WTC ફાઇનલ પહેલા વિરાટ કોહલીની ઇજાએ વધારી ચિંતા, RCBના કોચે આપી મોટી અપડેટ
આઈપીએલની 16મી સિઝનથી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની સફરનો અંત આવી ગયો છે, પરંતુ ટૂર્નામેન્ટમાં સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીનું પ્રદર્શન ટીમ ઈન્ડિયાને મજબૂત બનાવશે. આ દરમિયાન કોહલી ગુજરાત ટાઇટન્સ સામેની મેચ દરમિયાન ઇજાગ્રસ્ત થયો હોવાના સમાચાર સામે આવ્યા છે.
હકીકતમાં, 21 મેના રોજ એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સની ઇનિંગ્સની 15મી ઓવરમાં વિજય શંકરના બોલ પર કેચ લેતી વખતે વિરાટ કોહલીને ઘૂંટણમાં ઇજા થઇ હતી. થોડા સમય પછી, એક ફિઝિયો આવ્યો અને કોહલી પિચની બહાર ગયો અને તે પછી તે પીચ પર પાછો ફર્યો નહીં. જીટીની ઇનિંગ્સની 15મી ઓવરથી તે ડગઆઉટમાં બેઠો જોવા મળ્યો હતો.

બીજી તરફ, ભારત બે અઠવાડિયાથી ઓછા સમયમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. આવી સ્થિતિમાં વિરાટ કોહલીની ઈજાએ ટીમ ઈન્ડિયાની ચિંતા વધારી દીધી છે. જોકે, મેચ પછીની પ્રેસ કોન્ફરન્સમાં RCBના મુખ્ય કોચ સંજય બાંગરે પુષ્ટિ કરી હતી કે ઈજા ગંભીર નથી.
તેણે કહ્યું, 'હા, તેના ઘૂંટણમાં થોડી ઈજા થઈ હતી, પરંતુ મને નથી લાગતું કે તેમાં કંઈ ગંભીર છે. 4 દિવસમાં તેણે સતત બે બેક-ટુ-બેક સદી ફટકારી છે. તે એવી વ્યક્તિ છે જે માત્ર બેટિંગમાં જ નહીં પરંતુ ફિલ્ડિંગમાં પણ યોગદાન આપવા માંગે છે.
આ દરમિયાન તે ખૂબ દોડ્યો. થોડા દિવસો પહેલા તે 40 ઓવર માટે મેદાન પર હતો અને આજે 35 ઓવર. તેણે પોતાનું સર્વશ્રેષ્ઠ કર્યું. તેથી તે હેરાન કરનારૂ છે, પરંતુ મને નથી લાગતું કે તે કંઈપણ ગંભીર છે.
કોહલી અને શુભમન ગિલ બંનેએ IPLની છેલ્લી મેચમાં પોતપોતાની ટીમ માટે સદી ફટકારી હતી. GT, જેણે પ્લેઓફમાં પહેલેથી જ જગ્યા બનાવી લીધી હતી, તેણે RCBને કોઈ દયા ન બતાવી અને જોરદાર બેટિંગ કરી. જોકે, RCBની હાર બાદ વિરાટ કોહલી ઘણો નિરાશ થયો હતો, કારણ કે તેની મહેનત બાદ પણ ટીમ પ્લેઓફમાં સ્થાન મેળવી શકી ન હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, વિરાટ કોહલી એ સાત ભારતીય ખેલાડીઓમાં સામેલ છે જે 7 જૂનથી ઓસ્ટ્રેલિયા સામે શરૂ થઈ રહેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ માટે મંગળવારે એટલે કે આવતીકાલે ઈંગ્લેન્ડ જવા રવાના થશે.












Click it and Unblock the Notifications
