પાકિસ્તાની સરકારે રમીઝ રાજાને બનાવ્યા નિશાનો, PCB અધ્યક્ષપદેથી હટાવ્યા
T20 વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં પાકિસ્તાનની હાર બાદ પીસીબીના વડા રમીઝ રાજાને હટાવવાની માંગ ઉઠી હતી. આ પછી પાકિસ્તાનને ઈંગ્લેન્ડ સામેની હોમ સીરીઝમાં પણ ક્લીન સ્વીપનો સામનો કરવો પડ્યો હતો.
T20 વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં પાકિસ્તાનની હાર બાદ પીસીબીના વડા રમીઝ રાજાને હટાવવાની માંગ ઉઠી હતી. આ પછી પાકિસ્તાનને ઈંગ્લેન્ડ સામેની હોમ સીરીઝમાં પણ ક્લીન સ્વીપનો સામનો કરવો પડ્યો હતો. રમીઝ રાજા વિરુદ્ધ સતત અવાજ ઉઠાવવામાં આવી રહ્યો હતો. બાબર આઝમને પણ હટાવવાની માંગ કરવામાં આવી હતી. હવે રમીઝ રાજા સામે કાર્યવાહી કરવામાં આવી છે. રમીઝ રાજાને PCBના અધ્યક્ષ પદેથી હટાવી દેવામાં આવ્યા છે.
નજમ સેઠી બની શકે છે PCBના અધ્યક્ષ
પીસીબીના અધ્યક્ષની પસંદગી પાકિસ્તાનના વડાપ્રધાન સાથે ચર્ચા કરીને કરવામાં આવે છે. તેમને વડાપ્રધાન શાહબાઝ શરીફે હટાવ્યા હતા. જોકે રમીઝ રાજાને ઈમરાન ખાનની સરકાર દરમિયાન PCB અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. અહેવાલો અનુસાર, શાહબાઝ શરીફે નજમ સેઠીની પીસીબીના નવા અધ્યક્ષ તરીકે નિમણૂક કરી છે. સેઠી ભૂતકાળમાં પણ PCB માટે કામ કરી ચૂક્યા છે. તાજેતરમાં તેઓ વડાપ્રધાન શાહબાઝ શરીફને પણ મળ્યા હતા. આ કારણે એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે પીસીબીના નવા વડા સેઠી હોઈ શકે છે.
|
પાકિસ્તાનનુ ખરાબ પ્રદર્શન
રમીઝ રાજાના આવ્યા બાદ પાકિસ્તાનની ટીમનું પ્રદર્શન બહુ સારું રહ્યું નથી. પાકિસ્તાનની ટીમને નોક આઉટ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. T20 વર્લ્ડ કપ 2021માં પાકિસ્તાનની ટીમ સેમીફાઈનલમાં હારી ગઈ હતી. આ પછી એશિયા કપની ફાઇનલમાં પાકિસ્તાનને શ્રીલંકા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ઓસ્ટ્રેલિયામાં તાજેતરમાં પૂરા થયેલા T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાની ટીમને ફાઇનલમાં ઇંગ્લેન્ડના હાથે હાર મળી હતી.
પાકિસ્તાનને ઇંગ્લેન્ડે આપી ક્લિન સ્વિપ
પાકિસ્તાનના પ્રવાસ પર ઈંગ્લેન્ડની ટીમ 17 વર્ષ બાદ ટેસ્ટ સિરીઝ રમવા આવી અને તેણે યજમાન ટીમને સંપૂર્ણ રીતે સ્તબ્ધ કરી દીધી. રાવલપિંડીની સપાટ પીચ પર મેચ જીત્યા બાદ ઈંગ્લેન્ડની ટીમ મુલતાનમાં પણ જીતી ગઈ હતી. કરાચીમાં છેલ્લી મેચમાં પણ આવું જ પરિણામ આવ્યું હતું. ઈંગ્લેન્ડે દરેક વિભાગમાં શ્રેષ્ઠ રમતનું પ્રદર્શન કરીને શ્રેણી 3-0થી જીતી લીધી હતી. આ પછી તરત જ રમીઝ રાજાને હટાવવાનું દબાણ વધી ગયું હતુ.
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો