IND vs PAK : ભારત-પાકિસ્તાન મેચ પર સરકારે મૌન તોડ્યુ, જાણો મેચ રમાશે કે કેમ?
IND vs PAK : ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો તણાવપૂર્ણ છે અને તેની અસર ક્રિકેટ પર પણ જોવા મળી છે. લાંબા સમયથી ચાલી રહેલી અટકળો બાદ આખરે ભારત સરકારે આ મુદ્દે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે.
અમદાવાદ ખાતે કેન્દ્ર સરકાર દ્વારા નવી ખેલ નીતિની જાહેરાત કરવામાં આવી છે. આ નીતિ મુજબ ભારતીય ટીમો એવી મલ્ટીનેશનલ ટુર્નામેન્ટમાં ભાગ લેવાનું ચાલુ રાખશે જેમાં પાકિસ્તાન પણ રમી રહ્યું હોય. પરંતુ બંને દેશો વચ્ચેની દ્વિપક્ષીય શ્રેણી સંપૂર્ણપણે બંધ રહેશે.

રમતગમત મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે ભારત એશિયા કપ 2025 માં ભાગ લેશે. આ ટુર્નામેન્ટ 9 સપ્ટેમ્બરથી UAE માં શરૂ થશે. ક્રિકેટ ચાહકો માટે સૌથી મોટી અને રોમાંચક ખબર એ છે કે 14 સપ્ટેમ્બરે દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ રમાશે. આ ટુર્નામેન્ટમાં બંને ટીમો ત્રણ વખત આમને-સામને આવી શકે છે.
મંત્રાલયના નિવેદનમાં જણાવ્યા મુજબ, ભારતની ખેલ નીતિ દેશની વિદેશ નીતિને અનુરૂપ છે. ભારતીય ટીમ પાકિસ્તાન નહીં જાય અને પાકિસ્તાનની ટીમ ભારતમાં નહીં આવે.
જો કે, એશિયા કપ કે વર્લ્ડ કપ જેવી મલ્ટીનેશનલ ટુર્નામેન્ટ આંતરરાષ્ટ્રીય નિયમો હેઠળ રમાતી હોવાથી તેમાં ભારત ભાગ લેશે.
આ નિર્ણયથી હાલમાં જ થયેલા આતંકી હુમલા બાદ ઊભી થયેલી અટકળો પર પૂર્ણવિરામ મુકાઈ ગયો છે. અગાઉ 2023ના એશિયા કપ દરમિયાન પણ ભારતે પાકિસ્તાનમાં જવાનો ઇનકાર કર્યો હતો. જેના પરિણામે હાઇબ્રિડ મોડેલ અપનાવવામાં આવ્યું હતું, જેમાં ભારતના મેચ શ્રીલંકામાં યોજાયા હતા. આ વખતે પણ આ જ વ્યવસ્થા જારી રહેશે.
સરકારનું માનવું છે કે ખેલાડીઓના હિતને ધ્યાનમાં રાખીને મલ્ટીનેશનલ ઇવેન્ટ્સ રોકી શકાય નહીં. જો કે, ભારતીય જમીન પર પાકિસ્તાનને રમવાની કોઈ પણ સંજોગોમાં મંજૂરી મળશે નહીં.
આ નીતિ 2027 સુધી લાગુ રહેશે અને અન્ય રમતો માટે પણ આ જ નિયમ અનુસરવામાં આવશે. હવે સમગ્ર દુનિયાની નજર 14 સપ્ટેમ્બર પર ટકેલી છે, જ્યારે આ બે કટ્ટર હરીફો ફરી એકવાર મેદાન પર ટકરાશે.












Click it and Unblock the Notifications
