IND vs NZ : ન્યૂઝીલેન્ડ સામે ભારતનો રેકોર્ડ બહું સારો નથી, આ રહ્યાં આંકડા!
ICC T20 વર્લ્ડ કપ 2021માં ભારતીય ક્રિકેટ ટીમ સેમિફાઇનલમાં પહોંચવા માટે તમામ પ્રયાસો કરવા તૈયાર છે. પાકિસ્તાન સામે 10 વિકેટની હાર બાદ ભારતે હવે તેની આગામી મેચ જીતવી પડશે, જે 31 ઓક્ટોબરે ન્યૂઝીલેન્ડ સામે યોજાશે.
ICC T20 વર્લ્ડ કપ 2021માં ભારતીય ક્રિકેટ ટીમ સેમિફાઇનલમાં પહોંચવા માટે તમામ પ્રયાસો કરવા તૈયાર છે. પાકિસ્તાન સામે 10 વિકેટની હાર બાદ ભારતે હવે તેની આગામી મેચ જીતવી પડશે, જે 31 ઓક્ટોબરે ન્યૂઝીલેન્ડ સામે યોજાશે. જો કે, આ મેચ ભારત માટે આસાન નહીં હોય. કારણ કે ન્યુઝીલેન્ડ પણ સુપર 12માં પોતાની પ્રથમ મેચ પાકિસ્તાન સામે હાર્યુ છે. હવે બંને ટીમો માટે આ જીત ખૂબ જ મહત્વપૂર્ણ છે, પરંતુ ક્રિકેટ ઈતિહાસ પર નજર કરીએ તો ન્યૂઝીલેન્ડ ઘણી વખત વિરાટ સેનાનું ટાઈટલ જીતવાનું સપનું તોડી ચુક્યું છે.
આંકડા ગવાહી આપે છે
આંકડા કહે કહે કે, જ્યારે પણ ભારત ખિતાબ જીતવા માટે ઉતર્યુ ત્યારે ન્યૂઝીલેન્ડની ટીમ રસ્તાનો રોડો બની છે. 2003માં ભારતે છેલ્લી વખત ODI વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડને હરાવ્યું હતું. આ પછી ન્યુઝીલેન્ડે પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. ન્યૂઝીલેન્ડે બે વખત ભારતને ICC ટ્રોફી જીતતા અટકાવ્યું છે. વર્ષ 2019માં યોજાયેલા ODI વર્લ્ડ કપમાં ભારત ખિતાબ જીતવા માટે દાવેદાર હતું, પરંતુ સેમિફાઇનલ મેચમાં ન્યૂઝીલેન્ડ સામે 18 રને પરાજય થયો હતો. ભારત બહાર થયા બાદ ન્યુઝીલેન્ડે ફાઇનલમાં જગ્યા બનાવી હતી. ત્યારબાદ ભારત શાનદાર પ્રદર્શન કરીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2021ની ફાઇનલમાં પહોંચ્યું હતું, પરંતુ અહીં પણ ન્યૂઝીલેન્ડનો વિજય થયો હતો. આ રીતે કોહલીની કપ્તાનીમાં ભારત ન્યૂઝીલેન્ડના કારણે બે મોટા ખિતાબ જીતવાનું ચૂકી ગયું છે.
ટી20 વર્લ્ડ કપમાં પણ ન્યુઝીલેન્ડનો દબદબો
આ સિવાય T20 વર્લ્ડ કપમાં પણ ન્યૂઝીલેન્ડનો સંપૂર્ણ દબદબો રહ્યોં છે. બંને વચ્ચે અત્યાર સુધીમાં બે વખત ટક્કર થઈ છે અને બંને વખત ન્યુઝીલેન્ડે ભારતને હરાવ્યું છે. 2007માં ન્યુઝીલેન્ડે ભારતને 10 વિકેટથી હરાવ્યું હતું. જો કે, તે ટુર્નામેન્ટ ભારતે જીતી હતી. ત્યારબાદ 2016માં બંને વચ્ચે T20 વર્લ્ડ કપ મેચ રમાઈ હતી. આ મેચમાં પણ ન્યૂઝીલેન્ડે ભારતને 47 રને હરાવ્યું હતું. એકંદરે વિલિયમસનની ટીમે T20 વર્લ્ડ કપમાં કોહલીની ટીમને પાછળ છોડી દીધી છે. બંને T20I માં કુલ 17 વખત સામસામે આવ્યા છે. બંનેએ 8-8 વખત જીત મેળવી છે, જ્યારે એક મેચ રદ્દ કરવામાં આવી હતી.
ભારતીય ટીમ આ વખતે ઈતિહાસ બદલી શકે છે
જોકે ભારતીય ટીમ ઈતિહાસ બદલી શકે છે. ભારત પાસે ન્યૂઝીલેન્ડ સાથે જૂનો હિસાબ પુરો કરવાની તક હશે. ન્યૂઝીલેન્ડને સેમિફાઇનલમાંથી બહાર કરવાના જોખમને વધારવા ભારત જીત નોંધાવવા માંગે છે. બધાની નજર જસપ્રીત બુમરાહ પર રહેશે, કારણ કે તે ટી-20માં ન્યૂઝીલેન્ડ સામે સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય બોલર છે. બુમરાહે 34 ઓવર ફેંકી છે અને 213 રન આપીને 10 વિકેટ લીધી છે. ન્યુઝીલેન્ડ સામે તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 12 રનમાં 3 વિકેટ હતું. બેટિંગમાં રોહિત શર્મા પર નજર છે, જેને ન્યૂઝીલેન્ડ સામે રમાયેલી T20 મેચમાં ભારત માટે સૌથી વધુ 338 રન બનાવ્યા છે. બીજા નંબરે વિરાટ કોહલી (302) છે. રોહિત પાકિસ્તાન સામેની મેચમાં ખાતું પણ ખોલી શક્યો ન હતો, પરંતુ હવે મહત્વની મેચમાં તેની પાસેથી મોટી ઇનિંગ્સની અપેક્ષા છે. હવે જોવાનું એ રહે છે કે કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડને હરાવીને ઈતિહાસ રચે છે કે નહીં. જો ભારતીય ટીમ જીતશે તો ટી-20 વર્લ્ડ કપમાં ન્યુઝીલેન્ડ સામેની પ્રથમ જીત પણ હશે.