યુક્રેનની સેનાને પુતિને કહ્યુ - હથિયાર મૂકી દો અને ઘરે જાવ, અમે ખૂન-ખરાબો નથી ઈચ્છતા
વ્લાદિમિક પુતિને યુક્રેનની સેનાને સ્પષ્ટ રીતે કહ્યુ છે કે તે પોતાના હથિયાર મૂકીને ઘરે જતા રહે.
કીવઃ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને યુક્રેન સામે યુદ્ધનુ એલાન કરી દીધુ છે. રાષ્ટ્રપતિ પુતિને પોતાના સંબોધનમાં કહ્યુ કે અમે યુક્રેનની અંદર વિશેષ સૈન્ય ઑપરેશનની શરુઆત કરી છે. પુતિનના આ એલાન બાદથી જ યુક્રેનના ઘણા ભાગોમાં ભારે બૉમ્બમારો જોવા મળી રહ્યો છે. વ્લાદિમિર પુતિને યુક્રેનની સેનાને સ્પષ્ટ રીતે કહ્યુ છે કે તે પોતાના હથિયાર મૂકીને ઘરે જતા રહે. પુતિને યુક્રેનના સૈનિકોને અપીલ કરી છે કે તે વૉર ઝોનમાં હથિયાર મૂકીને પોતાના ઘરે પાછા જતા રહે. તેમણે યુક્રેનને ચેતવણી આપી છે કે જો ખૂન-ખરાબો થશે તો તેના માટે તે ખુદ જવાબદાર હશે.
જો કે, વ્લાદિમિર પુતિને પોતાના સંબોધનમાં કહ્યુ છે કે યુક્રેન પર કબ્જો કરવાની અમારી કોઈ યોજના નથી. યુક્રેનમાં લોકોને એ વાતની પૂરી સ્વતંત્રતા મળશે કે તે પોતાનુ નેતૃત્વ પસંદ કરી શકે અને એ જ લોકો પોતાનો દેશ ચલાવશે.
વળી, રશિયા તરફથી યુદ્ધના એલાન બાદ યુક્રેનના વિદેશ મંત્રી દિમિત્રો કુલેબાએ આની પુષ્ટિ કરીને કહ્યુ કે પુતિને સંપૂર્ણપણે યુક્રેન પર હુમલો કરી દીધો છે. શાંતિપૂર્ણ યુક્રેનના શહેરો પર હુમલા થઈ રહ્યા છે. આ જાણીજોઈને કરવામાં આવેલુ ઉકસાવનારુ પગલુ છે. યુક્રેન ખુદની રક્ષા કરશે અને જીતશે. દુનિયા પુતિનને રોકી શકે અને તેણે જરુર રોકવી જોઈએ. આ એક્શનનો સમય છે.