ધવન-વિરાટનું શાનદાર પ્રદર્શન, ભારતે શ્રીલંકાને 6 વિકેટે હરાવ્યું
હૈદરાબાદ, 10 નવેમ્બર: વિરાટ કોહલીની કેપ્ટનશિપ હેઠળ ભારતે સતત સારું પ્રદર્શન કરતાં પાંચ વન-ડે સીરીઝમાં 3-0થી બઢત મેળવી લીધી છે. રવિવારે પણ ભારતે હૈદરાબાદમાં રમાયેલી ત્રીજી એકદિવસીય મેચમાં શ્રીલંકાને છ વિકેટથી હરાવી દિધું છે. શ્રીલંકા દ્વારા આપવામાં આવેલા 243 રનના લક્ષ્યનો પીછો કરતાં ભારતીય ટીમે ફક્ત 44.1 ઓવરમાં ચાર વિકેટ ગુમાવી જીત પ્રાપ્ત કરી લીધી છે. સદી ફટકારનાર શ્રીલંકાના મહિલા જયવર્ધને (118)ને 'મેન ઓફ ધ મેચ' જાહેર કરવામાં આવ્યો હતો.
પરંતુ ખરેખર મેચનો સાચો હિરો રહેલા શિખર ધવને (91) અને કેપ્ટન વિરાટ કોહલી (53) જેમણે શાનરદાર ઇનિંગ રમી હતી અને લોકોનું જોરદાર મનોરંજન કરાવ્યું હતું. ભારતના ઓપનર બેસ્ટમેન અંજિક્ય રહાણે (31) અને શિખર ધવને પ્રથમ વિકેટ માટે 62 રન બનાવ્યા હતા. રહાણેના આઉટ થયા બાદ બેટીંગ કરવા માટે આવેલા અંબાતી રાયડૂએ પણ મહત્વપૂર્ણ 35 રનોનું યોગદાન કર્યું.
શિખર ધવને રાયડૂની સાથે બીજી વિકેટ માટે 69 અને પછી વિરાટ કોહલીની સાથે ત્રીજી વિકેટ માટે 70 રનની ભાગીદારી કરી. શિખર ધવને 79 બોલની ઇનિંગમાં આઠ ચોગ્ગા અને એક સિક્સર ફટાકારી હતી.
આ પહેલાં મહિલા જયવર્ધને (118)ના કારર્કિદીની 17મી સદી અને દિલશાન (53)ની સંઘર્ષપૂર્ણ ઇનિંગ છતાં ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરતાં શ્રીલંકાની આખી ટીમ 48.2 ઓવરમાં 242 રન બનાવીને આઉટ થઇ ગઇ.
શરૂઆતથી મુશ્કેલીઓમાં ઘેરાયેલી પોતાની ટીમને ઉગારતાં જયવર્ધનેએ કેરિયરની 17મી સદી ફટકારી. તેમણે 124 બોલની ઇનિંગમાં 12 ચોગ્ગા અને એક સિક્સર ફટકારી હતી. જયવર્ધને આઠમા વિકેટના રૂપમાં આઉટ થયા. તેમણે રવિચંદ્રન અશ્વિને વિકેટકીપર રિદ્ધિમાન સાહાના હાથે કેચ કરાવ્યો. પોતાની આ ઇનિંગ દરમિયાન જયવર્ધનેએ 12000 રન પુરા કરી લીધા.
ભારત તરફથી ફાસ્ટ બોલર ઉમેશ યાદવે ચાર જ્યારે સ્પિનર બોલર અક્ષર પટેલે ત્રણ ખેલાડીઓને આઉટ કર્યા હતા. અશ્વિન, રાયડૂ અને ધવલ કુલકર્ણીને એક-એક સફળતા મળી. કુલ મળીને ટીમ ઇન્ડિયાએ સીરીઝમાં અત્યાર સુધી એક શાનદાર પ્રદર્શન કર્યું છે. આ સીરીઝને વર્લ્ડકપ 2015ની પ્રી-એક્ઝામ ગણવામાં આવી રહી છે સાથે જ આ સીરીઝ વિરાટ કોહલી માટે પણ એક કેપ્ટન તરીકે પણ મહત્વપૂર્ણ છે.