કઝાખસ્તાનમાં ગેસના વધતા ભાવોને લઈને હિંસા વણસી, ઈમરજન્સી લાગુ, પુતિને તૈનાત કરી સેના
કઝાખસ્તાનમાં ગેસની કિંમતો બાદ શરુ થયેલુ વિરોધ પ્રદર્શન હવે આખા દેશમાં ફેલાઈ ગયુ છે.
અલ્માટીઃ કઝાખસ્તાનમાં ગેસની કિંમતો બાદ શરુ થયેલુ વિરોધ પ્રદર્શન હવે આખા દેશમાં ફેલાઈ ગયુ છે. કઝાખસ્તાનના ઘણા ભાગોમાં ભારે હિંસા અને આગની ઘટનાઓ બાદ રાષ્ટ્રપતિ કાસમ ઝોમાર્ટે આખા દેશમાં ઈમરજન્સી જાહેર કરી દીધી છે. પ્રદર્શનકારીઓએ ઘણી સરકારી ઈમારતોને આગ લગાવી દીધી છે અને અત્યાર સુધીમાં 8 સુરક્ષાકર્મીઓ માર્યા ગયાના સમાચાર છે. સ્થિતિ વણસી જતા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ગઈ રાતે કઝાખસ્તાનના અનુરોધ પર પોતાના શાંતિરક્ષક સૈનિકોને તૈનાત કરી દીધા છે.
કઝાખસ્તાનના સૌથી મોટા શહેર અલ્માટીમાં પ્રદર્શનકારીઓએ રાષ્ટ્રપતિ અને મેયરના ઘરમાં આગ લગાવી દીધી. જણાવવામાં આવી રહ્યુ છે કે પોલિસે અલ્માટીથી ભાગતા પહેલા અમુક પ્રદર્શનકારીઓ પર ગોળીઓ ચલાવી હતી. છેલ્લા અમુક દિવસોમાં અલ્માટીમાં પ્રદર્શનકારીઓ અને પોલિસ વચ્ચે ઘણી વાર હિંસક ઝડપ થઈ છે. કઝાખસ્તાનમાં ભીષણ ઠંડી પડી રહી હોવા છતાં પોલિસે પ્રદર્શનકારીઓ પર પાણીનો મારો ચલાવ્યો હતો.
કઝાખસ્તાનના ગૃહ મંત્રાલયે જણાવ્યુ કે આ હિંસામાં અત્યાર સુધી 8 પોલિસ અધિકારી અને નેશનલ ગાર્ડના સભ્ય માર્યા ગયા છે અને ઓછામાં ઓછા 300 અન્ય લોકો ઘાયલ થઈ ગયા છે. આ તરફ રાષ્ટ્રપતિ કાસમ ઝોમાર્ટે કહ્યુ છે કે તે અશાંતિને કચડી દેશે અને આખા દેશમાં બે સપ્તાહ માટે ઈમરજન્સી જાહેર કરી છે. રાષ્ટ્રપતિએ ગઈ રાતે રશિયા સુરક્ષા બ્લૉકથી અપીલ કરી હતી કે તે હિંસાને દબાવવા માટે પોતાની સેના મોકલે. રાષ્ટ્રપતિએ જનતાના આ પ્રદર્શનને આતંકી જોખમ ગણાવ્યુ.
તમને જણાવી દઈએ કે આ પહેલા મધ્ય એશિયાઈ દેશ કઝાખસ્તાનમાં ગેસની વધતી કિંમતોથી ભડકેલી જનતાના હિંસક પ્રદર્શન બાદ સરકારે રાજીનામુ આપી દીધુ હતુ. કઝાખસ્તાનના રાષ્ટ્રપતિ કાસમ ઝોમાર્ટે ટોકાયેવે પ્રધાનમંત્રી અસ્કાર મામિનના રાજીનામાનો સ્વીકાર કરી લીધો હતો. રાષ્ટ્રપતિએ પોતાના વીડિયો સંદેશમાં કહ્યુ હતુ કે સરકાર અને સેના પર હુમલા માટે આહ્વાન કરવુ સંપૂર્ણપણે ગેરકાયદે છે. સરકાર નહિ પડે પરંતુ અમે ઈચ્છીએ છીએ કે પરસ્પર વિશ્વાસ અને સંવાદ થાય નહિ કે વિવાદ.
ઉલ્લેખનીય છે કે તેલના સમૃદ્ધ આ દેશમાં સરકારે મંગળવારે સાંજે એલાન કર્યુ કે તે એલપીજીની કિંમતો પુનઃસ્થાપિત કરી રહી છે. આ પહેલા નવા વર્ષે પ્રદર્શનકારીઓ એલપીજી કિંમતોમાં વધારા બાદ પ્રદર્શન કરીને અલ્માટી શહેરમાં પહોંચી ગયા હતા. આ પ્રદર્શન બાદ સરકારે રાજીનામુ આપી દીધુ અને રાષ્ટ્રપતિએ બંધારણના અનુચ્છેદ 70 હેઠળ આ રાજીનામાને સ્વીકારી લીધુ. કઝાખસ્તાનની આર્થિક રાજધાની અલ્માટી છે અને ત્યાં મંગળવારે રાતે સ્થિતિ બેકાબુ બની ગઈ. અસ્કાર મામિનના રાજીનામા બાદ રાષ્ટ્રપતિએ સમૈલોવ અલિખાનને દેશના કાર્યવાહક પ્રધાનમંત્રી નિયુક્ત કર્યા છે. આ આદેશમાં કહેવામાં આવ્યુ છે કે વર્તમાન સરકારના સભ્ય નવા સરકારની રચના સુધી પોતાનુ કામ કરતા રહેશે.