સરહદ પારનો પ્રેમઃ પ્રેમીને પામવા ભારત છોડ્યુ
બે વર્ષ પહેલા બાંગ્લાદેશનો લાજુ ઇસ્લામને ભારતની લૈલી બેગમ સાથે પ્રેમ થઇ ગયો હતો પરંતુ જ્યારે લૈલી બેગમના પિતાએ તેમના લગ્નનો વિરોધ કર્યો તો તે ઘરેથી ભાગી ગઇ અને બાંગ્લાદેશ પંહોચી ગઇ. પછી લાજુ અને લૈલીએ ચિટગાંવની એક અદાલતમાં લગ્ન કરી લીધા હતા.
બીબીસીના એક અહેવાલ અનુસાર પોલીસ અધિકારી મોહમ્મદ સોહરાબ હુસૈને જણાવ્યું છે કે, બન્નેના સંબંધોની શરૂઆત બે વર્ષ પહેલા થઇ હતી, લાજુ અવાર-નવાર વ્યવસાયના કારણે ભારત આવતો રહેતો હતો, જ્યાં તે લૈલીના સંપર્કમાં આવ્યો હતો અને બાદમાં તેની અને લૈલીની નિકટતા વધી હતી. લૈલીના પિતા તેના લગ્ન અન્ય કોઇ સાથે કરવા માગતા હતા તેથી લૈલી ભાગીને બાંગ્લાદેશ આવી ગઇ અને ચિટગાંવમાં બન્નેએ લગ્ન કરી લીધા.
બીજી તરફ લૈલીના પિતા બાબરઉદ્દીને તેનો વિરોધ નોંધાવ્યો છે અને તેમણે માંગ કરી છે કે તેમની પુત્રીને પરત કરવામાં આવે. પરંતુ લૈલીનું કહેવું છે કે જો એવું થયું તો તે આત્મહત્યા કરી લેશે. પોલીસ અધિકારી મોહમ્મદ સોહરાબ હુસૈન જણાવે છે કે, યુવતીના પિતા સમ્પન્ન છે અને યુવક ગરીબ છે. તેથી તે આ સંબંધોની વિરુદ્ધમાં છે, પરંતુ યુવતીનું કહેવું છે કે તે લાજુને પ્રેમ કરે છે અને તેને તેના પિતાના હવાલે કરી દેવામાં આવી તો તે આત્મહત્યા કરી લેશે.
ગુસ્સેભરાયેલા પિતાએ બાંગ્લાદેશના કેટલાક લોકોને બંધક બનાવ્યા છે અને કહ્યું છે કે તેમની પુત્રીને પરત કરવામાં આવશે ત્યારે જ તેઓ આ નાગરીકોને છોડશે. બીજી તરફ ભારતમાં કૂચબિહારની પોલીસે બાંગ્લાદેશના પાંચ નાગરીકોને કોર્ટમાં રજૂ કર્યા છે જ્યાં તેમના પર જરૂરી દસ્તાવેજો વગર ભારતમાં દાખલ થવાનો આરોપ લગાવ્યો છે. બીજી તરફ લાજુ અને લૈલીને પણ બાંગ્લાદેશની લલમોનિરહાટ જેલમાં રાખવામાં આવી છે.