બ્રિટનના પહેલા ભારતીય મૂળના PM બનીને ઈતિહાસ રચના ઋષિ સુનકના પરિવાર વિશે જાણો
આવો જાણીએ ઋષિ સુનકના પરિવાર, ઈંગ્લેન્ડમાં વસવાટ અને તેમની રાજકીય યાત્રા વિશે...
ભારતીય મૂળના ઋષિ સુનકે બ્રિટનના પીએમ બનીને ઈતિહાસ રચી દીધો છે. બોરિસ જૉનસના પાછળ હટ્યા બાદ પ્રધાનમંત્રી પદની રેસમાં તેઓ સૌથી આગળ હતા. 42 વર્ષીય ઋષિ સુનક આ પદ સંભાળનાર સૌથી નાની ઉંમરના અને ભારતીય મૂળના પહેલા વ્યક્તિ છે. કરોડો ભારતીયોમાં ઉત્સાહનો માહોલ છે. ભારતમાં મોટી સંખ્યામાં લોકો ઈચ્છતા હતા કે ઋષિ સુનક જ બ્રિટનના પ્રધાનમંત્રી બને કારણકે તેમનુ મૂળ ભારતીય છે. આવો જાણીએ ઋષિ સુનકના પરિવાર, ઈંગ્લેન્ડમાં વસવાટ અને તેમની રાજકીય યાત્રા વિશે...
'મારા જીવનનુ સૌથી મોટુ સૌભાગ્ય'
ઋષિ સુનકે યુકેની સંસદમાં ભગવદ ગીતાને લઈને સાંસદ તરીકે શપથ લીધા હતા. આમ કરનાર તેઓ પ્રથમ બ્રિટિશ સંસદસભ્ય હતા. ઋષિ સુનક પહેલીવાર વર્ષ 2015માં રિચમંડ, યોર્કશાયરથી સાંસદ બન્યા હતા. ત્યારથી ઋષિ સુનક ત્યાં સતત સાંસદ છે. તેમના પ્રથમ સંબોધનમાં સુનકે કહ્યુ, 'આ મારા જીવનનુ સૌથી મોટુ સૌભાગ્ય છે. હું વિકાસ માટે દિવસ-રાત કામ કરીશ.'
આફ્રિકાથી ઈંગ્લેન્ડ શિફ્ટ થયા
ઋષિ સુનકનો જન્મ 12મે 1980ના રોજ યુકેના સાઉથેમ્પટનમાં થયો હતો. તેમની માતાનુ નામ ઉષા સુનક અને પિતાનુ નામ યશવીર સુનક હતુ. ત્રણ ભાઈ-બહેનોમાં તેઓ સૌથી મોટા છે. તેમના દાદા-દાદી પંજાબના હતા. 1960માં તેઓ તેમના બાળકો સાથે પૂર્વ આફ્રિકા ગયા. બાદમાં તેમનો પરિવાર ઈંગ્લેન્ડ શિફ્ટ થઈ ગયો. ત્યારથી સુનકનો આખો પરિવાર ઈંગ્લેન્ડમાં રહે છે. ઋષિ સુનકના પિતા યશવીર સુનક નેશનલ હેલ્થ સર્વિસમાં ડૉક્ટર હતા અને માતા કેમિસ્ટની દુકાન ચલાવતી હતી.
અક્ષતા મૂર્તિ સાથે લગ્ન
ઋષિ સુનકે ઈન્ફોસિસના વડા નારાયણ મૂર્તિની પુત્રી અક્ષતા મૂર્તિ સાથે લગ્ન કર્યા છે. અક્ષતા મૂર્તિ બ્રિટિશ-ભારતીય ફેશન ડિઝાઇનર છે. ઋષિ સુનકને કૃષ્ણા અને અનુષ્કા નામની બે દીકરીઓ છે. ઋષિ સુનક તેમની પત્ની અને બંને પુત્રીઓ સાથે અવારનવાર સાસરિયાઓને મળવા બેંગલોર જાય છે. અક્ષતા મૂર્તિનો પરિવાર બેંગ્લોરમાં જ રહે છે. ઋષિ સુનક સ્ટેનફૉર્ડ યુનિવર્સિટીમાં એમબીએના અભ્યાસ દરમિયાન અક્ષતા મૂર્તિને મળ્યા હતા. અભ્યાસ દરમિયાન બંને એકબીજાને દિલ દઈ બેઠા હતા. 2009માં બંનેએ બેંગ્લોરમાં ભારતીય રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. અક્ષતા ઈંગ્લેન્ડમાં પોતાની ફેશન બ્રાન્ડ પણ ચલાવે છે. આજે તેઓ ઇંગ્લેન્ડની સૌથી ધનિક મહિલાઓમાંની એક છે.
અભ્યાસ અને નોકરી-વ્યવસાય
ઋષિ સુનકે પ્રારંભિક શિક્ષણ ઈંગ્લેન્ડની 'વિન્ચેસ્ટર કોલેજ'માંથી કર્યુ હતુ. તેણે આગળનો અભ્યાસ ઑક્સફર્ડમાંથી કર્યો. 2006માં તેમણે સ્ટેનફૉર્ડ યુનિવર્સિટીમાંથી એમબીએની ડિગ્રી પણ મેળવી હતી. સ્ટેનફૉર્ડ યુનિવર્સિટીમાંથી એમબીએ કર્યા પછી ઋષિને 'ગોલ્ડમેન સેક્સ'માં નોકરી મળી. ઋષિ શરૂઆતથી જ ખૂબ જ તેજસ્વી રહ્યા છે. 2009માં તેમણે નોકરી છોડી દીધી અને પોતાનો વ્યવસાય શરૂ કર્યો. તે પછી તેમનો વેપાર વધતો ગયો. 2013માં તેઓ અને તેમની પત્નીને કેટામરન વેન્ચર્સ યુકે લિમિટેડના ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમણે 2015માં ફર્મમાંથી રાજીનામુ આપી દીધુ હતુ પરંતુ તેમની પત્ની તેની સાથે જોડાયેલા રહ્યા હતા. આ કંપનીની સ્થાપના અક્ષતાના પિતા એન. નારાયણ મૂર્તિએ કરી છે.
ભગવદ ગીતામાં અપાર શ્રદ્ધા
ઋષિ સુનકને ભગવદ ગીતામાં અપાર શ્રદ્ધા છે. ઋષિએ તેમના એક નિવેદનમાં કહ્યુ હતુ કે તણાવપૂર્ણ પરિસ્થિતિઓમાં તેઓ વારંવાર ભગવદ ગીતા વાંચે છે જે તેમને હિંમત આપે છે. ઋષિ સુનક કહે છે કે ભગવદ ગીતા તણાવપૂર્ણ પરિસ્થિતિઓમાં તેમનુ રક્ષણ કરે છે અને તેમને કાર્ય કરવા માટે પ્રેરિત કરે છે. ઋષિ સુનકે 2014માં પહેલીવાર રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. 2015માં તેમણે રિચમન્ડથી ચૂંટણી લડી હતી અને જીતી હતી. 2017માં તેમણે ફરી એકવાર જીત મેળવી હતી. આ પછી 13 ફેબ્રુઆરી 2020ના રોજ તેમને ઇંગ્લેન્ડના નાણાંમંત્રી બનાવવામાં આવ્યા.
ઋષિ સુનકની કુલ સંપત્તિ
રિપોર્ટ મુજબ ઋષિ સુનકની કુલ સંપત્તિ 700 મિલિયન પાઉન્ડથી વધુ છે. ઋષિ સુનકનો યૉર્કશાયરમાં આલીશાન વિલા છે. ઋષિ અને તેમના પત્ની અક્ષતા કેન્સિંગ્ટન, સેન્ટર લંડનમાં પ્રોપર્ટી ધરાવે છે. દરેક ભારતીયની જેમ ઋષિ સુનક પણ ક્રિકેટને પસંદ કરે છે. તેઓ ફિટ રહેવા માટે ક્રિકેટ રમે છે. તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી બોરિસ જૉન્સન પર આરોપ લાગ્યા ત્યારે ઋષિ સુનકે રાજીનામુ આપી દીધુ હતુ. આ પછી જૉન્સન કેબિનેટના ઘણા મંત્રીઓએ રાજીનામા આપ્યા. આ પછી નવા વડાપ્રધાન માટે ચૂંટણી શરૂ થઈ. આમાં ઋષિ સુનક પ્રબળ દાવેદાર તરીકે ઉભરી આવ્યા હતા.