Ind Vs. Pak મેચનો લાભ લેવાનો ISIનો નાપાક ઇરાદો
ભારત અને પાકિસ્તાનની ચેમ્પિયન્સ ટ્રોફીની મેચ દરમિયાન બેનર દ્વારા કાશ્મીરના મુદ્દાને આંતરરાષ્ટ્રીય સ્તરે ઉછાળવાનું કાવતરું હતું ISIનું.
ભારત-પાકિસ્તાન વચ્ચે લંડનના બર્મિંઘમના એઝબેસ્ટનમાં રમાનાર ચેમ્પિયન્સ ટ્રોફીની મેચ પહેલાં એક ગુપ્ત રિપોર્ટ સામે આવ્યો છે. આ રિપોર્ટમાં મેચ દરમિયાન આઇએસઆઇના એક નાપાક ઇરાદાનો ખુલાસો થયો છે. ઇન્ડિયા ટુડેની ખબર અનુસાર, પાકિસ્તાનની ઇન્ટર સર્વિસિઝ ઇન્ટેલિજન્સ એજન્સિ પોતાના 14 ઓપરેટિવ્સને મેચમાં મોકલી શકે છે, જેઓ મેચ દરમિયાન કાશ્મીર સંબંધિત બેનર્સ બતાવશે.
સૂત્રો અનુસાર, આઇએસઆઇના એજન્ટ્સને આ બેનર રજૂ કરવા મેચમાં મોકલવામાં આવનાર છે, જે કાશ્મીરની આઝાદીના સમર્થનમાં હશે. તેમને 'કાશ્મીર કો ચાહીએ નઇ સુબહ, કાશ્મીર જલ રહા હે, હમ કાશ્મીર કે સાથે હેં, જમ્મુ કાશ્મીર કો આઝાદ કરો...' જેવા સંદેશ મેદાનમાં બતાવવાનું કહેવામાં આવ્યું છે. આઇએસઆઇ પોતાના આ કારનામા દ્વારા કાશ્મીરના મુદ્દાને આંતરરાષ્ટ્રીય સ્તર પર લોકો સામે મુકવા માંગે છે. સૂત્રો અનુસાર ભારતની ગુપ્ત એજન્સિઓને આઇએસઆઇના આ કારનામા અંગે પહેલેથી જ શંકા હતી.
ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘણા લાંબા સમયથી ખૂબ તણાવ છે, બંન્ને દેશો પાસે પરમાણુ હથિયાર હોવાને કારણે દુનિયા ભરના દેશોની નજર આ બંન્ને દેશો પર રહે છે. એલઓસી પર સતત યુદ્ધવિરામનું ઉલ્લંઘન થઇ રહ્યું છે, હાલમાં જ પાકિસ્તાનની સેનાએ ભારતના બે જવાનોના શબને વિકૃત કરી નાંખ્યા હતા, જેના કારણે બંન્ને દેશોના સંબંધોના તાણમાં વધારો થયો છે. પાકિસ્તાનની સેનાએ રવિવારે એવો પણ દાવો કર્યો હતો કે, તેમણે એલઓસી પર પાંચ જવાનોને ઠાર માર્યા છે, જો કે, ભારતીય સેનાએ પાકિસ્તાનના આ દાવાને નકારી કાઢ્યો છે.
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો