રિવાબા જાડેજાના વિવાદાસ્પદ નિવેદને ક્રિકેટ જગતમાં વિવાદ છેડ્યો
ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની અને ગુજરાત સરકારના મંત્રી રિવાબા જાડેજાના એક નિવેદને ક્રિકેટ જગતમાં ભારે ખળભળાટ મચાવ્યો છે.
ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ વિશે જાહેર કાર્યક્રમમાં અપાયેલું તેમનું આ વક્તવ્ય ઝડપથી વાયરલ થયું છે, જેણે સીધા જ ટીમ ઇન્ડિયાના ડ્રેસિંગ રૂમની સંસ્કૃતિ પર ગંભીર પ્રશ્નાર્થ ઊભા કર્યા છે.

પોતાના પતિના વખાણ કરતાં રિવાબા જાડેજાએ ચોંકાવનારો દાવો કર્યો કે રવિન્દ્ર જાડેજા ઑસ્ટ્રેલિયા, લંડન અને દુબઈ જેવા અનેક દેશોમાં રમવા જાય છે, તેમ છતાં આજ દિન સુધી તેમણે ક્યારેય કોઈ નશો કર્યો નથી. આનાથી વિપરીત તેમણે ટીમના અન્ય ખેલાડીઓ પર નિશાન સાધતા કહ્યું કે, બાકીના ખેલાડીઓ વિદેશ જઈને ખોટા કામ કરે છે અને ખોટી આદતોમાં પડે છે.
રિવાબાએ ભારપૂર્વક જણાવ્યું કે જાડેજાને સંપૂર્ણ સ્વતંત્રતા હોવા છતાં તેઓ પોતાની જવાબદારી અને અનુશાસનને સમજીને આવી બાબતોથી દૂર રહે છે. તેમનું આ નિવેદન પરોક્ષ રીતે ટીમના અન્ય ખેલાડીઓ પર અશિસ્ત અને અનૈતિક આચરણનો આરોપ મૂકે છે.
આ નિવેદન ભારતીય ખેલાડીઓની જાહેર છબી અને ટીમ મેનેજમેન્ટ પર ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. જો કે આ વિડીયો લગભગ એક મહિના જૂનો હોવાનું કહેવાય છે, પરંતુ સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ તેના પર તીવ્ર પ્રતિક્રિયાઓ આવી, જેમાં ચાહકો અને નિષ્ણાતોએ તેને બેજવાબદાર ગણાવ્યું.












Click it and Unblock the Notifications
