ભારતના જંગી સ્કોર સામે ઇંગ્લેન્ડ ઘુંટણીએ
ભારતે ચેતેશ્વર પુજારાની બેવડી સદી સાથે બીજા દિવસે 521 રનનો જંગી સ્કોર ઊભો કર્યો અને પછી કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ દાવ ડિક્લેર કરી નાંખ્યો. ભારતના જંગી સ્કોર સામે ઈંગ્લેન્ડે શરૂઆત તો થોડી આક્રમક અંદાજમાં કરી હતી. પરંતુ બાદમાં ભારતીય સ્પિનરોએ શરૂઆતમાં જ પોતાની ફિરકીનો જાદૂ દેખાડ્યો. અશ્વિને સૌ પ્રથમ નિક કોમ્પટનને સુંદર બોલ પર 9 રને બોલ્ડ કર્યો હતો. તે પછી દિવસ પૂરો થવામાં થોડા સમયની વાર હતી તેથી ઈંગ્લેન્ડે નાઈટ વોચમેન તરીકે જેમ્સ એન્ડરસનને બેટિંગમાં ઉતાર્યો હતો. પરંતુ એન્ડરસન પ્રજ્ઞાન ઓઝાની ફિરકીમાં લપેટાઈ ગયો હતો અને ગંભીરના હાથે કેચ આઉટ થયો હતો. ત્યારબાદ જોનાથન ટ્રોટ બેટિંગમાં આવ્યો હતો પરંતુ દિવસ પૂરો થાય તે પહેલા અશ્વિને તેને પણ પૂજારાના હાથમાં કેચ આઉટ કરાવ્યો હતો. ટ્રોટ ખાતુ પણ ખોલાવી શક્યો નહોતો. આમ, હાલમાં ભારતે મેચ પર પોતાની પકડ બનાવી લીધી છે. જ્યારે ઈંગ્લેન્ડ મુશ્કેલીમાં આવી ગયું છે.
આ અગાઉ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ 8 વિકેટ, 521 રને દાવ જાહેર કર્યો છે. આ સાથે જ ઇંગ્લેન્ડ સામે 522 રન બનાવવાનો મોટો પડકાર છે. ભારતના સ્કોરમાં ગુજરાતના ખેલાડી ચેતેશ્વર પૂજારાના અણનમ 206 રન તથા યુવરાજ સિંહના 74 રનનો સિંહફાળો રહેલો છે.
બીજા દિવસનો હીરો રહ્યો સૌરાષ્ટ્રનો ખેલાડી ચેતેશ્વર પુજારા કે જેણે બેવડી સદી નોંધાવી હતી. આ દરમિયાન યુવરાજ પાસે પણ અપેક્ષા રખી હતી કે તેઓ પણ સદી નોંધાવશે, પરંતુ તેઓ 74 રને આઉટ થઈ ગયાં. જોકે એક વરસ બાદ ટેસ્ટ રમી રહ્યાં યુવરાજ સિંહે પણ રનોની આતશબાજી કરી દર્શકોને ખુશ કરી દીધા હતા.. અને તે પછી ચેતેશ્વર પુજારાએ 200 રન નોંધાવતાં દર્શકો ઝુમી ઉઠ્યા હતાં.
ટેસ્ટ મેચના પ્રથમ દિવસે ચેતેશ્વરે 98 રન કર્યા હતા. બીજા દિવસની સવારે દાવ આગળ રમતા તેમણે લંચ પછી 150 રન પૂર્ણ કર્યા હતાં. બીજી બાજું કૅંસર જેવી ભયાનક બીમારીમાંથી ઉગર્યા બાદ પહેલી વાર ટેસ્ટ મેચ રમતાં યુવરાજ સિંહ 74 રને આઉટ થઈ ગયાં. તેમની પાસેથી સદીની આશા સેવાઈ રહી હતી, પરંતુ તેઓ 74 રને આઉટ થઈ ગયાં.
ઉલ્લેખનીય છે કે ગુરુવાર 15 નવેમ્બર, 2012ના રોજ શરૂ થયેલી ટેસ્ટમેચમાં ગઇકાલે સહેવાગે પણ ઇંગ્લેન્ડ સામે શતક નોંધાવ્યું હતું. તેણે 117 રન નોંધાવ્યા હતા.
ટેસ્ટ ક્રિકેટ મેચના પ્રથમ દિવસે ભારતે ઇંગ્લેન્ડની વિરુધ્ધ પહેલા દાવમાં ચાર વિકેટે 323 રન બનાવ્યા હતા. પોતાની 99મી ટેસ્ટ મેચ રમી રહેલા સહેવાગે 117 બોલમાં 117 રન બનાવ્યા હતા. આ ટેમની 23મી ટેસ્ટ સદી છે.
ઇંગ્લેન્ડ તરફથી ચારે વિકેટ સ્વાને લીધી હતી. તેમણે ગૌતમ ગંભીર, વીરેન્દ્ર સહેવાગ, વિરાટ કોહલીને બોલ્ડ કર્યા હતા. જ્યારે સચિન તેંદુલકરને કેચ આઉટ કર્યા હતા. તેમણે 85 રન આપી ચાર વિકેટ લીધી હતી.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ચેતેશ્વર પૂજારાની સગાઇ થઇ હતી. ત્યાર બાદ તેમનું ફોર્મ જોઇને તેમના ચાહકો મોટી સંખ્યામાં સ્ટેડિયમ પર તેમને જોવા માટે આવ્યા છે. અનેક ચાહકોએ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી.