એંટીગુઆ પાછા આવ્યા બાદ મેહુલ ચોક્સીએ ભારત પર લગાવ્યો અપહરણનો આરોપ
એંટીગુઆ અને બારબુડામાં પાછા આવ્યા બાદ ભાગેડુ વેપારી મેહુલ ચોક્સીએ ભારતીય એજન્સીઓ પર અપહરણનો આરોપ લગાવ્યો છે.
નવી દિલ્લીઃ એંટીગુઆ અને બારબુડામાં પાછા આવ્યા બાદ ભાગેડુ વેપારી મેહુલ ચોક્સીએ ભારતીય એજન્સીઓ પર અપહરણનો આરોપ લગાવ્યો છે. ચોક્સીએ કહ્યુ કે તેના માથામાં કાયમી ઈજા થઈ ગઈ છે તેના માટે ભારતીય એજન્સીઓ જવાબદાર છે અને તેમણે મારુ અપહર કરવાની કોશિશ કરી. ચોક્સીએ કહ્યુ કે હું ઘરે પાછો આવી ચૂક્યો છુ પરંતુ આ યાતનાએ મારા શરીર અને મનોવિજ્ઞાન પર હંમેશા માટે ઘા છોડી દીધા છે. હું વિચારી પણ નથી શકતો કે મારા બધા બિઝનેસ બંધ કર્યા બાદ, બધી પ્રોપર્ટી જપ્ત કર્યા બાદ, ભારતીય એજન્સીઓ મારુ અપહરણ કરવાની કોશિશ કરશે.
મારી સાથે અમાનવીય વ્યવહાર કરવામાં આવ્યો
ચોક્સીએ કહ્યુ કે મે ઘણી વાર ભારતીય એજન્સીઓને કહ્યુ કે એંટીગુઆ આવે અને મારી પૂછપરછ કરે કારણકે મારી તબિયત ખરાબ છે અને હું મુસાફરી કરવા માટે અસમર્થ છુ. હું હંમેશાથી ભારતીય એજન્સીઓ સાથે સહયોગ કરવા માટે તૈયાર હતો પરંતુ મારી સાથે અમાનવીય વ્યવહાર કરવામાં આવ્યો, મારુ અપહરણ કરવામાં આવ્યુ, મે ક્યારેય વિચાર્યુ નહોતુ કે મારી સાથે ભારતીય એજન્સીઓ આવુ કરશે. હું ભારત પાછો આવીને પોતાને નિર્દોષ સાબિત કરવા માંગતો હતો પરંતુ છેલ્લા 50 દિવસમાં મારી મેડિકલ કન્ડીશન વધુ ખરાબ થઈ ગઈ છે. મને ભારતમાં મારી સુરક્ષાની પણ ચિંતા છે. મને ખબર નથી કે હવે હું પાછો સામાન્ય સ્થિતિમાં પાછો આવી શકીશ કે નહિ.
51 દિવસથી ચોક્સી ડોમિનિકાની જેલમાં બંધ
તમને જણાવી દઈએ કે મેહુલ ચોક્સી 2018થી એંટિગુઆ એન્ડ બારબૂડામાં રહી રહ્યો છે. ભારતથી ફરાર થયા બાદ તેણે ત્યાંની જ નાગરિકતા લઈ લીધી છે. છેલ્લા 51 દિવસથી ચોક્સી ડોમિનિકાની જેલમાં બંધ હતો. તેના પર આરોપ હતો કે તે ગેરકાયદે રીતે ડોમિનિકા પહોંચ્યો હતો. સોમવારે મેહુલ ચોક્સીને ડોમિનિકા કોર્ટે જામીન આપી દીધા અને તેને પાછો એંટિગુઆ જવાની પણ મંજૂરી આપી દીધી જ્યાં તે પોતાનો ઈલાજ કરાવી શકે.
13500 કરોડ રૂપિયાના કૌભાંડનો આરોપ
ચોક્સીએ 10000 ઈસ્ટ કેરેબિયન ડૉલરની રકમ જામીન તરીકે જમા કરાવ્યા કે જે ભારતમાં લગભગ 2.7 લાખ રૂપિયા છે. ત્યારબાદતે પાછો એંટિગુઆ માટે ચાર્ટર્ડ પ્લેનથી રવાના થયો, આ દરમિાયન તેણે એક વાદળી રંગનુ શર્ટ અને શૉર્ટસ પહેર્યા હતા. જામીનની અરજી સાથે ચોક્સીએ પોતાનો સીટી સ્કેન રિપોર્ટ પણ બતાવ્યો હતો. તેને ડૉક્ટરે તરત તેની મેડિકલ તપાસ માટે આવવા માટે કહ્યુ છે. નોંધનીય છે કે ચોક્સી પર ભારતમાં પંજાબ નેશનલ બેંક સાથે 13500 કરોડ રૂપિયાના કૌભાંડનો આરોપ છે.