સિરીયાથી 500 કિમી દૂર પીએમ મોદીએ આપી આતંકથી લડવાની ચાવી
ISISના મજબૂત ગઢ સિરીયાથી માત્ર 500 કિમી દૂર તૂર્કીના અંટાલ્યા શહેરમાં રવિવારે જી-20 સમિટની શરૂઆત થઇ ગઇ છે. આ સમિટનો હેતુ પહેલા ક્લાઇમેન્ટ ચેન્જ પર ચર્ચા કરવાનો હતો. પરંતુ શુક્રવારે પેરિસમાં થયેલા ખતરનાક આતંકી હુમલા બાદ આ સમિટમાં હવે આતંકવાદની ચર્ચા થઇ રહી છે. કારણ છે ISIS નામનો રાક્ષસ, જે કોઇ પણ શક્તિનો ઉપયોગ કરવા છતા નાશ થવાનું નામ નથી લઇ રહ્યો.
ભારત આતંકવાદનો સામનો પાછલા 6 દશકથી કરી રહ્યો છે. જી-20 સમિટ દરમ્યાન જ્યારે પીએમ નરેન્દ્ર મોદી પહોંચ્યા ત્યારે તેમણે દુનિયાને આ મહામારી સામે લડવાની ફોર્મ્યુલા આપી. ખાસ વાત તો એ છેકે આ સમિટમાં અમેરિકા, બ્રિટન, રૂસ, જર્મની, અને એવા જ કેટલાક શક્તિશાળી દેશો પણ શામેલ હતા.
પીએમ નરેન્દ્ર મોદીની આ ફોર્મ્યુલા વધુ ખાસ બની જાય છે, ત્યારે કે જ્યારે ભારતનું પ્રતિનિધિત્વ કરતા પીએમ મોદીએ યુનાઇટેડ નેશન્સમાં આતંકવાદની પરિભાષા બદલવાની વાત જણાવી છે.
આવો તમને જણાવી દઇએ કે પીએમ મોદીની આ 10 પોઇન્ટ ફોર્મ્યુલા આખરે શું છે.
ધર્મ અને આતંકવાદ અલગ અલગ
પીએમ મોદીએ જી-20 દરમ્યાન આતંકવાદ સામે લડવા માટે ફોર્મ્યુલા આપી છે. તેમાં સૌ પ્રથમ ધર્મને આતંકવાદથી અલગ કરવાની વાત જણાવી છે. તેમણે સ્પષ્ટ કર્યું હતુ કે ધર્મને આતંકવાદ સાથે કોઇ લેવા દેવા નથી.
આતંકને સમર્થન આપનાર દેશ
પીએમ મોદીએ જી-20માં આવેલા બધાં જ વિકસીત અને વિકાસશીલ દેશોને સ્પષ્ટ કરી દીધુ હતુ કે જે પણ દેશ આતંકવાદનું સમર્થન કરી રહ્યાં છે અથવા તો આતંકીઓને મદદ કરી રહ્યાં છે તેમને અલગ કરી દેવા જોઇએ.
મતભેદ ભુલીને સાથે આવો
આ પોઇન્ટ કદાચ પીએમ મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને રૂસના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને ધ્યાનમાં રાખીને કહ્યો હતો. તેમણે કહ્યું કે આજે દરેક દેશે પોતાના રાજનૈતિક મતભેદોને ભૂલાવીને આતંકવાદ સામે લડવા માટે એકમંચ થવુ જ પડશે.
આતંકવાદ સામેની લડાઇને પ્રાથમિક્તા
પીએમ મોદીએ તુર્કીમાં દુનિયાને સંદેશ આપ્યો કે જી-20માં સમાવિષ્ટ દેશ અને બાકીના દેશો માટે આતંકવાદ સામેની લડાઇ પ્રાથમિક્તા હોવી જોઇએ.
આતંકવાદનો બદલાયેલો ચહેરો પડકાર
પીએમ મોદીએ જી-20 સમિટ દરમ્યાન બધા દેશોને સ્પષ્ટ કર્યુ હતુ કે ISISના નામે આતંકવાદનો એક નવો જ ચહેરો આપણી સામે આવ્યો છે.
જૂનો ચહેરો પણ સક્રિય
પીએમ મોદીએ કહ્યું હતુ કે આજે આતંકનો નવો ચહેરો વધુ શક્તિશાળી બન્યો છે. અને આતંકનું જૂનુ સ્વરૂપ પણ એટલુ જ સક્રિય છે. તેનાથી છુટકારો મેળવવો આપણા સૌના માટે મોટો પડકાર છે.
દેશની નીતિ સમાન આતંકનો પ્રયોગ
પીએમ મોદીએ અહીં પાકિસ્તાનનું નામ લીધા વગર જ ઇશારામાં સ્પષ્ટ કરી દીધુ કે કેટલાક દેશ આતંકવાદનો પોતાની નિતી તરીકે ઉપયોગ કરી રહ્યાં છે.
સૌથી મોટો માનવીય પડકાર
પીએમ મોદીએ કહ્યું કે આજે બધાં જ વિકસીત અને વિકાસશીલ દેશો માટે આતંકવાદ એક મોટો પડકાર છે. આતંકવાદને કેવી રીતે ડામી શકાય છે, તેના ઉપાય આપણે શોધવા જ પડશે.
મોટી કીંમત ચૂકવવી પડે છે
પીએમ મોદીએ કહ્યું કે દુનિયાના વિવિધ દેશોમાં આતંકવાદના નામે માસૂમ લોકોની જીંદગીની કિંમત ચૂકવવી પડી રહી છે.
સમાજ સામે સૌથી મોટો ખતરો
પીએમ મોદીએ કહ્યું કે આજે આતંકવાદ બહુલતાવાદી દેશો અને ખુલ્લા સમાજ માટે એક મોટો ખતરો છે.