ટીમ ઇન્ડિયાના હેડ કોચ રવિ શાસ્ત્રી, બોલિંગ કોચ ઝહીર ખાન:BCCI
મંગળવારે મોડી રાત્રે આખરે ટીમ ઇન્ડિયાના હેડ કોચ તરીકે રવિ શાસ્ત્રી અને બોલિંગ કોચ તરીકે ઝહીર ખાનની નિમણૂક કરવામાં આવી હતી.
મંગળવારે સાંજે સમાચાર આવ્યા હતા કે, રવિ શાસ્ત્રીને ટીમ ઇન્ડિયાના નવા કોચ નીમવામાં આવ્યા છે, ત્યાર બાદ બીસીસીઆઇએ આ વાત નકારી કાઢી હતી. જો કે,ત્યાર બાદ મંગળવારે મોડી રાત્રે ફરીથી બીસીસીઆઇ તરફથી જાહેરાત કરવામાં આવી હતી. જે અનુસાર રવિ શાસ્ત્રી ટીમ ઇન્ડિયાના નવા હેડ કોચ બન્યા છે, ઝહીર ખાનને બોલિંગ કોચ નિમવામાં આવ્યા છે અને રાહુલ દ્રવિડ બેટિંગ કન્સલ્ટંટ નિમાયા છે. 2019ના વિશ્વ કપ સુધી રવિ શાસ્ત્રીને ભારતીય ક્રિકેટ ટીમના કોચ બનાવવામાં આવ્યા છે. મંગળવારે રાત્રે 11 વાગે બીસીસીઆઇના એક મેઇલ થકી ઉપરોક્ત નિમણૂકની વાત કહેવામાં આવી હતી.
Congratulations @ImZaheer @RaviShastriOfc & #RahulDravid. Best wishes for a successful tenure with #TeamIndia @BCCI
— Suresh Raina (@ImRaina) July 11, 2017
ટીમ ઇન્ડિયાના નવા કોચની પસંદ સીએસી(ક્રિકેટ એડવાઇઝરી કમિટિ)ને સોંપવામાં આવી હતી. આ કમિટિમાં સંચિન તેંડુલકર, સૌરવ ગાંગુલી અને વીવીએસ લક્ષ્મણનો સમાવેશ થાય છે. સોમવારે સાંજે સીએસીની પત્રકાર પરિષદ યોજાઇ હતી. માનવામાં આવી રહ્યું હતું કે, સોમવારે જ કોચના નામની જાહેરાત કરવામાં આવશે. એ પહેલાં સૌરવ ગાંગુલીએ પણ કહ્યું હતું કે, સોમવારે સાંજે કોચના નામની જાહેરાત થશે. પરંતુ એવું થયું નહીં. સોમવારની પત્રકાર પરિષદમાં સૌરવ ગાંગુલીએ કહ્યું હતું કે, હાલ કોચના નામ અંગે કોઇ નિર્ણય લેવામાં નથી આવ્યો. આ અંગે અમને હજુ થોડો સમય જોઇએ છે. વિરાટ કોહલી સાથે વાત કર્યા બાદ જ નિર્ણય લેવામાં આવશે.
ત્યાર બાદ મંગળવારે સાંજે નવા કોચ તરીકે રવિ શાસ્ત્રીની પસંદગી થઇ હોવાનું સામે આવ્યું હતું, પરંતુ આ ખબર પણ ખોટા સાબિત થયા હતા. મંગળવારે સાંજે રવિ શાસ્ત્રીની કોચ તરીકેના નિમણૂકને પહેલાં બીસીસીઆઇ એ પહેલાં નકારી હતી. ત્યારે બીસીસીઆઇના સેક્રેટરી અમિતાભ ચૌધરીએ કહ્યું છે કે, સીએસી(ક્રિકેટ એડવાઇઝરી કમિટિ) હજુ કોચ પદ અંગે વિચાર-વિમર્શ કરી રહી છે. આ અંગે જલ્દી જ નિર્ણય લેવામાં આવશે. ત્યાર બાદ મંગળવારે મોડી રાત્રે આખરે હેડ કોચ તરીકે રવિ શાસ્ત્રી અને બોલિંગ કોચ તરીકે ઝહીર ખાનની પસંદગી કરવામાં આવી હતી.
નોંધનીય છે કે, કોચ પદ માટે રવિ શાસ્ત્રી કપ્તાન વિરાટ કોહલીની પહેલી પસંદગી હોવાનું કહેવાઇ રહ્યું હતું. ભૂતપૂર્વ કોચ અનિલ કુંબલેએ પણ વિરાટ કોહલી સાથેના મતભેદને કારણે જ રાજીનામું આપ્યું હતું. હેડ કોચના પદ માટે 10 આવેદન પત્રો આવ્યા હતા, જેમાંથી 6 નામો શોર્ટ લિસ્ટ કરવામાં આવ્યા હતા. આ રેસમાં રવિ શાસ્ત્રી ઉપરાંત વીરેન્દ્ર સહેવાગનું નામ પણ મોખરે હોવાનું કહેવાઇ રહ્યું હતું.
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો