IPL 2025 : IPL પર મેચ ફિક્સિંગનું ગ્રહણ? જાણો કેમ BCCI એ ચેતવણી જારી કરી?
IPL 2025 : આઈપીએલ પર ફરી એક વખત ફિક્સિંગનું ગ્રહણ લાગ્યુ છે. જો કે આ વખતે BCCI પહેલા જ એક્શનમાં આવી ગઈ છે.
આ પહેલા ફિક્સિંગના કારણે IPL બદનામ થઈ ચુકી છે, જેના પગલે રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ નામની બે ટીમો પર બે વર્ષ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. હવે ફરી એકવાર ફિક્સિંગનો મુદ્દો સામે આવ્યો છે.

અહેવાલો અનુસાર, બીસીસીઆઈએ તાત્કાલિક પગલાં લઈને તમામ ટીમ માલિકોને આ અંગે સાવચેત રહેવા જણાવ્યું છે. બોર્ડે ફિક્સિંગ સાથે સંકળાયેલા બુકીઓ સાથે સંબંધ ધરાવતી એક વ્યક્તિ વિશે ટીમોને માહિતી આપી છે અને તેનાથી દૂર રહેવાની સલાહ આપી છે.
ક્રિકબઝના એક અહેવાલ અનુસાર, આઈપીએલના તમામ માલિકો, ખેલાડીઓ, હિતધારકો, કોચ, સહાયક સ્ટાફ અને કોમેન્ટ્રી કરનારાઓને હૈદરાબાદના એક ઉદ્યોગપતિ વિશે ચેતવણી આપવામાં આવી છે.
બોર્ડનું કહેવું છે કે આ વ્યક્તિ આઈપીએલમાં ફિક્સિંગનો પ્રયાસ કરી શકે છે. બોર્ડની એન્ટી-કરપ્શન અને સિક્યુરિટી યુનિટે આ વ્યક્તિ વિશે ચેતવણી જારી કરી છે.
એન્ટી-કરપ્શન યુનિટના જણાવ્યા અનુસાર, આ વ્યક્તિ અગાઉ પણ આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલી રહી છે અને તેનો સટ્ટાબાજો સાથે સંપર્ક છે. આ ઉદ્યોગપતિ ખેલાડીઓને હોટેલમાં મળીને મિત્રતા કેળવવાનો પ્રયાસ કરે છે, તેમને પાર્ટીઓમાં આમંત્રણ આપે છે, ખેલાડીઓના પરિવારજનોને ભેટ આપવાનો પ્રયાસ કરે છે અને કોમેન્ટેટરોને મોંઘી હોટેલોમાં લઈ જવાની ઓફર કરે છે.
જણાવી દઈએ કે, એક દાયકા પહેલાં આઈપીએલમાં સ્પોટ ફિક્સિંગનો મામલો સામે આવ્યો હતો, જેના કારણે કેટલાક ખેલાડીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને રાજસ્થાન રોયલ્સ તેમજ ચેન્નાઈ સુપર કિંગ્સ પર બે વર્ષનો પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો.
આ સિઝનમાં ટુર્નામેન્ટ શાનદાર રીતે ચાલી રહી છે અને 25 દિવસથી વધુ સમય થઈ ગયો છે. કેટલાક ખેલાડીઓએ સદીઓ ફટકારી છે, જ્યારે બોલરોએ પણ પોતાની ક્ષમતા દર્શાવવામાં કોઈ કસર છોડી નથી. આ સ્થિતીમાં બીસીસીઆઈ આઈપીએલ બદનામ ન થાય તે માટે પુરતી તકેદારી રાખી રહી છે.












Click it and Unblock the Notifications
