યુક્રેન-રશિયા યુદ્ધ પુરૂ થવાના એંધાણ, જાણો શું કહ્યું રશિયન રાષ્ટ્રપતિએ?
રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને G20 મુખ્ય અર્થવ્યવસ્થાઓની વર્ચ્યુઅલ સમિટમાં રશિયા-યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવાના સંકેત આપ્યા છે. તેમણે કહ્યું કે, હવે યુક્રેન સાથે યુદ્ધ ખતમ કરવાનો સમય આવી ગયો છે.
પુતિને કહ્યું કે, યુક્રેનમાં યુદ્ધની ત્રાસદીને કેવી રીતે અટકાવવી તે વિશે વિચારવું મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું કે, અમે વાતચીત માટે તૈયાર છીએ. રશિયાએ ક્યારેય યુક્રેન સાથે શાંતિ વાટાઘાટોમાં ભાગ લેવાનો ઈન્કાર કર્યો નથી.

પુતિને કહ્યું કે, યુક્રેનના કાયદાના કારણે જ શાંતિ મંત્રણા અટકી છે. હા, અલબત્ત, લશ્કરી કાર્યવાહી હંમેશા એક ત્રાસદી છે. પુતિને વર્તમાન અધ્યક્ષ ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બોલાવવામાં આવેલી વર્ચ્યુઅલ G20 બેઠકમાં આ કહ્યું.
તેમણે કહ્યું કે, ઘણા દેશોના નેતાઓએ કહ્યું છે કે તે રશિયાના હુમલાથી ચોંકી ગયા છે. હું માનું છું કે હા, આ લશ્કરી કાર્યવાહી ચોંકાવનારી છે. લશ્કરી કામગીરી હંમેશા ત્રાસદી લાવે છે. હવે યુક્રેનમાં યુદ્ધની ત્રાસદી રોકવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
તેમના ભાષણમાં પુતિને જી-20 નેતાઓને કેટલાક પ્રશ્નો પણ કર્યા. પુતિને કહ્યું કે, યુક્રેન યુદ્ધથી હચમચી ગયેલા લોકોને ગાઝામાં થયેલા મૃત્યુથી કોઈ અસર કેમ નથી થઈ રહી?
પુતિને કહ્યું કે, હા, હું સમજું છું કે યુદ્ધ જીવના નુકસાન અને આઘાત સિવાય બીજું કંઈ લાવી શકે નહીં. પરંતુ શું 2014માં યુક્રેનમાં થયેલ લોહિયાળ બળવા અને તેના પછીના ડોનબાસમાં કિવ શાસનનું તેના જ લોકો સામેનું યુદ્ધ આઘાતજનક નથી?
પુતિને સવાલ કરતા કહ્યું કે, આજે પેલેસ્ટાઈન અને ગાઝા પટ્ટીમાં નાગરિક વસ્તીનો વિનાશ આઘાતજનક નથી? શું એ ચોંકાવનારું નથી કે ડૉક્ટરોએ એનેસ્થેસિયા આપ્યા વિના જ બાળકોનું ઑપરેશન કરવું, પેટની શસ્ત્રક્રિયા કરવી અને બાળકના શરીર પર સ્કેલ્પલ્સનો ઉપયોગ કરવો પડે છે?
પુતિને આગળ પૂછ્યું કે, શું તે આઘાતજનક નથી કે સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવે કહ્યું કે ગાઝા બાળકોના વિશાળ કબ્રસ્તાનમાં ફેરવાઈ ગયું છે.
આ પહેલા એક વરિષ્ઠ રશિયન અધિકારીએ કહ્યું હતું કે મોસ્કો કિવમાં વર્તમાન સરકાર સાથે સહ-અસ્તિત્વ ન રાખી શકે અને તે યુક્રેનને અસૈનિકીકરણ કરવા માટે તેની વિશેષ લશ્કરી કામગીરી ચાલુ રાખશે.
યુક્રેને રશિયા સામે લડવાની પ્રતિજ્ઞા લીધી છે જ્યાં સુધી રશિયાના છેલ્લા સૈનિકો તેમનો વિસ્તાર છોડશે નહીં. બીજી તરફ પશ્ચિમી સાથીઓએ કહ્યું છે કે તેઓ કિવને સમર્થન આપવાનું ચાલુ રાખશે.
રશિયાએ 24 ફેબ્રુઆરી 2022ના રોજ યુક્રેન પર હુમલો કર્યો હતો. આ યુદ્ધમાં બંને દેશોને ઘણું નુકસાન થયું છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને લશ્કરી સાધનો નાશ પામ્યા છે. આ યુદ્ધમાં બંને પક્ષોના હજારો લોકો અને સૈનિકો માર્યા ગયા છે.












Click it and Unblock the Notifications
