હવે દિલ્હી એરપોર્ટ પર શિક્ષકો તૈનાત કરાશે, જાણો કેમ?
ભારત સરકારે વિદેશથી આવતા યાત્રીઓના રેન્ડમ સેંપલિંગ કરવાની જાહેરાત કરી છે ત્યારે હવે દિલ્હી એરપોર્ટ પર શિક્ષકોને તૈનાત કરવામાં આવશે.
નવી દિલ્હી : દુનિયામાં વધી રહેલા કોરોના સંક્રમણ વચ્ચે ભારત સરકાર પણ સતત એક્શન મોડમાં જોવા મળી રહી છે. ભારત સરકારે તમામ રાજ્યો માટે એડવાયઝરી પણ જારી કરી છે. હવે દિલ્હીથી એક મોટા સમાચાર મળી રહ્યા છે. ભારત સરકારે વિદેશથી આવતા યાત્રીઓના રેન્ડમ સેંપલિંગ કરવાની જાહેરાત કરી છે ત્યારે હવે દિલ્હી એરપોર્ટ પર શિક્ષકોને તૈનાત કરવામાં આવશે.
ચીન સહિતના દેશોમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે ત્યારે તમામ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર રેન્ડમ સેમ્પલિંગ કરવામાં આવી રહ્યુ છે ત્યારે હવે આના સુચારૂ સંચાલન માટે દિલ્હી એરપોર્ટ પર શિક્ષકોને તૈનાત કરવાનો નિર્ણય લેવાયો છે. દિલ્હી સરકારે 31 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી દિલ્હી એરપોર્ટ પર શિક્ષકોને તૈનાત કરવાનો નિર્ણય લીધો છે. અહીં તમને જણાવી દઈએ કે દિલ્હીમાં 15 જાન્યુઆરી સુધી શિયાળુ વેકેશન છે.
ચીનમાં કોરોનાને કારણે સ્થિતી કાબુ બહાર છે. અહીં મોટી સંખ્યામાં લોકો સંક્રમિત થતા હોસ્પિટલોમાં જગ્યા નથી મળી રહી. ખરાબ વ્યવસ્થા અને મોટી સંખ્યામાં સંક્રમિતોને કારણે હજારો લોકોના મોત થઈ રહ્યા છે. જો કે ભારત માટે રાહતના સમાચાર એ છે કે અહીં કેસમાં વધારો જોવા મળ્યો નથી. દિલ્હીમાં પણ કોરોના હોસ્પિટલમાં નવા દર્દીઓ નથી જોવા મળી રહ્યા.
હવે દિલ્હી સરકારે કોરોનાને લઈને લોકોને ન ગભરાવા અપીલ કરી છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સમીક્ષા બેઠક યોજી હતી અને કહ્યું કે, અમે કોરોના સામે લડવા તૈયાર છીએ. ગભરાવાની જરૂર નથી. તેમણે લોકોને બુસ્ટર ડોઝ લેવા પણ અપીલ કરી હતી. તેમણે કહ્યું કે અમે હોસ્પિટલોમાં કોરોના બેડ વધારી રહ્યા છીએ, જેથી લોકોને ઈમરજન્સીની સ્થિતિમાં મુશ્કેલીનો સામનો ન કરવો પડે.