મ્યાનમારમાં PM મોદી, આ મુલાકાત શા માટે મહત્વપૂર્ણ છે?
બ્રિક્સ 2017માં આતંકવાદના મુદ્દે જીત મેળવ્યા બાદ પીએમ નરેન્દ્ર મોદી પહોંચ્યા મ્યાનમાર.
મંગળવારે ચીન ખાતે બ્રિક્સ 2017ની બેઠક સમાપ્ત થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મ્યાનમાર પહોંચ્યા હતા. મ્યાનમારની મુલાકાત દરમિયાન નરેન્દ્ર મોદી ત્રણ સ્થળોએ જશે. સાથે તેઓ યાંગૂનના થુવાના સ્ટેડિયમમાં ભારતીય સમુદાયના લોકોને સંબોધિત પણ કરશે. તેઓ મ્યાનમારના સ્ટેટ કઉન્સેલર આંગ સાન સૂ કી અને રાષ્ટ્રપતિ ક્વાની પણ મુલાકાત લેનાર છે. પીએમ મોદીની આ પ્રથમ દ્વિપક્ષીય મ્યાનમાર યાત્રા દરમિયાન સુરક્ષા અને આંતકવાદના મુદ્દે ચર્ચા થશે.
ભારત માટે મ્યાનમાર મહત્વપૂર્ણ
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી મ્યાનમારના રાષ્ટ્રપતિ યૂ ચિન ક્વાના નિમંત્રણ પર 5થી 7 સપ્ટેમ્બર દરમિયાન મ્યાનમારની મુલાકાતે છે. મ્યાનમારની મુલાકાત પહેલાં પીએમ મોદીએ આશા વ્યક્ત કરી હતી કે, આ મુલાકાતમાં બંને દેશોનો આગળનો રોડમેપ તૈયાર થશે. ભારત મ્યાનમાર સાથે સ્ટ્રેટેજિક અને ઇન્ડસ્ટ્રીયલ સંબંધો મજબૂત કરવા માંગે છે. ભારતના ઉત્તર-પૂર્વ રાજ્યોના ઘણા ઉગ્રવાદીઓ મ્યાનમારમાં શરણ લે છે. ભારતના નાગાલેન્ડ અને મણિપુરની સીમા મ્યાનમારને અડીને આવેલી છે અને બંને રાજ્યોમાં ઉગ્રવાદનું પ્રમાણ ઘણું વધારે છે. આથી મ્યાનમાર સાથેના ભારતના સંબંધો ખૂબ મહત્વપૂર્ણ છે. વળી, સાઉથ-ઇસ્ટ એશિયાના દેશોમાં જવા માટે મ્યાનમાર ભારત માટે 'ગેટ વે'નું કામ કરશે, આ કારણે પણ ભારત માટે મ્યાનમાર ખૂબ મહત્વપૂર્ણ છે.
ચીન અને મ્યાનમાર
મ્યાનમારમાં મોટી માત્રામાં ખનીજ પદાર્થો છે, જેના પર ચીનની નજર છે. મ્યાનમારમાં ચીનનો પ્રભાવ વધી રહ્યો છે, જે ભારત માટે સારા સમાચાર નથી. ચીન દ્વારા મ્યાનમારને ઘણું ઉધાર આપવમાં આવ્યું છે, જેને કારણે મ્યાનમાર પર ચીનનો ઘણો દબાવ રહે છે. થોડા સમય પહેલાં જ મીડિયામાં એવી ખબરો આવી હતી કે, બંદર સોંપવા માટે મ્યાનમાર પર દબાણ કરવામાં આવી રહ્યું છે.