પરમાણુ હથિયારો વિરુદ્ધ અભિયાન ચલાવતા ICANને નોબેલ શાંતિ પુરસ્કાર
વિશ્વને પરમાણુ હથિયારો મુક્ત કરવા માટે ચાલતા સંગઠન ICANને નોબેલ શાંતિ પુરસ્કાર 2017 એનાયત કરવામાં આવ્યો.
દુનિયામાં પરમાણુ હથિયારો નષ્ટ કરવાના અભિયાન આઇકેન(International Campaign to Abolish Nuclear Weapons) સંગઠનને શાંતિ માટે વર્ષ 2017નો નોબેલ પુરસ્કાર મળ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોથી ICAN સંગઠન દુનિયાને પરમાણુ હથિયારોથી મુક્ત કરવા માટે અથાગ પ્રયત્નો કરી રહ્યું છે. આ સંગઠને દુનિયાને ન્યૂક્લિયર પ્રોગ્રામ સમાપ્ત કરવા માટે એક નવો રસ્તો આપવાનું કામ કર્યું છે. નોર્વેની નોબેલ કમિટિ, બેરિટ રીસ-એંડર્સનની અધ્યક્ષતામાં કહેવામાં આવ્યું કે, ICANએ માનવ સમાજ માટે ખતરનાક અને વિનાશકારી હથિયારો વિરુદ્ધ અભિયાન ચલાવીને તેનાથી આવતા પરિણામો પ્રત્યે સૌનું ધ્યાન ખેંચ્યું છે.
આઇકેન દ્વારા છેલ્લા કેટલાક વર્ષોમાં 15 હજાર પરમાણુ હથિયોરા નષ્ટ કરવામાં આવ્યા છે. નોબેલ કમિટિએ કહ્યું કે, દુનિયાને પરમાણુ હથિયારોથી મુક્ત કરવા માટે તમામ ન્યૂક્લિયર સ્ટેટ્સે આગળ આવવું પડશે. ઉલ્લેખનીય છે કે, આઇકેનને એવા સમયે નોબેલ શાંતિ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે, જ્યારે અમેરિકા અને ઉત્તર કોરિયા એકબીજાને પરમાણુ યુદ્ધની ધમકી આપી રહ્યાં છે.