પાકિસ્તાન સામે પુનરાગમન કરશે ટીમ ઇન્ડિયાઃ સચિન
વનડે ક્રિકેટમાંથી અચાનક નિવૃત્તિની જાહેરાત કરીને પોતાના પરિવાર સાથે મસૂરીમાં રજાઓ ગાળી રહેલા સચિને બુધવારે ભારતીય ટીમને પોતાની શુભેચ્છા પાઠવી હતી અને ટીમ ઝડપથી ખરાબ સમયમાંથી બહાર આવવામાં સફળ રહેશે.
પત્રકારો સાથે વાત કરતા સચિને કહ્યું કે તે પોતાના પરિવાર સાથે સારો સમય પસાર કરી રહ્યો છે. સચિને તાજેતરમાં જ વનડે ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. સચિને કહ્યું કે હાલ તે ટેનિસની બોલ સાથે ક્રિકેટ રમવામાં વ્યસ્ત છે. સાથે જ તે પોતાના બાળકો સાથે ટેબલ ટેનિસ અને બેડમિન્ટનમાં પણ હાથ અજમાવી રહ્યો છે.
સચિને કહ્યું કે, હું ટેબલ ટેનિસ રમી રહ્યો છું. બેડમિન્ટન રમી રહ્યો છું અને ટેનિસના બોલથી ક્રિકેટ રમી રહ્યો છે. વચ્ચે-વચ્ચે જ્યારે સમય મળે છે ત્યારે ટીવી પર ક્રિકેટ જોઉં છું. હું વનડે ટીમનો ભાગ નથી, પરંતુ મારું દિલ હંમેશા ટીમ સાથે છે. હું માનું છું કે અમારી ટીમ યોગ્ય સમયે પુનરાગમન કરશે.