POK: જનતા પર મોંઘવારીનો માર, પાક પીએમ સરકારી ખર્ચે જલસા કરે છે
પાકિસ્તાનની પ્રજા મોંઘવારીને કારણે ત્રસ્ત છે અને પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન તેમની ચિંતા છોડીને કાશ્મીર રાગ આલાપી રહ્યા છે.
પાકિસ્તાનની પ્રજા મોંઘવારીને કારણે ત્રસ્ત છે અને પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન તેમની ચિંતા છોડીને કાશ્મીર રાગ આલાપી રહ્યા છે. તેઓ ભારત વિરુદ્ધ નિવેદનો આપીને આતંકી ષડયંત્રો રચવામાં વ્યસ્ત છે. મોંઘવારી સામે લડી રહેલી જનતાને રાહત આપવાના બદલે ઈમરાન ખાને સરકારી ખર્ચે 13 સપ્ટેમ્બરના રોજ POKના મુઝફ્ફરાબાદમાં સરકારી ખર્ચે મોટા જલસાનું આયોજન કર્યું છે.
આ જલસાનો ઉદ્દેશ્ય એટલો જ છે કે તેઓ દેખાડવા માંગે છે કે ભારતે કલમ 370 હટાવ્યા બાદ તેઓ કાશ્મીરના લોકોની સાથે છે. હવે આ સ્થિતિમાં પાકિસ્તાની પ્રજા કહી રહી છે કે અમને નજર અંદાજ કરીને કાશ્મીરીઓના સમર્થન માટેના જલસા પર આટલો મોટો ખર્ચ કેમ?
જલસામાં 'પોલિસી સ્ટેટમેન્ટ' રજૂ થશે
ઉલ્લેખનીય છે કે શુક્રવારે પાક અધિકૃત કાશ્મીરના મુઝફ્ફરાબાદમાં પાકિસ્તાન સરકારે વિશાળ રેલીનું આયોજન કર્યું છે. પાકિસ્તાની વિદેશ મંત્રાલયના કહેવા પ્રમાણે આ રેલીમાં પીએમ ઈમરાન ખાન કાશ્મીર પર પોલિસી સ્ટેટમેન્ટ રજૂ કરશે.
પાકિસ્તાનનું કહેવું છે કે તેઓ કાશ્મીર પર ત્રીજા પક્ષની મધ્યસ્થતા માટે તૈયાર છે. પાકિસ્તાની વિદેશ કાર્યાલયના પ્રવક્તા મોહમ્મદ ફૈઝલે ગુરુવારે મીડિયા સાથે વતાચીત દરમિયાન કહ્યું કે પાકિસ્તાન કાશ્મીર મુદ્દાનો ઉકેલ લાવવા માટે ત્રીજા પક્ષની મધ્યસ્થતા માનવા તૈયાર છે. તેમણે કહ્યું કે સમજૂતી આંતરરાષ્ટ્રીય કાયદા પ્રમાણે થવી જોઈએ. ફેઝલનું કહેવું છે કે,'(કાશ્મીર પર) મધ્યસ્થતાની રજૂઆત હતી, પરંતુ ભારત તૈયાર નથી. અમે આ માટે તૈયાર છીએ. અમારી નીતિ છે કે વાતચીત દ્વારા તમામ સમસ્યાનો ઉકેલ આવી શકે છે.' તેમણે કહ્યું કે વડાપ્રધાન ઈમરાન ખાન મુઝફ્ફરાબાદની રેલીમાં કાશ્મીર અંગે પોલિસી સ્ટેટમેન્ટનો ખુલાસો કરશે.
ઈમરાનને ડર છે કે POK જતું રહેશે
ઉલ્લેખનીય છે કે પીઓકેમાં આ રેલી પાછળનું કારણ છે કે ઈમરાન સરકારને પીઓકે ગુમાવવાનો ડર લાગી રહ્યો છે. કારણ કે શનિવારથી સોમવાર સુધી સતત પીઓકેમાં ઘણા સ્થળોએ હજારોની સંખ્યામાં પીઓકેની પ્રજાએ પાકિસ્તાન સરકાર વિરુદ્ધ બળવો પોકાર્યો હતો. તેમનો આરોપ હતો કે પાકિસ્તાની સૈન્ય અને પોલીસ તેમનું દમન કરી રહી છે. તો બીજી તરફ પાકિસ્તાની સરકાર પીઓકેની ખનીજ સંપત્તિનો લાભ લઈ રહ્યા છે, પરંતુ સ્થાનિકોને ખરાબ સ્થિતિમાં રહેવું પડી રહ્યું છે. લોકોએ પાકિસ્તાની સરકાર અને સૈન્ય વિરુદ્ધ નારા લગાવતા કહ્યું હતું યે તો દહેશતગર્દી હૈ, ઈસકે પીછે વર્દી હે. પાક સે ચાહિયે આઝાદી આઝાદીના નારા પણ સંભળાયા હતા. આ જનસભા કરીને પાકિસ્તાની સરકાર શક્તિ પ્રદર્શન કરી રહી છે.
ઈસ્લામાબાદમાં ઈમરાનની સભા હતી ફ્લોપ
હજી કેટલાક દિવસો પહેલા જ ઈમરાન સરકારે બપોરે 12 વાગે કાશ્મીરમાંથી 270 હટાવવાનો વિરોધમાં સભાનું આયોજન કર્યું હતું. માત્ર 12 મિનિટમાં જ સભા નિષ્ફળ ગઈ હતી. એટલું જ નહીં પાકિસ્તાનમાં ભૂખમરા સામે લડી રહેલી પબ્લિકે સરકાર વિરુદ્ધ જ નારા લગાવ્યા હતા. આ રેલી પણ સરકારી ખર્ચે યોજાઈ હતી. એટલું જ નહીં અહીંના લોકો પણ પાકિસ્તાની સરકારની નિષ્ફળતાની પોલ ખોલી રહ્યા છે.
શું ખરેખર ઘાસ ખાવાના દિવસો આવ્યા
જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટ્યા બાદ ભારત સામેની દુશ્મની પાકિસ્તાનને મોંઘી પડી રહી છે. આર્થિક મંદી સામે લડી રહેલા પાકિસ્તાનમાં હવે લોકોને ખાવા પીવાની ચીજવસ્તુઓ નથી મળી રહી. પાકિસ્તાનમાં ખાણીપીણીની વસ્તુઓની એટલી કમી છે કે મોહર્રમ પર દૂધ 140 રૂપિયે લિટર વેચાયુ હતું. દૂધ જ નહીં પાકિસ્તાનમાં ખાણીપીણીની અન્ય ચીજો અને એટલે સુધી કે દવાના ભાવ પણ આસમાને છે. એટલે જ ભારત સામે વેપાર બંધ કરવાની જાહેરાત કરનાર પાકિસ્તાને હવે ધીરે ધીરે ભારતમાંથી દવાની આયાત શરૂ કરી છે. આ જ રીતે પેટ્રોલ સહિત અન્ય ચીજવસ્તુઓના ભાવ પણ વધી રહ્યા છે. સ્થિતિ એ છે કે લોકો હવે પાકિસ્તાની સરકારને સવાલ કરી રહ્યા છે કે શું હવે અમે ઘાસની રોટલી ખાઈએ?
પાકિસ્તાની પ્રજાએ આમની હામાં પાડી હતી હા
ઉલ્લેખનીય છે કે 1874માં ભારતે પોખરણમાં પહેલા પરમાણુ બોમ્બનું પરીક્ષણ કર્યું હતું. ત્યારે પાકિસ્તાનના તત્કાલીન વડાપ્રધાન ઝુલ્ફીકાર અલીભૂટ્ટોએ કહ્યું હતું કે,'અમે ભલે ઘાસની રોટલી ખાઈશું, પણ પરમાણું બોમ્બ જરૂર બનાવીશું.' ભૂટ્ટોના આ નિવેદનને લઈને જ હવે નાગરિકો સરકારને સવાલ પૂછી રહ્યા છે કે શું હવે અમારે ઘાસની રોટલી ખાવી પડશે. સોશિયલ મીડિયા પર લોકો કમેન્ટ કરી રહ્યા છે કે ભૂટ્ટોએ કહ્યું હતું કે જરૂર પડી તો ઘાસની રોટલી ખાઈશું, ત્યારે પ્રજાએ હામાં હા મિલાવી હતી. હવે આ વાયદો પૂરો કરવાનો સમય આવ્યો છે. તો કેટલાક લોકો મજાકમાં કહી રહ્યા છે કે રોટી, નાન, દૂધના વધતા ભાવ સામે ઘાસ ખૂબ જ સસ્તુ છે.
આ પણ વાંચો: પાકિસ્તાનના વિદેશ મંત્રી બોલ્યા, અચાનક થઇ શકે છે યુદ્ધ