વાંચો : મેડિસન સ્કવેરમાં નરેન્દ્ર મોદી સ્પીચની 15 પ્રભાવશાળી વાતો
ન્યુ યોર્ક, 28 સપ્ટેમ્બર : આજે અમેરિકાના ન્યુ યોર્ક શહેરમાં આવેલા મેડિસન સ્ક્વેર ગાર્ડન સ્ટેડિયમમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એનઆરઆઇસ (NRIs) એટલે કે ભારતીય સમુદાયને સંબોધન કર્યું હતું.
આ સંબોધનમાં તેમણે વિવિધ મુદ્દાઓ ઉઠાવીને વિદેશમાં રહેતા ભારતીયોને પોતાની શક્તિ મુજબ ભારતના વિકાસમાં યોગદાન આપવાની અને માતૃશક્તિ સાથે ફરીથી જોડાવાનું આહવાન કર્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સ્પીચ સાંભળીને અનેક લોકો ગદગદ થઇ ઉઠ્યા હતા અને તેમણે દેશ માટે પોતાનું યોગદાન આપવાનો ઉત્સાહ દર્શાવ્યો હતો.
મેડિસન સ્ક્વેર ખાતે નરેન્દ્ર મોદી સ્પીચની 15 પ્રભાવિત કરતી વાતો કઇ છે તે જાણવા આગળ ક્લિક કરો...

1 ચૂંટણી જીતવી માત્ર પદગ્રહણ નહીં
ગરીબથી ગરીબ વ્યક્તિ લોકશાહી માટે કેટલી મહત્વની છે તે ભારતની ચૂંટણીઓએ દર્શાવ્યું. ચૂંટણી જીતવી એ માત્ર પદગ્રહણ નથી હોતું. ચૂંટણી જીતવું એ ખુરશી પર બેસવાનું કામ માત્ર નથી. ચૂંટણી જીતવી એ જવાબદારીનું કામ છે. મેં જ્યારથી આ કાર્યની જવાબદારી સંભાળી છે ત્યારથી 15 મીનિટ માટે વેકેશન નથી માણ્યું. દેશવાસીઓ આપે જે આ જવાબદારી આપી છે, તેના માટે અમે ક્યારેય એવું કશું નહીં કરીએ, જેના કારણે આપે નીચું જોવાનું થાય.

2. ભારત પાસેની ત્રણ શક્તિઓ વિશ્વમાં કોઇની પાસે નથી
આજે ભારત પાસે એવી ત્રણ વસ્તુઓ છે, જે દુનિયાના કોઇ પણ દેશ પાસે નથી. આપણી આ ત્રણ શક્તિઓને એક બીજા સાથે જોડીને મોબીલાઇઝ કરવામાં આવે.
1 ડેમોક્રસી - લોકશાહી એ આપણી સૌથી મોટી મૂડી છે. ભારતમાં લોકતંત્ર માત્ર વ્યવસ્થા નહીં પણ આસ્થા છે.
2 ડેમોગ્રાફિક ડિવિડન્ડ - જે દેશ પાસે 35 વર્ષથી ઓછી વયના મહત્તમ યુવાનો હોય તેમને બીજું શું જોઇએ.
3 ડિમાન્ડ - ભારત પાસે મોટું બજાર છે, મોટી માગ છે.

3. અમેરિકા અને ભારત વચ્ચે ઘણી સામ્યતા
અમેરિકા દુનિયાનું સૌથી જુનું લોકતંત્ર છે. ભારત દુનિયાનું સૌથી મોટું લોકતંત્ર છે. સમગ્ર દુનિયાના લોકો અમેરિકામાં આવીને વસ્યા છે. અને ભારતના લોકો સમગ્ર દુનિયામાં જઇને વસ્યા છે. દુનિયાનો કોઇ ખુણો નહીં હોય, જ્યાં ભારતીય ના મળે, અમેરિકાનું કોઇ શહેર એવું નથી જ્યાં અન્ય દેશોના નાગરિકો ના મળે. કેટલી બધી સામ્યતા છે.

4. વિકાસને માટે જન આંદોલન
મહાત્મા ગાંધીજીએ આઝાદીને જન આંદોલન બનાવી દીધું, આઝાદી માટે કોઇ ખાદી પહેરે, કોઇ બાળકોને ભણાવે, કોઇ સફાઇ કરે વગેરે... તેમણે દરેક વ્યક્તિને તેની ક્ષમતા અનુસાર કામ સોંપ્યું. આ મહાત્મા ગાંધીનો સૌથી મોટો ફાળો છે. તેમણે લોકોમાં હું દેશ માટે કરું છું એવો ભાવ જગાવ્યો. જે રી તે આઝાદીનું આંદોલન જન આંદોલન હતું, તેવી રીતે વિકાસ માટે જન આંદોલનની જરૂર છે.

5 ભારત વિશ્વનો સૌથી મોટો સ્કીલ્ડ વર્કફોર્સ પ્રોવાઇડર દેશ બનશે
આપ ભણતા હશો તો તમને ખ્યાલ હશે કે 21મી સદીમાં દુનિયામાં મોટા વર્ક ફોર્સની જરૂર પડશે. દુનિયા પાસે કામ કરનારા માણસો નહીં હોય. આપણે સમગ્ર દુનિયાને વર્ક ફોર્સ પૂરો પાડીશું. આજે વિશ્વભરમાં નર્સોની ભારે માંગ છે. વિશ્વમાં શિક્ષકોની માંગ છે. ગણિત અને વિજ્ઞાનની શિક્ષકો નથી મળતા. ભારતના યુવાનોની ક્ષમતા વધારીને વિશ્વમાં જેવી જરૂરિયાત હોય તેવી કુશળતા પ્રાપ્ત કરીને વિશ્વમાં પોતાનું સ્થાન બનાવી શકે છે.

6 મંગળયાનમાં ભારતની કમાલ
આપે પણ અહીં આવીને કમાલ કરી છે. જે દાણા પાણી પીને આપ અહીં આવ્યા છો, તે દાણા પાણી અમે પણ ખાઇએ છીએ. તો અમે પણ કરી શકીશું. આપ ગુજરાતનું અમદાવાદ જુઓ. જો એક કિલોમીટર ઓટો રિક્ષામાં જાવ તો 10 રૂપિયા ખર્ચો થાય. ભારતની કમાલ જુઓ 65,00,000 કરોડ કિલોમીટર જેટલી યાત્રા કરીને મંગળ પર પહોંચ્યા છીએ. આ ખર્ચો અમને 7 રૂપિયા પ્રતિ કિલોમીટર પડ્યો છે. વિશ્વમાં હિન્દુસ્તાન એવો પ્રથમ દેશ છે જે પ્રથમ પ્રયાસે મંગળ સુધી પહોંચવામાં સફળ થયો છે.

7 મેક ઇન ઇન્ડિયામાં NRIs સહભાગી બને
મારું નિમંત્રણ છે 'મેક ઇન ઇન્ડિયા' માટે. આપને કોઇ પણ સેવા જોઇએ તો ભારત સિવાય સારી જગ્યા કોઇ નહી હોય. હું આપને કહું છું કે ભારતમાં ધક્કા ખાવાના દિવસો ગયા. ઓનલાઇન ફાઇલિંગ વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. આપ આપની અરજી મોબાઇલ ફોન મારફતે પણ ભારત સરકારને મોકલી શકે છે.
અહીં બેઠેલા જવાનો, વૃદ્ધોને હું કહેવા માંગુ છું કે આપ આપના સૂચનો MyGOV દ્વારા મારી સાથે જોડાઇ શકો છો. ભારતનું ભાગ્ય બદલવાની આપણા સૌની ઇચ્છા છે. આપણે ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ભારતને શક્તિશાળી બનાવી શકીશું.

8 આઉટડેટેડ કાયદા દૂર કરાશે
ભારતમાં પહેલા જે સરકારો હતી તે એ વાતનો ગર્વ લેતી હતી કે અમે આ કાયદો બનાવ્યો, પેલો કાયદો બનાવ્યો. મેં બીજું કામ શરૂ કર્યું. મેં જુના અને બેકાર કાયદાઓને દૂર કરવાનું કામ શરૂ કર્યું. આઉટડેટેડ કાયદા દૂર કરવા ખાસ સમિતી રચી છે. જૂના કાયદા એક દિવસમાં એક દૂર કરી શકીશ તો મને સૌથી વધારે આનંદ હશે.

9 નાના માણસો માટે મોટા કામ કરવાનો ઇરાદો
લોકોને લાગે છે કે વડાપ્રધાન તો કેવું મોટું કામ કરે? પણ મેં ટોઇલેટ બનાવવાનું કામ કરવાનો નિર્ધાર કર્યો છે. ક્યારેક લોકો એમ પૂછે છે કે આપનું વિઝન શું છે? મેં તેમને કહ્યું, હું ચા વેચતા વેચતા અહીં આવ્યો છું. હું ખૂબ સામાન્ય, મામુલી માણસ છું. બાળપણ આવું જ પસાર થયું. નાનો માણસ છું એટલે નાના કામ સૂજે છે, નાના માણસો માટે કામ કરવાનું સૂઝે છે, પણ નાનો છું એટલે નાના માણસો માટે મોટા કામ કરવાનો ઇરાદો છે.

10 આસ્થા અને પર્યાવરણની જાળવણી માટે ગંગા સફાઇ જરૂરી
આપને ક્યારેક તો મનમાં થયું હશે કે માતા પિતાને ગંગા સ્નાન માટે લઇ જઇએ. પણ મેલી ગંગાને જોઇને આપ મન મનાવી લેતા હશો. આપ કહો, ગંગા સ્વચ્છ, સાફ હોવી જોઇએ કે નહીં? આપ અને ભારતવાસીઓએ આ કામમાં મને મદદ કરવી જોઇએ કે નહીં. આ માટે હજારો કરોડ રૂપિયાનો ખર્ચો થશે. લોકો કહે છે આપ આવા કામ શા માટે હાથમાં લો છો? તો જણાવું કે લોકોએ મને અઘરા કામ કરવા માટે ચૂંટ્યો છે. ગંગાની સફાઇ માત્ર આસ્થા સાથે નહીં, પર્યાવરણ જાળવણી સાથે જોડાયેલો મુદ્દો છે. આ માટે ગંગા સફાઇ જરૂરી છે.

11 ગાંધીજીને સ્વચ્છ ભારતની ભેટ
મહાત્મા ગાંધીની જન્મજયંતિને 2019માં 150 વર્ષ થવાના છે. આ કારણે 2019માં મહાત્મા ગાંધીને પ્રિય વસ્તુ સફાઇની ભેટ આપવાની છે. તેઓ સ્વચ્છતામાં બાંધછોડ કરતા ન હતા. ગાંધીજીએ આપણને આઝાદી અપાવી, હવે તેને ગંદકીમાંથી મુક્ત કરવાની જવાબદારી આપણી છે. તેમના ચરણોમાં સ્વચ્છ અને સાફ હિન્દુસ્તાનની ભેટ ધરીશું. આ જવાબદારી ઉછાવવી જોઇએ. આ માટે લોકોએ ગંદગી નહીં કરવાનું પ્રણ લેવું જોઇએ.

12 માતૃભૂમિનું કર્જ ચૂકવવા પ્રયાસ કરો
આપ સૌ પ્રવાસી ભારતીય છો. આપની જેમ મોહનલાલ કરમચંદ ગાંધી પણ પ્રવાસી ભારતીય હતા. મહાત્મા ગાંધી 9, જાન્યુઆરી 1915માં ભારત પરત આવ્યા હતા. આવતા વર્ષે ગાંધીને ભારત પરત આવવાને 100 વર્ષ થશે. 8,9 અને 10 જાન્યુઆરીએ ભારતમાં પ્રવાસી ભારતીય દિવસ ઉજવાય છે. આ વખતે પ્રવાસી ભારતીય દિવસ ગુજરાતના અમદાવાદમાં યોજાવાનો છે. હું આપને આગ્રહ કરું છું કે આપ આપની માતૃભૂમિનું કર્જ ચૂકાવવા માટે પોતપોતાની રીતે પ્રયાસ કરો.

13 NRIsની વિઝા સમસ્યા દૂર કરાશે
PIO કાર્ડ હોલ્ડર્સને હવે આજીવન વિઝા અપાશે. જે લાંબા સમય સુધી ભારત રહે છે તેમણે પોલીસ સ્ટેશન જવું પડે છે. તેમણે હવે પોલીસ સ્ટેશન જવું પડશે નહીં. અમે PIO તથા COIને ભેળવીને એક બનાવી દઇશું. એક નવી સ્કીમ રજૂ કરવામાં આવશે. અમેરિકામાં ભારતના દૂતાવાસ ભારત પ્રવાસ આવવા ઇચ્છતા અમેરિકન્સ માટે લાંબા ગાળાના વિઝા પ્રદાન કરશે. ઇલેક્ટ્રોનિક ટ્રાવેલ વિઝા અને વિઝા ઓન અરાઇવલને જલ્દી અમલી બનાવીશું.

14 ભારત માટે વિકાસના ઉજળા સંજોગો
21મી સદી એશિયાની સદી છે. અમેરિકાના અગ્રણી નેતાઓએ જાહેરમાં કહ્યું છે કે 21મી સદી ભારતની સદી છે, કોઇ કહે છે હિન્દુસ્તાનની સદી છે. આ એમજ કહેવામાં આવતું નથી. ભારત પાસે તે માટેનું સામર્થ્ય અને સંભાવના છે. અને હવે સંજોગ પણ છે. આ કારણે જ આજે હિન્દુસ્તાન દુનિયાનો સૌથી યુવાન દેશ છે. દુનિયાની સૌથી પુરાતન સંસ્કૃતિ ધરાવતો દેશ, દુનિયાનો સૌથી યુવાન દેશ છે. આજે ભારતમાં 65 ટકા વસતી 35 વર્ષથી ઓછી વયના લોકોની છે.

15 ભારતની વૈશ્વિક ઓળખ બનાવવામાં NRIsની ભૂમિકા મહત્વની
અમારા પૂર્વજો સાપ સાથે રમતા હતા, અમે માઉસની સાથે રમીએ છીએ. અમારા યુવાનો માઉસ ફેરવીને સમગ્ર દુનિયાને ફેરવે છે. આપ સૌએ આપના સંસ્કારો, મહેનત અને કુશળતા દ્વારા અમેરિકામાં ઇજ્જત બનાવી છે. આપના કારણે માત્ર અમેરિકા જ નહીં, પરંતુ અમેરિકામાં રહેનારા અન્ય દેશોના લોકોમાં પણ ભારતની એક આગવી ઓળખ બનાવવામાં મહત્વની ભૂમિકા છે.












Click it and Unblock the Notifications
