બિહારમાં બનશે સચિન તેંડુલકરનું મંદિર
ભભુઆ(બિહાર), 19 નવેમ્બરઃ ક્રિકેટના ભગવાન તરીકે જાણીતા બનેલા ભારતીય ક્રિકેટના મહાન ખેલાડી સચિન તેંડુલકર હવે માત્ર ભગવાન જ નથી પરંતુ તેમની વીધિવત પૂજા પણ કરવામાં આવશે. બિહારના કૈમુર જિલ્લાના અતરવલિયા ગામમાં તેંડુલકરના મંદિરનુ નિર્માણ કરવામાં આવી રહ્યું છે. નોંધનીય છે કે, મંદિરનું નિર્માણ ભોજપુરી ફિલ્મના અભિનેતા મનોજ તિવારી કરી રહ્યાં છે. મંદિરનું શિલાન્યાસ મંગળવારે થશે અને એ જ દિવસે સચિન તેંડુલકરની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે.
મનોજ તિવારીનું માનવું છે કે, આ મંદિરથી માત્ર સચિનને સન્માન આપવાનો જ પ્રયાસ નથી કરવામાં આવ્યો પરંતુ ઉદીયમાન ખેલાડીઓ માટે આ મંદિર પ્રેરણાસ્ત્રોત બની રહેશે. અંદાજે 70 લાખ રૂપિયાના ખર્ચે બનનારા આ મંદિરમાં તેંડુલકરની મૂર્તિ સાથે ભારતીય ક્રિકેટ ટીમના વર્તમાન સુકાની મહેન્દ્ર સિંહ ધોની અને ઓલરાઉન્ડર યુવરાજ સિંહની મૂર્તિઓ પણ સ્થાપિત કરવામાં આવશે.

મંદિરના ગર્ભગૃહમાં સચિનની મૂર્તિ
તિવારીએ કહ્યું કે અંદાજે 6 હજાર વર્ગ ફૂટમાં બનનારા આ મંદિરના ગર્ભગૃહમાં તેંડુલકરની મૂર્તિ સ્થાપિત કરવામાં આવશે, જેમા તે પોતાની બ્લ્યુ જર્સીમાં હશે અને તેમના હાથમાં વિશ્વકપ ખિતાબ હશે. સંગેમરમરથી બનેલી પાંચ ફૂટની આ મૂર્તિને રાજસ્થાનના મૂર્તિકાર ખેમરામે બનાવી છે. ખેમરામનું કહેવું છે કે, વર્તમાન સમયમાં માત્ર મંદિરમાં જ મૂર્તિ લગાવવામાં આવશે. બાદમાં ધોની અને યુવરાજની મૂર્તિ સ્થાપિત કરવામાં આવશે.

મૂર્તિ 15 ફૂટ ઉંચા ચબુતરામાં સ્થાપિત કરવામાં આવશે
ખેમરામે જણાવ્યું કે, વર્તમાન સમયમાં મૂર્તિ 15 ફૂટ ઉંચા ચબુતરામાં સ્થાપિત કરવામાં આવશે અને એ જ દિવસથી પૂજાનો પણ પ્રારંભ કરવામાં આવશે. મૂર્તિ પર મોસમ કે પરિવર્તનનો પ્રભાવ ના પડે, તેનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.

રીતિ રિવાજ સાથે કરાશે સચિનની પૂજા
તિવારીએ કહ્યું કે મંદિરમાં જે રીતે ભગવાનની પૂજા કરવામાં આવે છે, તેવી જ રીતે રીતિ રિવાજ સાથે પ્રતિદિન તેંડુલકરની પૂજા થશે અને આરતી ઉતારવામાં આવશે. તિવારીએ વધુમાં કહ્યું કે, આ તકે તેમણે તેંડુલકરને બોલાવવાની યોજના પણ બનાવી છે, પરંતુ અધિક વ્યસ્તતાના કારણે તે આવી શકશે નહીં.

પહેલા મંદિર 2014માં બનાવવાની યોજના હતી
તિવારીએ જણાવ્યું કે, પહેલા આ મંદિરને 2014માં બનાવવાની યોજના હતી, પરંતુ આ વર્ષે નિવૃત્તિ લેવાના કારણે મંદિર બનાવવાનું કાર્ય આ જ વર્ષથી શરૂ કરવું પડ્યું છે. નોંધનીય છે કે, શનિવારે પૂર્ણ થયેલી વેસ્ટ ઇન્ડિઝ સામેની ટેસ્ટ મેચ સચિનની 200મી આંતરરાષ્ટ્રીય ટેસ્ટ મેચ હતી. આ મેચ બાદ સચિને ક્રિકેટની દુનિયાને અલવિદા કહી દીધી છે. આ સાથે જ ભારત સરકારે સચિનને સર્વોચ્ચ નાગરીક સન્માન ભારત રત્ન આપવાની પણ જાહેરાત કરી છે.












Click it and Unblock the Notifications
