇસ્લામિક રાષ્ટ્રોએ પાકિસ્તાનને આપી સલાહ, કહ્યું ભારત સાથે લંબાવો દોસ્તીનો હાથ
Kashmir Issue : પાકિસ્તાન વિશ્વના દરેક મંચ પર કાશ્મીરનો મુદ્દો ઉઠાવતું રહ્યું છે, પરંતુ હવે બદલાયેલા માહોલમાં IOCના સૌથી પ્રભાવશાળી દેશ સાઉદી અરેબિયાએ પાકિસ્તાનને કાશ્મીર રાગ ખતમ કરવા કહ્યું છે.
Kashmir Issue : વર્તમાન સમયમાં આર્થિક સંકટથી ઘેરાયેલું પાકિસ્તાન દુનિયા પાસે નાણાકીય સહાય માંગી રહ્યું છે. મુશ્કેલીના આ સમયમાં તેના મિત્ર દેશો પણ મદદ કરવાની જગ્યાએ સલાહ આપી રહ્યા છે. પાકિસ્તાનના નજીકના ગણાતા દેશો પણ ભારતના પક્ષે મજબુત રીતે રજૂઆત કરતા જોવા મળી રહ્યા છે.
પાકિસ્તાનના મિત્ર ગણાતા સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાત (UAE) એ શહેબાઝ શરીફ સરકારને કાશ્મીરને ભૂલીને વિવાદનો અંત લાવવા અને ભારત તરફ મિત્રતાનો હાથ લંબાવવાનું સ્પષ્ટ જણાવ્યું છે. ભૂખમરાની આરે પહોંચેલા પાકિસ્તાનને UAE અને સાઉદી અરેબિયાની વાત સ્વીકારવા સિવાય બીજો કોઈ રસ્તો દેખાતો નથી. જોકે, આ બંને દેશો તરફથી દબાણ છે, જેના કારણે શાહબાઝ શરીફે તાજેતરમાં ભારત સાથે સંબંધો સુધારવાની વાત કરી હતી.
પાકિસ્તાન વિશ્વના દરેક મંચ પર કાશ્મીરનો મુદ્દો ઉઠાવતું રહ્યું છે અને મુસ્લિમ દેશોની સંસ્થા IOCના મંચ પર કાશ્મીરનો મુદ્દો ઉઠાવીને ઈસ્લામિક દેશોને પોતાની તરફ લાવવામાં પણ સફળ રહ્યું છે. જોકે કાશ્મીરના મુદ્દે ભારત વિરુદ્ધ ક્યારેય કોઈ દેશે કંઈ કહ્યું નથી, પરંતુ હવે બદલાયેલા માહોલમાં IOCના સૌથી પ્રભાવશાળી દેશ સાઉદી અરેબિયાએ પાકિસ્તાનને કાશ્મીર રાગ ખતમ કરવા કહ્યું છે. કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના મુદ્દે પાકિસ્તાનને ચૂપ રહેવાનું પણ કહેવામાં આવ્યું છે.
કાશ્મીર મુદ્દે પાકિસ્તાન વિરુદ્ધ ઇસ્લામિક દેશો કેમ?
હવે સવાલ એ થાય છે કે, UAE અને સાઉદી અરેબિયા અચાનક કાશ્મીરના શુભચિંતક કેવી રીતે બની ગયા? આ સવાલનો જવાબ છે બિઝનેસ, જે UAE અને સાઉદી અરેબિયા, કાશ્મીરમાં થવા જઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, UAE કાશ્મીરમાં મોટા પાયે રોકાણ કરવાની તૈયારી કરી રહ્યું છે અને તેથી તે કાશ્મીરમાં કોઈ ઉથલપાથલ ઈચ્છતું નથી. આ જ કારણ છે કે, તેણે પાકિસ્તાનને કાશ્મીર મુદ્દો ભૂલીને ભારત સાથે મિત્રતા કરવા જણાવ્યું છે.
સાઉદી અરેબિયાએ જણાવ્યું છે કે, સાઉબી અરેબિયા કાશ્મીર મુદ્દે પાકિસ્તાનને સમર્થન નહીં આપે. કાશ્મીરને અડીને આવેલા PoKમાં પણ પાકિસ્તાન સરકાર વિરુદ્ધ અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે. કાશ્મીરના લોકો પાકિસ્તાન સરકાર વિરુદ્ધ સતત રસ્તાઓ પર આંદોલન કરી રહ્યા છે. કાશ્મીરના લોકોનો આરોપ છે કે, પાકિસ્તાન સરકાર તેમની માંગણીઓ અને જરૂરિયાતો પૂરી કરવામાં નિષ્ફળ રહી છે, તેથી તેમના માટે ભારતના દરવાજા ખોલવા જોઈએ. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન માટે એ મૂંઝવણ છે કે, ભૂખે મરતા લોકો માટે વ્યવસ્થા કરવી કે કાશ્મીરના મુદ્દે અડગ રહેવું.
ભારત સાથે મજબૂત સંબંધો
UAE અને સાઉદી અરેબિયા સાથે ભારતના સંબંધો ઘણા મજબૂત બન્યા છે. ભારત ઈચ્છે છે કે, આ બંને દેશો મોટા પાયે રોકાણ કરે. બંને ઇસ્લામિક દેશો પણ તેલના કૂવામાંથી બહાર નીકળીને અન્ય ક્ષેત્રો તરફ તેમના વેપારના દરવાજા ખોલવા માંગે છે. તેઓ અન્ય ક્ષેત્રોમાં રોકાણ કરીને પૈસા કમાવવા માંગે છે.
આ જ કારણ છે કે, UAE અને સાઉદી અરેબિયાએ કાશ્મીરમાં રોકાણને લઈને બેઠકમાં ભાગ લીધો હતો. આ સાથે જ બંને દેશો નાણાં રોકવા માટે તૈયાર જોવા મળ્યા હતા. આ બેઠકના કારણે પાકિસ્તાનને મોટો ઝટકો લાગ્યો છે, પરંતુ બંને ઈસ્લામિક દેશોએ પાકિસ્તાનને કરોડો ડોલરની મદદ કરી છે. આવી સ્થિતિમાં દરેક દાણા પર નિર્ભર પાકિસ્તાન હાલમાં આ બંને દેશોની વાતને નજરઅંદાજ કરવાની સ્થિતિમાં નથી.