'કોઈ જાણી જોઈને કેચ ના છોડે, શરમ આવે છે..', અર્શદિપના બચાવમાં ઉતર્યા હરભજન
'કોઈ જાણી જોઈને કેચ ના છોડે, શરમ આવે છે..', અર્શદિપના બચાવમાં ઉતર્યા હરભજન
પાકિસ્તાને રોમાંચક મુકાબલામાં ભારતને 5 વિકેટે હરાવી એશિયા કપના સુપર 4 રાઉન્ડની શરૂઆત જીત સાથે કરી. પાકિસ્તાન સામે જીત માટે 182 રનનો ટાર્ગેટ હતો, જેને ટીમે 19.5 ઓવરમાં હાંસલ કરી લીધો. સોશિયલ મીડિયા પર યુવા ફાસ્ટ બોલર અર્શદીપ સિંહને ટીમ ઈન્ડિયાની હાર માટેનું સૌથી મોટું કારણ માનવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે 18મી ઓવરમાં અર્શદીપે સાવ સહેલો દેખાતો એક કેચ ડ્રોપ કર્યો હતો.
અર્શદીપથી કેચ છૂટ્યો
છેલ્લી 3 ઓવરમાં પાકિસ્તાનને જીતવા માટે 34 રન બનાવવાના હતા. કેપ્ટન રોહિત શર્માએ 18મી ઓવર ફીરકીબાજ રવિ બિશ્નોઈને સોંપી. બિશ્નોઈએ આ અગાઉ કમાલની બોલિંગ કરી હતી અને ઓવરની ત્રીજી બોલ પર ફરી વિકેટનો મોકો બનાવ્યો. સ્ટ્રાઈક પર આસિફ અલી હતા... આસિફે સ્લૉગ સ્વીપ કર્યું અને બોલ શોર્ટ થર્ડમેનના ફીલ્ડર પાસે ગઈ, જ્યાં અર્શદીપ સિંહ ઉભા હતા. કેચ જોવામાં તો બહુ સહેલો લાગી રહ્યો હતો પણ અર્શદીપ દબાણમાં બોલ પકડી ના શક્યો.
બસ પછી તો બની ગયો મજાક
અર્શદીપ સિંહે કેચ ડ્રોપ કર્યા બાદ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ પોતાનો આપો ગુમાવી દીધો અને મેદાન પર જ અર્શદીપ પર બુમાબુમ કરવા લાગ્યા. જો કે ઈન્ડિયન ફેન્સે પણ અર્શદીપને ટ્રોલ કરવાનો કોઈ મોકો નહોતો છોડ્યો. સોશિયલ મીડિયા પર યુવા ખેલાડીની ખુબ મજાક ઉડાવવામાં આવી. બધાનું એવું કહેવું હતું કે અર્શદીપને કારણે ટીમે પાકિસ્તાન સામે હારવું પડ્યું.
ભજ્જીએ સપોર્ટ કર્યો
જો કે સતત થઈ રહેલી ટીકા વચ્ચે પૂર્વ દિગ્ગજ ભારતીય ઑફ સ્પિનર હરભજન સિંહે અર્શદીપ સિંહનો બચાવ કર્યો છે. ભજ્જીએ યુવા તેજ બોલરની ટીકા કરનાર ફેન્સનો ખુબ ક્લાસ લીધો. હરભજને ટ્વીટ કરી લખ્યું- "યુવા અર્શદીપની ટીકા કરવી બંધ કરો. કોઈ જાણીજોઈને કેચ નથી છોડતું. અમને અમારા છોકરાઓ પર ગર્વ છે. પાકિસ્તાન સારું રમ્યું. એવા લોકો પર શરમ આવે જેઓ આ પ્લેટફોર્મ પર સસ્તી વાતો કરી આપણા જ લોકોને નીચા દેખાડે છે. અર્શ ગોલ્ડ જેવો છે. યુવાઓની ટીકા કરવી બંધ કરો."
અંતિમ ઓવરમાં દેખાડી તાકાત
સતત થઈ રહેલી ટીકા અને જબરદસ્ત દબાવ વચ્ચે અર્શદીપ અંતિમ ઓવર ફેંકવા આવ્યો અને પાંચમી બોલ સુધી મેચને લઈ ગયા. અંતિમ 6 બોલ પર પાકિસ્તાનને જીતવા માટે 7 રનની જરૂરત હતી. આસિફ અલીએ બીજી જ બોલ પર ચોકો લગાવી લગભગ પાકિસ્તાનને મુકાબલો જીતાવી જ દીધો હતો, પરંતુ ત્રીજી બોલ ડૉટ અને ચોથી પર અર્શદીપે આસિફને LBW આઉટ કરી મેચમાં ફરી જીવ ફૂંક્યો હતો. જો કે, પાંચમી બોલ પર ઈફ્તિખાર અહમદે બે રન ભાગી પાકિસ્તાનને મેચ જીતાવી દીધી.
યુવા ખેલાડીઓનું પ્રદર્શન કેવું રહ્યું
મેચમાં અર્શદીપે 3.5 ઓવર ફેંકી જેમાં 27 રનન આપી એક વિકેટ પોતાના નામે કરી. ગ્રુપ સ્ટેજમાં પાકિસ્તાન સામે થયેલ મેચમાં પણ 23 વર્ષીય યુવા પેસરે 3.3 ઓવરમાં 33 રન આપી 2 વિકેટ ખેરવી હતી. અત્યાર સુધી રમાયેલ 9 T20I મેચમાં અર્શદીપે માત્ર 18.08 ની શાનદાર એવરેજથી કુલ18 વિકેટ ચટકાવી છે. તેમનું સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન 3/12 છે.
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો