બેલારૂસમાં ફસાયેલી નવસારીની મહિલા ભારત પરત ફરી
નવસારીના મીનાબેન જોષી બેલારૂસમાં ફસાયા બાદ આખરે સુરક્ષિત રીતે વતન પરત ફર્યા છે. સુરત એરપોર્ટ પર પહોંચતા જ પરિવારને મળીને તેમની આંખોમાં ખુશીના આંસુ છલકાયા હતા.

એરપોર્ટ પર મીનાબેને પોતાની આપવીતી જણાવતા કહ્યું કે એજન્ટે તેમને મોટી છેતરપિંડીનો ભોગ બનાવ્યા હતા. તેમને સ્ટ્રોબેરી પેકિંગના નામે દર મહિને ૬૦ હજાર પગારની લાલચ આપીને વિદેશ મોકલવામાં આવ્યા હતા. પરંતુ બેલારૂસ પહોંચ્યા બાદ તેમની પાસે તબેલામાં મજૂરી કરાવી અમાનવીય વ્યવહાર કરવામાં આવતો હતો.
ત્રણ સંતાનોની માતા અને વિધવા એવા મીનાબેને બાળકોના ભવિષ્ય માટે વિદેશ જવાનો નિર્ણય લીધો હતો. વડોદરાના એક એજન્ટે તેમને ઊંચા પગારની લાલચ આપીને વિશ્વાસમાં લીધા અને છેતરપિંડી કરી. પોતાના સપના સાકાર કરવા માટે તેમણે અંદાજે ૭ લાખ રૂપિયા ઉછીના લાવીને એજન્ટને ચૂકવ્યા હતા.
બેલારૂસ પહોંચતા જ તેમને રહેવાની કે જમવાની કોઈ પૂરતી સગવડ આપવામાં આવી નહોતી. જ્યારે તેમણે સ્થાનિક તંત્ર પાસે મદદ માંગી ત્યારે જાણવા મળ્યું કે એજન્ટે તેમને ખોટી રીતે મોકલ્યા છે. આ પરિસ્થિતિમાં લાચાર બની ગયેલા મીનાબેને સોશિયલ મીડિયા પર મદદ માટે એક વીડિયો વાયરલ કર્યો હતો.
વીડિયો વાયરલ થતા અંતે એજન્ટે નમતું જોખ્યું અને મીનાબેનને ભારત પરત લાવવાની વ્યવસ્થા કરી આપી. સ્વદેશ પરત ફરીને તેમણે અન્ય લોકોને ચેતવણી આપી કે એજન્ટોની લાલચમાં આવીને છેતરાવવું નહીં.
હાલ મીનાબેને પોતાના ખર્ચ થયેલા ૭ લાખ રૂપિયા પરત મેળવવા માટે એજન્ટ પાસે માંગ કરી છે. જો એજન્ટ રકમ પરત નહીં કરે તો તેઓ કાયદેસરની કાર્યવાહી કરવાની પણ મક્કમતા દર્શાવી રહ્યા છે. વિદેશ જવાની ઘેલછામાં ફસાતા લોકો માટે આ કિસ્સો એક ગંભીર ચેતવણી સમાન સાબિત થયો છે.












Click it and Unblock the Notifications
