પત્રકાર દાનિશ સિદ્દીકીની તાલિબાનોએ બર્બર હત્યા કરી હોવાનો ખુલાસો
ભારતીય પત્રકાર અને પુલિત્ઝર પુરસ્કાર વિજેતા ફોટોગ્રાફર દાનિશ સિદ્દીકીના મોતને લઈને ચૌકાવનારો ખુલાસો થયો છે, સિદ્દીકીનું મોત અફઘાનિસ્તાનમાં આકસ્મિક રીતે થયુ ન હોવાનું સામે આવ્યુ છે.
ભારતીય પત્રકાર અને પુલિત્ઝર પુરસ્કાર વિજેતા ફોટોગ્રાફર દાનિશ સિદ્દીકીના મોતને લઈને ચૌકાવનારો ખુલાસો થયો છે, સિદ્દીકીનું મોત અફઘાનિસ્તાનમાં આકસ્મિક રીતે અફઘાન સેના અને તાલિબાન વચ્ચે ગોળીબારમાં આકસ્મિક રીતે થયુ ન હોવાનું સામે આવ્યુ છે. પત્રકાર દાનિશ સિદ્દીકીની હત્યા કરાઈ હોવાનું બહાર આવ્યું છે. રિપોર્ટમાં એવું બહાર આવ્યું છે કે તાલિબાની આતંકવાદીઓએ ભારતીય પત્રકાર દાનિશ સિદ્દીકીને જીવતો પકડ્યો હતો અને પછી તેની ઓળખ પુછી હતી. તેની ઓળખ કર્યા બાદ તાલિબાની આતંકવાદીઓએ તેની નિર્દયતાથી હત્યા કરી હતી.
તાલિબાનીઓએ જીવતા પકડી હત્યા કરી
યુએસ સ્થિત એક પત્રિકામાં પ્રકાશિત અહેવાલ મુજબ, તાલિબાન દ્વારા પુલિત્ઝર પ્રાઇઝ વિજેતા ભારતીય ફોટો જર્નાલિસ્ટ દાનિશ સિદ્દીકીની હત્યા કરવામાં આવી હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દાનિશ સિદ્દીકીને ઓળખ પૂછ્યા બાદ તાલિબાન દ્વારા નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે 38 વર્ષીય ભારતીય પત્રકાર દાનિશ સિદ્દીકી અફઘાનિસ્તાનમાં રિપોર્ટિંગ કરી રહ્યા હતા, જ્યારે તેમની તાલિબાન આતંકવાદીઓએ હત્યા કરી. કંધાર શહેરના સ્પિન બોલ્ડક જિલ્લામાં અફઘાન સૈનિકો અને તાલિબાન વચ્ચેની અથડામણને કવર કરતી વખતે પુલિત્ઝર પુરસ્કાર વિજેતા પત્રકારનું મોત થયુ હતુ. હવે તેમાં નવો ખુલાસો થયો છે.
દાનિશની બર્બરતાથી હત્યા કરવામાં આવી
વોશિંગ્ટન એક્ઝામિનરના રિપોર્ટ અનુસાર, દાનિશ સિદ્દીકીએ અફઘાનિસ્તાન નેશનલ આર્મીની ટીમ સાથે સ્પિન બોલ્ડક વિસ્તારમાં પ્રવાસ કર્યો હતો, જેનો ઉદ્દેશ અફઘાનિસ્તાનની વાસ્તવિક પરિસ્થિતિને કેમેરામાં કેદ કરવાનો અને દુનિયાને બતાવવાનો હતો. જ્યારે દાનિશ સ્પિન ભોલ્ડકમાં એક પોસ્ટના ત્રણ માઈલ સુધી અંદર પહોંચી ગયો હતો, ત્યાં તાલિબાનનો હુમલો થયો હતો, જેનાથી તેની ટીમ લશ્કરથી અલગ થઈ ગઈ હતી અને રાત્રી દરમિયાન દાનિશ સિદ્દીકી પણ ટીમથી અલગ થઈ ગયો હતો. રિપોર્ટ અનુસાર, દાનિશ સિદ્દીકી થોડો ઘાયલ થયો હતો અને આશ્રય લેવા માટે મસ્જિદમાં પહોંચ્યો હતો.
તાલિબાનોએ મસ્જિદ પર હુમલો કર્યો
રિપોર્ટ અનુસાર દાનિશ સિદ્દીકી મસ્જિદમાં હતા તે સમયે દાનિશ સાથે ત્રણ અફઘાન સૈનિકો પણ હાજર હતા. દાનિશની મસ્જિદમાં સારવાર કરવામાં આવી હતી, જ્યાં તાલિબાનોએ હુમલો કર્યો હતો. રિપોર્ટ અનુસાર, એક પત્રકાર મસ્જિદમાં હોવાની આ સમાચાર આસપાસના વિસ્તારોમાં ફેલાયા, ત્યારબાદ તાલિબાનીઓએ હુમલો કર્યો હતો. રિપોર્ટમાં એ વાત સાફ કરાઈ છે કે દાનિશને કારણે જ મસ્જિદ પર તાલિબાનોએ હુમલો કર્યો હતો અને દાનિશને આતંકવાદીઓએ પકડી લીધો હતો.
ભારતીય હોવાથી હત્યા કરી
અમેરિકન અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, તાલિબાન આતંકવાદીઓએ દાનિશને પકડ્યો ત્યારે તે સંપૂર્ણ રીતે ઠીક હતો. જે બાદ તાલિબાની આતંકવાદીઓએ તેની ઓળખ પુછી હતી. દાનિશે પોતાને એક ભારતીય તરીકે ઓળખાવ્યા બાદ આતંકવાદીઓએ તેની હત્યા કરી.અહેવાલ મુજબ, ત્રણ અફઘાન સૈનિકોએ બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તાલિબાન દ્વારા તેની પણ હત્યા કરાઈ હતી. તમને જણાવી દઈએ કે સ્થાનિક રેડ ક્રોસની મદદથી ડેનિશનો મૃતદેહ ભારત લાવવામાં આવ્યો હતો અને જામિયા મિલિયા ઈસ્લામિયાના કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યો હતો.
તાલિબાનોએ દાનિશની હત્યા કેવી રીતે કરી?
રિપોર્ટ તૈયાર કરનાર માઇકલ રુબિને દાનિશના વીડિયો જોયા છે, જે તેમણે ભારત સરકારના અધિકારીઓ પાસેથી મેળવ્યા હતા. આ ઉપરાંત દાનિશ સિદ્દીકીના છેલ્લા દિવસોની કેટલીક તસવીરો પણ જોઇ છે, જેમાં દેખાઈ રહ્યું છે કે દાનિશ સિદ્દીકીને પકડ્યા બાદ તાલિબાન દ્વારા તેના માથા પર માર માર્યો હતો. માથા બાદ શરીર પર ગોળીઓ મારી હતી. તાલિબાન ફરી એકવાર યુદ્ધના નિયમોનું સ્પષ્ટપણે ઉલ્લંઘન કરી રહ્યું છે અને હત્યા કર્યા બાદ મૃત શરીરને ખરાબ રીતે વિકૃત કરી રહ્યું છે. તાલિબાન ન તો વૈશ્વિક નિયમોનું પાલન કરી રહ્યું છે કે ન આંતરરાષ્ટ્રીય કાયદાઓનું, તાલિબાનની આકરી ટીકા થઈ રહી છે.