સવિતાની મોતથી આયર્લેન્ડમાં કાયદો બદલાયો
મતદાન દરમિયાન 127 સાંસદો તેના પક્ષમાં હતા. જ્યારે 31 સાંસદોએ ગર્ભપાતને કાયદેસર બનાવવાનો વિરોધ કર્યો. મોટા ભાગના સાંસદોએ એ વાત પર સહમતી દર્શાવી કે જો ડૉક્ટરને એવું લાગે કે ગર્ભપાત નહીં કરવાથી ગર્ભવતી મહિલાની મોત થઇ શકે છે તો આવી સ્થિતિમાં ગર્ભપાત માટે પરવાનગી આપી દેવી જોઇએ.
વાસ્તવમાં આયર્લેન્ડ એક કેથોલિક દેશ છે. આ કારણે અહીં ગર્ભપાત કરાવવો કાયદાકીય ગુનો હતો. પરંતુ ગયા વર્ષે ભારતીય મૂળની ગર્ભવતી મહિલા સવિતા હલપ્પનવારની ગર્ભ પડાવી દેવાથી એટલે કે મિસકેરેજને કારણે થયેલી મોત બાદ ત્યાં ગર્ભપાત સંબંધિત કાયદા અંગે ચર્ચા છેડાઇ હતી.
31 વર્ષની સવિતા ઓક્ટોબર, 2012માં હોસ્પિટલમાં ભરતી થઇ હતી. જ્યાં તેનો ગર્ભ પડી ગયો હતો. આના એક સપ્તાહ બાદ સેપ્ટિસેમિયાને કારણે તેનું મોત થયું હતું. તેના પતિએ આરોપ લગાવ્યો હતો કે હોસ્પિટલે તેની ગર્ભપાત કરવાની અરજી ધ્યાનમાં લીધી ન હતી. આ કેસની તપાસમાં જાણવા મળ્યું કે તેને ગર્ભપાત કરવાની મંજૂરી એટલા માટે આપવામાં ના આવી કારણ કે તેના જીવને કોઇ જોખમ ન હતું.
છેવટે જ્યારે ડોક્ટર્સને સમજાયું કે સવિતાના જીવને જોખમ છે ત્યારે ઘણું મોડું થઇ ગયું હતું. સવિતાના પતિએ જણાવ્યું કે સમયસર ગર્ભપાત કરી દેવામાં આવ્યો હોત તો તેમની પત્ની આજે જીવિત હોત. આ મુદ્દે આયર્લેન્ડ અને ભારત સહિતના દેશોમાં આયર્લેન્ડના ગર્ભપાત વિરોધી કાયદા મુદ્દે ચર્ચા છેડાઇ હતી.