રાજીવ ગાંધી હત્યાકાંડમાં દોષિત શ્રીલંકન નાગરિક સંથનનુ હૉસ્પિટલમાં મોત, જાણો કોણ હતો, એણે શું કર્યુ હતુ?
Rajiv Gandhi Assassination Case: ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીની હત્યામાં દોષિત શ્રીલંકાના નાગરિક સંથનનું હૉસ્પિટલમાં મૃત્યુ થયું છે. રાજીવ ગાંધી હત્યા કેસમાં દોષિત ઠેરવવામાં આવેલા અને બાદમાં મુક્ત કરવામાં આવેલા સંથનનું અવસાન થયું છે તેમ હૉસ્પિટલના એક અધિકારીએ બુધવારે જણાવ્યું હતું.
સંથન ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીની હત્યામાં દોષિત શ્રીલંકન નાગરિક હતો અને તેને 2022માં મુક્ત કરવામાં આવ્યો હતો. લગભગ 15 દિવસ પહેલા, તમિલનાડુ સરકારે મદ્રાસ હાઈકોર્ટને કહ્યું હતું કે ચેન્નાઈમાં શ્રીલંકાના ડેપ્યુટી હાઈ કમિશને સંથનને અસ્થાયી મુસાફરી દસ્તાવેજ જાહેર કર્યો હતો.

સંથનનું આખું નામ સુતેન્દ્રરાજા ટી ઉર્ફે સંથન હતું અને તેની મુક્તિ પછી તેને તિરુચિરાપલ્લીમાં વિશેષ શિબિરમાં રાખવામાં આવ્યો હતો.
સંથનનું મૃત્યુ કેવી રીતે થયું?
સંથન એ સાત આરોપીઓમાંનો એક હતો જેમને 1991માં ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીની હત્યા માટે 20 વર્ષથી વધુની જેલની સજા ફટકારવામાં આવી હતી અને 2022માં સુપ્રીમ કોર્ટે તેમને મુક્ત કર્યા હતા. રાજીવ ગાંધી સરકારી જનરલ હૉસ્પિટલના ડીન ઇ થેરાનીરાજને જણાવ્યું હતું કે સંથનનું સવારે 7.50 વાગ્યે મૃત્યુ થયું હતું.
સંથન હૉસ્પિટલમાં "લિવર ફેલ્યોર" માટે સારવાર લઈ રહ્યો હતો. થેરાનીરાજને પત્રકારોને જણાવ્યું હતું કે બુધવારે સવારે 4 વાગ્યાની આસપાસ તેને કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હતો પરંતુ CPR (કાર્ડિયોપલ્મોનરી રિસુસિટેશન) પ્રક્રિયા બાદ તેને બચાવી લેવામાં આવ્યો હતો અને ત્યારથી તે વેન્ટિલેટર પર હતો. જો કે, સંથન પર સારવારની કોઈ અસર થઈ નહોતીઅને આજે સવારે 7.50 વાગ્યે તેનું મૃત્યુ થયું હતું. તેમણે કહ્યું કે, "પોસ્ટમોર્ટમ હાથ ધરવામાં આવશે. મૃતદેહને શ્રીલંકા મોકલવા માટે કાનૂની વ્યવસ્થા ચાલી રહી છે,"
ડીને જણાવ્યું હતું કે, 27 જાન્યુઆરીએ તિરુચિરાપલ્લીમાં એક વિશેષ શિબિરમાંથી મૃતક સંથનને "લિવર ફેલ્યોર" ના કારણે ચેન્નાઈની એક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
અગાઉ ફાંસીની સજા આપવામાં આવી હતી
જોકે 1991માં ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીની હત્યામાં સામેલ થવા બદલ સંથનને શરૂઆતમાં મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી, પરંતુ પાછળથી તેની સજાને આજીવન કેદમાં ફેરવવામાં આવી હતી. 32 વર્ષથી વધુ જેલમાં વિતાવ્યા પછી, તે નવેમ્બર 2022માં અન્ય પાંચ દોષિતો સાથે મુક્ત થયો હતો.
મુક્તિ પછી, તમામ દોષિતોને ત્રિચી સેન્ટ્રલ જેલ સંકુલમાં એક વિશેષ કેમ્પમાં રાખવામાં આવ્યા હતા, કારણ કે તેઓ શ્રીલંકાના નાગરિક હતા પરંતુ તેમની પાસે પાસપોર્ટ ન હતા. સંથને તેની વૃદ્ધ માતા સાથે પુનઃ મળવા માટે શ્રીલંકા પ્રવાસની સુવિધા આપવા માટે મદ્રાસ હાઈકોર્ટમાં અરજી કરી હતી.












Click it and Unblock the Notifications
