શેખ હસીનાને મૃત્યુદંડ, બાંગ્લાદેશે તત્કાલ પ્રત્યાર્પણ માટે ભારતને પત્ર મોકલ્યો
બાંગ્લાદેશની વચગાળાની સરકારે પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને ફાંસીની સજા સંભળાવ્યાના થોડા કલાકો બાદ જ ભારત પાસેથી તેમના તાત્કાલિક પ્રત્યાર્પણની ઔપચારિક માંગ કરી છે. બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયે રાજદ્વારી પત્રમાં 2013ની ભારત સાથેની પ્રત્યાર્પણ સંધિનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, હસીનાને પરત સોંપવી એ નવી દિલ્હીની અનિવાર્ય જવાબદારી છે.
મંત્રાલયે ચેતવણી આપી છે કે માનવતા વિરુદ્ધના ગુનાઓમાં દોષિત ઠરેલા આ વ્યક્તિઓને અન્ય કોઈ દેશ દ્વારા શરણ આપવું અત્યંત બિનમૈત્રીપૂર્ણ કાર્ય હશે અને ન્યાય પ્રત્યે ઉપેક્ષા દર્શાવશે.

આ નિવેદન ઇન્ટરનેશનલ ક્રાઈમ્સ ટ્રિબ્યુનલ (ICT) ના નિર્ણયના તુરંત બાદ આવ્યું છે, જેમાં હસીનાને 2024ના વિદ્યાર્થી આંદોલન દરમિયાન થયેલી હિંસા માટે દોષિત ઠેરવવામાં આવ્યા હતા. આ ઘટનાક્રમ બાંગ્લાદેશના રાજકારણમાં નવો વળાંક લાવી શકે છે, ખાસ કરીને ફેબ્રુઆરી 2026માં યોજાનારી પ્રથમ સામાન્ય ચૂંટણી પહેલાં.
ઓગસ્ટ 2024થી દિલ્હીમાં દેશનિકાલ ભોગવી રહેલાં હસીનાએ આ નિર્ણયને ફગાવી દીધો છે. ભારતે હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપી નથી, પરંતુ નિષ્ણાતોનું માનવું છે કે નવી દિલ્હી સંધિની જોગવાઈઓનો હવાલો આપીને પ્રત્યાર્પણનો ઇનકાર કરી શકે છે.
ICT નો નિર્ણય શું છે? ત્રણ મુખ્ય આરોપોમાં ફાંસીની સજા
17 નવેમ્બરના રોજ ઢાકાના ICT એ શેખ હસીનાને માનવતા વિરુદ્ધના ગુનાઓ માટે ફાંસીની સજા સંભળાવી. ટ્રિબ્યુનલે તેમને ત્રણ કેસોમાં દોષિત ઠેરવ્યા: (1) વિદ્યાર્થી આંદોલન દરમિયાન ઉશ્કેરણી, (2) હત્યાઓનો આદેશ આપવો, અને (3) હિંસા રોકવામાં નિષ્ફળતા.
સંયુક્ત રાષ્ટ્રના અહેવાલ મુજબ, જુલાઈ-ઓગસ્ટ 2024ની હિંસામાં લગભગ 1,400 લોકો માર્યા ગયા હતા, જેમાં મોટાભાગના વિદ્યાર્થીઓ હતા. આ સાથે પૂર્વ ગૃહમંત્રી અસદુઝ્ઝમાન ખાન કમાલને પણ ફાંસી અને પૂર્વ પોલીસ મહાનિર્દેશક ચૌધરી અબ્દુલ્લા અલ-મામૂનને 5 વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે.
આ કેસ હસીનાની ગેરહાજરીમાં ચાલ્યો, કારણ કે તેઓ ભારતમાં છે. કોર્ટમાં નિર્ણય સંભળાવતા જ પીડિત પરિવારોએ તાળીઓ પાડી અને ઢાકા યુનિવર્સિટી પર મીઠાઈઓ વહેંચવામાં આવી. પરંતુ અવામી લીગે તેને રાજકીય ષડયંત્ર ગણાવીને દેશવ્યાપી હડતાળની જાહેરાત કરી છે. ઢાકામાં સુરક્ષા સઘન કરવામાં આવી છે, પોલીસને ફાયર એટ સાઈટના આદેશ અપાયા છે.
શેખ હસીનાના પ્રત્યાર્પણની માંગ: વિદેશ મંત્રાલયનો પત્ર, સંધિનો ઉલ્લેખ - તાત્કાલિક સોંપો
બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયે સોમવારે સવારે જ ભારતને નોટ વર્બલ (ઔપચારિક રાજદ્વારી પત્ર) મોકલ્યો. તેમાં જણાવાયું છે કે, ભારત સરકારે આ દોષિત વ્યક્તિઓ - શેખ હસીના અને અસદુઝ્ઝમાન ખાન કમાલને તાત્કાલિક બાંગ્લાદેશી અધિકારીઓને સોંપવા પડશે.
મંત્રાલયે 2013ની દ્વિપક્ષીય પ્રત્યાર્પણ સંધિના અનુચ્છેદ 8 નો ઉલ્લેખ કર્યો, જે હત્યા જેવા ગુનાઓને પ્રત્યાર્પણને પાત્ર ગણે છે. કાયદાકીય સલાહકાર આસિફ નઝરુલે કહ્યું, 'આ સંધિ હેઠળ બંધનકર્તા કર્તવ્ય છે. ભારતે ન્યાયનું સન્માન કરવું જોઈએ.'
મંત્રાલયે ભારપૂર્વક જણાવ્યું કે શરણ આપવું બિનમૈત્રીપૂર્ણ હશે, જે દ્વિપક્ષીય સંબંધોને અસર કરી શકે છે. ડિસેમ્બર 2024માં પણ આવી જ વિનંતી મોકલવામાં આવી હતી, પરંતુ ભારતે મૌન સેવ્યું હતું. હવે ICT ના નિર્ણય બાદ દબાણ વધી ગયું છે.
78 વર્ષીય હસીના ઓગસ્ટ 2024માં વિદ્યાર્થી વિદ્રોહ બાદ હેલિકોપ્ટર દ્વારા ભારત ભાગી આવ્યાં હતાં. તેમના પુત્ર સાજીબ વાજેદના જણાવ્યા મુજબ, તેઓ દિલ્હીના એક સુરક્ષિત ઘરમાં છે, જ્યાં ભારતીય સુરક્ષા એજન્સીઓ 24x7 પહેરો આપી રહી છે.
હસીનાએ તાજેતરમાં હિન્દુસ્તાન ટાઈમ્સને ઈમેલમાં જણાવ્યું હતું કે, 'ગયા વર્ષે મને સુરક્ષિત આશ્રય આપવા બદલ હું ભારતીય લોકો પ્રત્યે હૃદયપૂર્વક આભારી છું.' પરંતુ તેમણે બાંગ્લાદેશી કોર્ટના સમન્સને અવગણ્યું, જેણે તેમને સુનાવણીમાં હાજર રહેવાનો આદેશ આપ્યો હતો.












Click it and Unblock the Notifications
