યુક્રેન સામે રશિયા દ્રારા વપરાઈ રહેલા વેક્યુમ બોમ્બ શું છે?
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે છઠ્ઠો દિવસ છે. વિશ્વના તમામ દેશો રશિયન રાષ્ટ્રપતિ પુતિનને આ યુદ્ધ રોકવા માટે વિનંતી કરી રહ્યા છે, પરંતુ પુતિન એક ઇંચ પણ પાછળ હટવા તૈયાર નથી.
કિવ, 1 માર્ચ : રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે છઠ્ઠો દિવસ છે. વિશ્વના તમામ દેશો રશિયન રાષ્ટ્રપતિ પુતિનને આ યુદ્ધ રોકવા માટે વિનંતી કરી રહ્યા છે, પરંતુ પુતિન એક ઇંચ પણ પાછળ હટવા તૈયાર નથી. આજે રશિયન સેનાએ યુક્રેનમાં એક સૈન્ય મથક પર હુમલો કર્યો, જેમાં 70 થી વધુ યુક્રેનિયન સૈનિકો માર્યા ગયા. અમેરિકામાં રશિયાના રાજદૂત ઓક્સાના માર્કોવાએ મીડિયામાં નિવેદન આપ્યું હતું કે રશિયાએ કિવ પરના આક્રમણ દરમિયાન વેક્યૂમ બોમ્બ તરીકે ઓળખાતા થર્મોબેરિક હથિયારનો ઉપયોગ કર્યો હતો. આ ઉપરાંત ઘણા માનવાધિકાર જૂથો અને એમ્નેસ્ટી ઇન્ટરનેશનલએ રશિયા પર યુક્રેન વિરુદ્ધ વેક્યૂમ બોમ્બ અને ક્લસ્ટર બોમ્બનો ઉપયોગ કરવાનો આરોપ મૂક્યો છે.
શું રશિયાએ ખરેખર વેક્યૂમ બોમ્બનો ઉપયોગ કર્યો?
માર્કોવાએ સાંસદો સાથેની બેઠકમાં જણાવ્યું કે રશિયાએ આજે વેક્યૂમ બોમ્બનો ઉપયોગ કર્યો હતો. રશિયા યુક્રેન પર જે તબાહી મચાવી રહ્યું છે તે ભારે છે. જો કે, યુક્રેનના દાવાઓની પુષ્ટિ થવાની બાકી છે. ન્યૂઝ એજન્સી રોયટર્સે વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી જેન સાકીને ટાંકીને કહ્યું કે જો આ સાચું છે તો તે કદાચ યુદ્ધ અપરાધ છે.
વેક્યુમ બોમ્બ શું છે?
વેક્યૂમ બોમ્બ એ થર્મોબેરિક હથિયાર છે જે આસપાસના ઓક્સિજનનો ઉપયોગ ઊંચા તાપમાને વિસ્ફોટ કરવા માટે કરે છે. તે સામાન્ય રીતે પરંપરાગત વિસ્ફોટક કરતાં ઘણી લાંબી રેન્જના બ્લાસ્ટ વેવ ઉત્પન્ન કરે છે. તે એટલું ખતરનાક છે કે તે માનવ શરીરને વરાળ બનાવી શકે છે. આ બન ત્રણસો મીટરની ત્રિજ્યામાં નુકસાન પહોંચાડવામાં સક્ષમ છે. આ બોમ્બ એરોસોલ બોમ્બ તરીકે પણ ઓળખાય છે. નિષ્ણાતો ચેતવણી આપે છે કે વેક્યૂમ બોમ્બના વિસ્ફોટની તરંગ પરંપરાગત વિસ્ફોટકો કરતાં ઘણી લાંબી ચાલે છે.
પરમાણુ બોમ્બ જેટલો ખતરનાક
આ બોમ્બને ફાધર ઓફ ઓલ બોમ્બ પણ કહેવામાં આવે છે. આ અણુ બોમ્બ જેવી ગરમી ઉત્પન્ન કરે છે અને તે અલ્ટ્રાસોનિક શોકવેબ સાથે વિસ્ફોટ કરે છે જે વધુ વિનાશ લાવે છે. આ જ કારણ છે કે આ બોમ્બ અન્ય પરંપરાગત હથિયારો કરતાં વધુ શક્તિશાળી માનવામાં આવે છે. એમ્નેસ્ટી ઇન્ટરનેશનલએ જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદો ક્લસ્ટર હથિયારોના અંધાધૂંધ ઉપયોગ પર પ્રતિબંધ મૂકે છે. અંધાધૂંધ હુમલા કે જે નાગરિકોને મારી નાખે છે અથવા ઘાયલ કરે છે તે યુદ્ધ અપરાધ છે. ઓસ્ટ્રેલિયન સ્ટ્રેટેજિક પોલિસી ઇન્સ્ટિટ્યૂટના વરિષ્ઠ વિશ્લેષક ડૉ. માર્કસ હેલિયરે જણાવ્યું હતું કે વેક્યુમ બોમ્બ એ એપાર્ટમેન્ટ કોમ્પ્લેક્સ અથવા અન્ય બિલ્ડિંગ સામે ખૂબ જ વિનાશક હથિયાર બની શકે છે.