આ પાંચ પરિવર્તન ભારતને અપાવી શકે છે માન્ચેસ્ટરમાં વિજય
લોર્ડ્સ ખાતેના ભવ્ય વિજય બાદ ભારતીય ક્રિકેટ ટીમે સાઉથમ્પટન ખાતે નિરાશાજનક પરાજય વ્હોર્યો. જે બેટ્સમેન અને બોલર્સે લોર્ડ્સમાં શાનદાર પ્રદર્શન કરી માત્ર ક્રિકેટ ચાહકો જ નહીં પરંતુ ક્રિકેટ દિગ્ગજોની વાહવાહી લૂટી હતી, તેઓ સાઉથમ્પટન ખાતેના પોતાના નાલેશીભર્યા પ્રદર્શન બાદ ટીકાનું કેન્દ્ર બની ગયા છે.
સાઉથમ્પટન ખાતેની ટેસ્ટમાં ભારત બધા મોરચે નિષ્ફળ રહ્યું હતું. અજિંક્ય રહાણેને બાદ કરતા તમામ બેટ્સમેન પોતાની પ્રતિભાનુંસાર બેટિંગ કરવામાં નિષ્ફળ રહ્યાં હતા તો બીજી તરફ બોલિંગમાં પણ એ સાતત્ય જોવા મળ્યું નહોતું. ઇશાંત શર્માની ગેરહાજરીમાં ભારતીય બોલિંગની ધાર જાણેકે બુઠ્ઠી થઇ ગઇ હોય તેમ બોલર્સે રનનો વરસાદ કરી દીધો હતો. પંકજ સિંહ કે જેને પોતાની પ્રતિભા દર્શાવવાનું શ્રેષ્ઠ પ્લેટફોર્મ મળ્યું હતું તે અવસરને તકમાં તે પરિવર્તિત કરવામાં નિષ્ફળ રહ્યો હતો.
આ પણ વાંચોઃ- ઇજાગ્રસ્ત સાહાના સ્થાને નમન ઓઝાનો ટેસ્ટ ટીમમાં સમાવેશ
આ પણ વાંચોઃ- ટીમ ઇન્ડિયાની આ ‘ખામી' ન ગમી સુનિલ ગાવસ્કરને
સ્વાભાવિક પણે ભારત માન્ચેસ્ટર મેચમાં કેવું પ્રદર્શન કરશે તેને લઇને દરેક ક્રિકેટ રસિયાના મનમાં પ્રશ્ન ઉદ્ભવે તે સ્વાભાવિક છે અમે અહીં તસવીરો થકી એવા કેટલાક પોઇન્ટ જણાવી રહ્યાં છીએ, જે ભારતીય સુકાની મહેન્દ્ર સિંહ ધોની દ્વારા હાથ ધરવામાં આવે તો માન્ચેસ્ટરમાં ભારત સારું પ્રદર્શન કરી શકે છે.

ધોની પોતાના રક્ષાત્મક મિજાજને છોડે
સૌથી પહેલા ભારતીય સુકાનીએ જો કોઇ પરિવર્તન લાવવાની જરૂર છે તો તે તેમના રક્ષાત્મક મિજાજમાં લાવવાની જરૂર છે. ટોસ હાર્યા બાદ ધોનીએ રક્ષાત્મક અભિગમ અપનાવીને ટીમમાં ઓલ રાઉન્ડર આર અશ્વિનના બદલે રોહિત શર્માને સ્થાન આપ્યું. ધોનીએ પહેલી બન્ને મેચમાં જોયું કે ઓલ રાઉન્ડર સ્ટુઅર્ટ બિન્ની સારું પ્રદર્શન નહોતો કરી શક્યો ત્યારે તેણે બેટ્સેમનને તેના સ્થાને લેવાનું નક્કી કર્યું. પરંતુ ધોનીએ વિચારવું જોઇએ કે બેટ્સમેન માત્ર રન બનાવી શકે છે અને તેમાં પણ જો તે નિષ્ફળ જાય તો પછી તે અન્ય રીતે મદદરૂપ થઇ શકતો નથી, જ્યારે બોલર 20 વિકેટ લેવાની ક્ષમતા ધરાવે છે, જે ટેસ્ટમાં જરૂરી છે. તેથી જો માન્ચેસ્ટરમાં ભારતે વિજય મેળવવો હોય તો ધોનીએ રક્ષાત્મક અભિગમના બદલે પાંચમાં બોલરનો સમાવેશ કરી લડાકુ અભિગમ અપનાવવો પડશે.

યોગ્ય ટીમ પસંદગી
બીજો મહત્વનો મુદ્દો છે, ટીમ પસંદગીનો. ધોનીએ ટીમ પસંદગીમાં ખાસ ધ્યાન આપવાની જરૂર છે. જે પ્રમાણે ભારતીય બેટ્સમેન સતત ત્રણ ટેસ્ટમાં નિષ્ફળ રહ્યાં છે, ત્યારે તેના સ્થાને નવા બેટ્સમેનને ટીમમાં સ્થાન આપવાની જરૂર છે. તેમજ બોલિંગમાં પણ એ જ પ્રકારનો અભિગમ અપનાવવાની જરૂર છે. શિખર ધવન અને રોહિત શર્મા તથા મોહમ્મદ સમીને પડતા મુકવાની જરૂર છે. શિખર ધવનના બદલે ગૌતમ ગંભીર, રોહિત શર્માના સ્થાને આર અશ્વિન અને સમીના સ્થાને વરુણ એરોનનો ટીમમાં સમાવેશ કરી શકાય છે

પૂજારા અને કોહલીએ પોતાના સ્વભાવ પ્રમાણે બેટિંગ કરવાની જરૂર
અન્ય મહત્વની કોઇ વાત હોય તો તે ચેતેશ્વર પૂજારા અને વિરાટ કોહલીની નિષ્ફળતાની છે. આ બન્ને ખેલાડી એવા છેકે જે ટેસ્ટ મેચના પરિણામને બદલી શકે છે. એક ધેર્યપૂર્ણ અને લાંબી ઇનિંગ રમવામા માહેર છે તો બીજો ખેલાડી પોતાની આક્રમકતા સાથે સ્કોરબોર્ડને સતત ફરતું રાખવા અને મેચ વિનિંગ ઇનિંગ રમવા માટે જાણીતો છે. પરંતુ હાલના તબક્કે બન્ને બેટ્સમેનની બેટિંગ પર ધ્યાન આપવામાં આવે તો બન્ને ખેલાડી પોતાના સ્વભાવ પ્રમાણે બેટિંગ કરી શક્યા નથી. કોહલી અને પૂજારાએ આ શ્રેણીની ત્રણેય મેચમાં 50ના સ્કોરને પાર કર્યો નથી.

સાતત્યપૂર્ણ બોલિંગ
બોલર્સ દ્વારા સાતત્યપૂર્ણ રીતે બોલિંગ નહીં કરવાની ખામી ભારતમાં પહેલાથી જ છે. જેના કારણે સાઉથમ્પટન ટેસ્ટમાં ઇંગ્લેન્ડ 500 કરતા વધુનો સ્કોર બનાવી શક્યું હતું. જે પ્રકારની પીચ સાઉથમ્પટનમાં છે, તેવી જ પીચ માન્ચેસ્ટર અને ઓવેલ ખાતે પણ છે, તેથી ભારતે પોતાની બોલિંગમાં સાતત્યતા લાવવાની જરૂર છે. જો ભારત રાઇટ એરિયામાં બોલિંગ કરે તો તે ઇંગ્લેન્ડના બેટ્સમેનને ભારે પડી શકે તેમ છે.

ઇશાંત શર્માએ માન્ચેસ્ટરમાં રમવુ જોઇએ
હાલના સમયમાં ટીમ ઇન્ડિયામાં બે બોલર્સ ફૂલ ફોર્મમાં છે, એક ઇશાંત શર્મા અને બીજો ભુવનેશ્વર કુમાર. જોકે બન્ને ખેલાડીઓ ઇજાનો સામનો કરી રહ્યાં છે. તેમ છતાં કહેવાય છેકે ઇશાંત શર્મા માન્ચેસ્ટર ખાતેની મેચ રમી શકે તેમ છે. જો એ વાત સાચી છે અને ઇશાંત શર્મા ઇજામાંથી બહાર આવી રહ્યો છે તો ભારતે પંકજ સિંહને ફરીથી પડતો મુકીને ઇશાંત શર્માને ટીમમાં સ્થાન આપવું જોઇએ. તેનાથી ભારતની બોલિંગ મજબૂત થઇ જશે.












Click it and Unblock the Notifications
