કાશ્મીર મુદ્દે અમેરિકાના બેવડાં વલણની પોલ ખોલતું પુસ્તક
વૉશિંગ્ટન, 6 નવેમ્બર : પોતાના લાભમાં ડબલ ઢોલકી જેવી વાણી બોલતા અમેરિકાના વલણની પોલ ખુલી ગઇ છે. કાશ્મીર મુદ્દે અમેરિકા ભારત અને પાકિસ્તાન પર કેવી રીતે અંકુશ રાખી રહ્યું છે તેનો ઉલ્લેખ એક પુસ્તકમાં કરવામાં આવ્યો છે. આ પુસ્તક અમેરિકામાં પાકિસ્તાનના પૂર્વ રાજદૂત હુસૈન હક્કાનીએ લખ્યું છે.
કાશ્મીર મુદ્દે અમેરિકાના વલણને દર્શાવતા એક ઘટસ્ફોટ પ્રમાણે અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાએ પાકિસ્તાનને ઓફર કરી હતી કે જો તે આતંકવાદી સંગઠનનોને સમર્થન કરવાનું બંધ કરશે તો તે ભારત પર કાશ્મીર મુદ્દે દબાણ લાવશે. વર્ષ 2009માં અમેરિકાએ કરેલી આ ઓફરને પાકિસ્તાને તે સમયે ફગાવી દીધી હતી.
અમેરિકામાં પાકિસ્તાનના પૂર્વ રાજદૂત હુસૈન હક્કાનીએ પોતાના પુસ્તક 'મૈગ્નિફસેંટ ડેલ્યૂજંસ'માં આ ઘટસ્ફોટ કર્યો છે. તેમના કહ્યા પ્રમાણે 11 નવેમ્બર ઓબામાએ પાકિસ્તાનના વાડાપ્રધાન આસિફ અલી ઝરદારીને એક ગુપ્ત પત્ર લખ્યો હતો. યુએસ નેશનલ સિક્યુરિટી અડવાઇઝર જેમ્સ જોન્સે જાતે આ પત્ર આપ્યો હતો. હક્કાનીએ પોતાના પુસ્તકમાં લખ્યું છે કે આ પત્રમાં ઓબામાએ પાકિસ્તાનને લાંબા સમય સુધી મિત્ર રાષ્ટ્ર બનવાની રજૂઆત કરતા અલકાયદા, તહરીક એ તાલિબાન પાકિસ્તાન, લશ્કર એ તૈયબા, હક્કાની નેટવર્ક, અફ્ઘાન તાલિબાન સહિતના આતંકવાદી સંગઠનો વિરુદ્ધ સહકાર આપવા જણાવ્યું હતું.
હક્કાનીએ પુસ્તકમાં લખ્યું છે કે અમેરિકાના આ પત્રના જવાબમાં પાકિસ્તાનના વડાપ્રધાન ઝરદારીએ લખેલા પત્રમાં ભારત અને અફ્ઘાનિસ્તાનથી જોખમ હોવાની વાત કરી હતી. પુસ્તકમાં કરાયેલા દાવા પ્રમાણે આ પત્ર વિદેશ અને આઈએસઆઈના અધિકારીઓએ ડ્રાફ્ટ કર્યો હતો, આ સાથે જ પાકના આર્મી ચીફે અશફાક કયાનીએ જેમ્સ જોન્સને ૫૦ પાનાનો પોતાનો થિસીસ પણ સોંપી દીધો હતો. જેમાં પાકિસ્તાની હિતો અને જોખમોનો ઉલ્લેખ કરાયો હતો.
ઓબામાએ ઝરદારીને કહ્યું હતું કે જો તેઓ આતંકવાદ વિરુદ્ધ અમેરિકાને સમર્થન કરશે તો તેઓ કાશ્મીર મુદ્દે ભારત પર દબાણ લાવશે. જોકે તે સમયે પાકિસ્તાને આ દાવો ફગાવી દીધો હતો.