OPCWએ જીત્યો નોંબલ શાંતિ પુરસ્કાર, મલાલા ચૂકી
સ્ટોકહોમ, 11 ઓક્ટોબર : વિશ્વના દેશોમાં રાસાયણિક શસ્ત્રો પર ચાંપતી નજર રાખનાર અને આવા શસ્ત્રોને પૃથ્વી પરથી નાબૂદ કરવાના પ્રયાસો કરવા બદલ ઓર્ગેનાઈઝેશન ફોર ધ પ્રોહિબિશન ઓફ કેમિકલ વેપન્સ -OPCW સંસ્થાને આ વર્ષ માટેનો નોબેલ શાંતિ પુરસ્કાર 2013 આપવામાં આવ્યો છે. આ સાથે જ શાંતિ પુરસ્કાર મેળવવા માટેની પ્રબળ દાવેદાર પાકિસ્તાનની 16 વર્ષીય માનવઅધિકાર કાર્યકર્તા મલાલા યુસુફઝઇ આ પુરસ્કાર મેળવવાનું ચૂકી ગઇ છે.
ઓપીસીડબલ્યૂ સંસ્થાએ સિરીયાના કેમિકલ વેપન અને શસ્ત્રાગારનું સુપરવિઝન તેમજ તેને નિષ્ક્રિય કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. નોર્વેમાં આવેલા ઓસ્લો ખાતે નોબલ ઇન્સ્ટિટ્યુટ ખાતે નોર્વે નોબલ કમિટીના ચેરમેન થોર્બજોર્ને જગલેન્ડે આજે ઓસ્લોના સ્થાનિક સમય અનુસાર સવારે 11 વાગે આ અંગેની જાહેરાત કરી હતી. આ પુરસ્કાર ઓસ્લોમાં 10 ડિસેમ્બરના રોજ એનાયત કરવામાં આવશે. આ દિવસે સ્વીડિશ ઉદ્યોગપતિ આલફ્રેડ નોબલની પુણ્યતિથિ છે.
ઓપીસીડબલ્યૂ સંસ્થાએ રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતીન અને પાકિસ્તાનની સગીર વયની સામાજિક કાર્યકર્તા મલાલા યુસુફઝાઈ જેવી અનેક દિગ્ગજ વ્યક્તિઓ અને સંસ્થાઓને પાછળ રાખી દઈને શાંતિનું ઈનામ જીતી લીધું છે.
નોર્વેજિયન નોબેલ કમિટીએ જણાવ્યું છે કે ઓપીસીડબલ્યૂ સંસ્થાએ રાસાયણિક શસ્ત્રો પર નિયંત્રણ રાખવા માટે બજાવેલી કામગીરીની કદરરૂપે તેને નોબેલ શાંતિ ઈનામ માટે પસંદ કરવામાં આવી છે. આ સંસ્થાનું મુખ્યાલય નેધરલેન્ડ્સના હેગ શહેરમાં આવેલું છે. તેની સ્થાપના 1997માં કરવામાં આવી હતી.