ભારત-દક્ષિણ આફ્રિકા મુકાબલો ટોસ વિના જ રદ, લખનૌની ઝેરી હવા કારણ બની
લખનઉના એકાના સ્ટેડિયમમાં રમાનારો ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેનો ચોથો ટી20 મુકાબલો ખરાબ વાતાવરણને કારણે રદ કરવો પડ્યો છે. ગાઢ ધુમ્મસ અને ખરાબ હવાને લીધે મેચ વારંવાર નિરીક્ષણના તબક્કામાંથી પસાર થઈ હતી. વાતાવરણમાં સુધારો ન જણાતાં, આખરે અમ્પાયરોએ મેચ રદ કરવાનો નિર્ણય લીધો, જેનાથી સ્ટેડિયમમાં હાજર દર્શકો નિરાશ થયા હતા.

ખરાબ હવા અને ગાઢ ધુમ્મસના કારણે ટૉસ સમયસર ન થતાં મેચની શરૂઆત વિલંબિત થઈ. અમ્પાયરોએ મેદાનનું કુલ છ વખત નિરીક્ષણ કર્યું. સાંજે 6:50 કલાકે પ્રથમ તપાસ બાદ 7:30, 8:00, 8:30 અને 9:00 વાગ્યે ક્રમશઃ નિરીક્ષણ થયા. વાતાવરણમાં સુધારો ન આવતા અંતે રાત્રે 9:25 કલાકે છઠ્ઠા નિરીક્ષણ બાદ અમ્પાયરોએ મેચ રદ કરવાની સત્તાવાર ઘોષણા કરી.
હવે સીરીઝમાં ભારત 2-1થી આગળ છે અને અમદાવાદમાં રમાનારો આગામી મુકાબલો નિર્ણાયક બની રહેશે. દક્ષિણ આફ્રિકા માટે આ મેચ કરો અથવા મરો સમાન છે, જ્યાં સીરીઝ બરાબર કરવા માટે જીત અનિવાર્ય છે. જો ભારતીય ટીમ આ મેચ જીતશે તો સીરીઝ 3-1થી પોતાના નામે કરશે, જ્યારે આફ્રિકા જીતશે તો સીરીઝ 2-2થી ડ્રો થશે.
આ ઉપરાંત ચોથા ટી20 પૂર્વે જ ભારતીય ટીમને એક મોટો ઝટકો લાગ્યો છે. ઈજાને કારણે સ્ટાર બેટ્સમેન શુભમન ગિલ સમગ્ર સીરીઝમાંથી બહાર થઈ ગયો છે. તે અંતિમ મેચમાં પણ ઉપલબ્ધ રહેશે નહીં. તેની ગેરહાજરીમાં સંજુ સેમસનને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળી શકે છે અને તેઓ અભિષેક શર્મા સાથે ઓપનિંગ કરતા જોવા મળી શકે છે.












Click it and Unblock the Notifications
