કોહલી અને સ્મિથ વિરુદ્ધ કોઇ કાર્યવાહી નહીંઃ આઇસીસી
આઇસીસી એ સ્પષ્ટ કર્યું છે કે કોઇપણ ખેલાડી પર આચાર સંહિતાનો કોઇ કેસ બનતો નથી, જે થયું તે ગુસ્સામાં થયું, માટે આ મામલો અહીં જ પૂરો કરવામાં આવે છે.
બેંગ્લુરૂ ટેસ્ટ દરમિયાન થયેલા ડીઆરએઅસ વિવાદ પર હવે આઇસીસી એ સ્પષ્ટતા કરી છે કે, આ મામલો હવે અહીં જ પૂરો થવો જોઇએ. આ મામલે ભારતીય કપ્તાન વિરાટ કોહલી અને ઓસ્ટ્રેલિયન કપ્તાન સ્ટિવન સ્મિથ વિરુદ્ધ કોઇ કાર્યવાહી કરવામાં નહીં આવે.
ઉલ્લેખનીય છે કે, બેંગ્લુરૂ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા ની બીજી ઇનિંગ દરમિયાન ઉમેશ યાદવના બોલ પર સ્મિથને એલબીડબલ્યૂ અપાયા બાદ સ્મિથ ડીઆરએસ લેવા માટે ઓસ્ટ્રેલિયન ડ્રેસિંગ રૂમમાંથી સંકેત માંગતા દેખાયા, જે પછી કોહલી અને સ્મિથ વચ્ચે બોલાચાલી થઇ હતી. વાત આટલેથી જ ન અટકતાં મેચ બાદની મીડિયા મીટમાં પણ વિરાટ કોહલીએ સ્મિથ પ્રત્યેનો ગુસ્સો જાહેર કર્યો હતો.
સ્મિથે માની પોતાની ભૂલ
જો કે, સ્મિથની પોતાની ભૂલ સમજાઇ ગઇ હતી અને તેણે આ માટે માફી પણ માંગી લીધી હતી. પરંતુ બંન્ને ટીમો અને બંન્ને દેશના મીડિયા દ્વારા આ વાત ખૂબ ચગાવવામાં આવી હતી. આથી આખરે આઇસીસી ને હસ્તક્ષેપ કરવાનો વારો આવ્યો હતો.
આચાર સંહિતાનો કોઇ કેસ નથી
આઇસીસી એ જાહેર કરેલા નિવેદનમામ કહેવામાં આવ્યું છે કે, આ મામલે બંન્ને પક્ષ અંગે વિચાર કર્યા બાદ અમે નિર્ણય લીધો છે કે બેમાંથી કોઇ ખેલાડી વિરુદ્ધ કોઇ કાર્યવાહી કરવામાં નહીં આવે. સાથે મેચ અધિકારીઓ અને બંન્ને ટીમના કપ્તાનોને આગળની મેચમાં આવી પરિસ્થિતિ ટાળવાનું કહેવામાં આવ્યું છે.
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો