આજે મનમોહન ઓબામા વચ્ચે બેઠક; આતંકવાદ, પરમાણુ સહયોગ મુખ્ય એજન્ડા
વૉશિંગ્ટન, 27 સપ્ટેમ્બર : ભારતના વડાપ્રધાન મનમોહન સિંહ અને અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા વચ્ચે વ્હાઇટ હાઉસમાં આજે બેઠક યોજાશે. વ્હાઇટ હાઉસમાં ઓબામા સાથે દ્વિપક્ષીય ચર્ચા દરમિયાન મનમોહન સિંહ વર્તમાન સ્થિતિ, ભવિષ્યની સુરક્ષા, વેપાર, રોકાણ અને અસૈન્ય પરમાણુ સહયોગ જેવા મુદ્દાઓને અગ્રમતા આપશે.
વ્હાઇટ હાઉસે જણાવ્યું છે કે આ વર્ષે ભારતની યાત્રા કરી ચૂકેલા ભારત અને અમેરિકાના મજબૂત સંબંધોના સમર્થક અને અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે બિડેન પણ ઓવલ કાર્યાલયમાં યોજાનારી બેઠકમાં ઉપસ્થિત રહેશે. આ બેઠક આંતરરાષ્ટ્રીય સમય મુજબ રાત્રે 9 વાગે (વૉશિંગ્ટનના સ્થાનિક સમય અનુસાર સવારે 11.30 કલાકે) શરૂ થશે.
વ્હાઇટ હાઉસે જણાવ્યું કે ઓબામા અને મનમોહન સિંહની વચ્ચે આ ત્રીજી શિખર બેઠક યોજાઇ રહી છે. આ વહેલા આ પહેલા આ બંને નેતા વર્ષ 2009 અને વર્ષ 2010માં બેઠક યોજી ચૂક્યા છે. આ બેઠકમાં ક્ષેત્રિય સુરક્ષા તથા સ્થાયિત્વમાં ભારતની ભૂમિકા પર ભાર મૂકવામાં આવશે. રાષ્ટ્રપતિના પ્રવક્તાએ જણાવ્યું કે ઓબામા ભારતના વડાપ્રધાન સાથે ચર્ચા કરવા ઉત્સુક છે.
આ બેઠક અંગે મનમોહન સિંહે જણાવ્યું કે ભારતને અમેરિકાના સહયોગની જરૂર છે. કારણ કે તે વિકાસ કાર્યક્રમો પર વધારે જોર આપે છે. અમેરિકાને મહત્વનું વ્યૂહાત્મક ભાગીદાર ગણાવતા સિંહે જણાવ્યું કે ઓબામાના શાસન દરમિયાનઅમે અનેક રીતે આ ભાગીદારીને વ્યાપક અને વિસ્તૃત બનાવવા માટે અનેક પગલાં ભર્યાં છે.
વડાપ્રધાને જણાવ્યું કે આ યાત્રા દરમિયાન બંને પક્ષા પ્રગતિની સમીક્ષા કરશે. આ સાથે એ પણ જોશે કે ભાગીદારીમાં વધારે તત્વોને જોડવા ભવિષ્યમાં શું કરી શકાય એમ છે.