ભારત સામે હાર્યા બાદ શ્રીલંકાના કોચ અને કેપ્ટન વચ્ચે મદાનમાં જ બબાલ
શ્રીલંકાના મુખ્ય કોચ મિકી આર્થર અને કેપ્ટન દાસુન શનાકા વચ્ચે કોલંબોના આર પ્રેમાદાસા સ્ટેડિયમમાં સામસામે ઉગ્ર દલીલો થઈ હતી. શ્રીલંકા જીતી રહ્યું હતુ ત્યારે અચાનક મેચ પલટાઈ જતા પરાજયનો સામનો કરવો પડ્યો હતો.
શ્રીલંકાના મુખ્ય કોચ મિકી આર્થર અને કેપ્ટન દાસુન શનાકા વચ્ચે કોલંબોના આર પ્રેમાદાસા સ્ટેડિયમમાં સામસામે ઉગ્ર દલીલો થઈ હતી. શ્રીલંકા જીતી રહ્યું હતુ ત્યારે અચાનક મેચ પલટાઈ જતા પરાજયનો સામનો કરવો પડ્યો હતો. જે બાદ શ્રીલંકાના કોચ અને કેપ્ટન મેદાન પર દલીલ કરી રહ્યા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આર્થર નિરાશ હતા અને મેંચના અંત ભાગમાં ડ્રેસિંગ રૂમમાં બેસીને ઇશારા કરતા જોવા મળ્યા હતા. કારણ કે ભારતના લોઅર ઓર્ડર બેટ્સમેન દિપક ચહર અને ભુવનેશ્વર કુમાર મેચ છીનવી રહ્યા હતા.
ભારતે મેચ 3 વિકેટથી જીતી લીધા પછી આર્થર મેદાનમાં આવ્યા અને જતા પહેલા શનાક સાથે ઉગ્ર દલીલ કરતા જોવા મળ્યા. શ્રીલંકાના ભૂતપૂર્વ બેટ્સમેન રસેલ આર્નોલ્ડે આ ઘટનાની નોંધ લીધી હતી અને કહ્યું હતું કે આ ચર્ચા ડ્રેસિંગ રૂમમાં થવી જોઈએ. આર્નોલ્ડે ટ્વીટ કર્યું કે, કોચ અને કપ્તાન વચ્ચેની આ વાતચીત મેદાન પર નહીં પરંતુ ડ્રેસિંગ રૂમમાં થઈ હોવી જોઈએ.
ટોસ જીત્યા બાદ પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ 50 ઓવરમાં 9 વિકેટે 275 રનનો સ્કોર કર્યો હતો. જવાબમાં ભારત સાત વિકેટે 277 રન બનાવી મેચ જીતી લીધી હતી. લક્ષ્યનો પીછો કરતા ભારતે 193 રનમાં સાત વિકેટ ગુમાવી દીધી હતી અને હાર દેખાઈ રહી હતી ત્યારે ચેહર અને ભુવનેશ્વર કુમારે આઠમી વિકેટ માટે 84 જોડીને મેચ છીનવી લીધી હતી. ચેહરે પોતાની પાંચમી વનડે મેચમાં સાત ચોક્કા અને એક છગ્ગાની મદદથી 82 બોલમાં 69 રન બનાવ્યા હતા.
આ પહેલા બોલિંગમાં પણ ચહરે આઠ ઓવરમાં 53 રન આપીને બે વિકેટ ઝડપી હતી. તેને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. ભારત તરફથી સૂર્યકુમાર યાદવે તેની પ્રથમ વનડે ફિફ્ટી ફટકારી હતી. 44 બોલમાં તેના 53 રનમાં છ ચોગ્ગા શામેલ છે. આ શ્રીલંકા ભારત સામે સતત 10 મી વનડે સિરીઝની હાર હતી.