IPL 2021: કેએલ રાહુલમાં ભારતનાં કેપ્ટન બનવાનાં ગુણ નથી-અજય જાડેજા
ભૂતપૂર્વ ભારતીય બેટ્સમેન અને કોમેન્ટેટર અજય જાડેજાએ IPL માં કેએલ રાહુલની કેપ્ટનશીપ પર સવાલ ઉઠાવ્યા છે.
નવી દિલ્હી : ભૂતપૂર્વ ભારતીય બેટ્સમેન અને કોમેન્ટેટર અજય જાડેજાએ IPL માં કેએલ રાહુલની કેપ્ટનશીપ પર સવાલ ઉઠાવ્યા છે. તેને લાગે છે કે કર્ણાટકના બેટ્સમેનમાં નેતૃત્વનો અભાવ છે અને તેમણે છેલ્લી બે સીઝનમાં પંજાબ કિંગ્સ (PBKS) નું નેતૃત્વ કરતી વખતે રાહલમાં સારા કેપ્ટનના ગુણ જોયા નથી. રાહુલની કેપ્ટનશીપ હેઠળ પંજાબે 25 IPL મેચ રમી છે. આમાંથી ટીમે 11 જીતી અને 14 હારી છે. IPL 2021 ના પોઈન્ટ ટેબલમાં પણ પંજાબ 10 પોઈન્ટ સાથે પાંચમા સ્થાને છે. રવિવારે રોયલ ચેલેન્જર્સ બેંગલોરે રોમાંચક મેચ પંજાબને 6 રનથી હરાવ્યું હતું. પંજાબે આ સિઝનમાં રમાયેલી 13 માંથી માત્ર 5 મેચ જીતી છે.
ક્રિકબઝ સાથે વાત કરતી વખતે જાડેજાએ એક વાત પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે રાહુલ મૃદુભાષી છે અને તેનું વર્તન લચીલુ છે. આ એવા ગુણો છે જે તમને રમતમાં ખૂબ આગળ લઈ જઈ શકે છે. પરંતુ કેપ્ટન તરીકે તમારા કામમાં નહીં આવે. જો તમે કેએલ રાહુલને જુઓ તો તે છેલ્લા બે વર્ષથી આ ટીમના કેપ્ટન છે, મને ક્યારેય નથી લાગ્યુ કે તે લીડર છે. RCB સામે આજે રમી રહેલી ટીમમાં કરવામાં આવેલા ફેરફારો જોઈને શું તમને લાગે છે કે કેએલ રાહુલે આવું કર્યું હોય?
તેમણે વધુમાં કહ્યું કે, ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન બનવા માટે તમારી પોતાની વિચારસરણી અને નેતૃત્વ ક્ષમતા હોવી જોઈએ. કેએલ રાહુલમાં મેં આવું કશું જોયું નથી. કારણ કે તે ખૂબ જ નરમ બોલે છે અને દરેક વસ્તુને સંતુલિત કરવાનો પ્રયાસ કરે છે. તે સાચું છે કે જો તે એક દિવસ ભારતનો કેપ્ટન બનશે તો તે આ જવાબદારી લાંબા સમય સુધી નિભાવી શકશે. કારણ કે જે વ્યક્તિ દરેક વસ્તુને વ્યવસ્થિત કરે છે તે જ આ પદ પર લાંબો સમય રહી શકે છે. જો કે ભારતીય કેપ્ટનને પોતાની વિચારસરણી હોવી જોઈએ. આઈપીએલ ટીમની કમાન સંભાળવી અને ભારતીય ટીમની કેપ્ટનશીપમાં મોટો તફાવત છે.
જાડેજાએ કહ્યું કે, રાહુલ એમએસ ધોની જેવો શાંત સ્વભાવ ધરાવે છે, પરંતુ પંજાબ કિંગ્સના કેપ્ટન તરીકે તેણે પોતાના ખભા પર વધારે જવાબદારી ઉપાડી નથી. ભૂતપૂર્વ ભારતીય બેટ્સમેને કેએલ રાહુલ વિશે કહ્યું કે હું તેને વ્યક્તિગત રીતે ઓળખતો નથી. પરંતુ સામાન્ય રીતે જ્યારે તે મેદાનમાં હોય ત્યારે તે ધોનીની જેમ શાંત હોય છે. તેનામાં ઘણી સારી વસ્તુઓ છે. પરંતુ સૌથી વધુ તમારે નેતા બનવાની જરૂર છે. લોકોએ તમારા નિર્ણયો પર ચર્ચા કરવી જોઈએ. આઈપીએલની ટીમમાં પણ તેની સાથે આવું ક્યારેય થતું નથી, કારણ કે તેણે પોતાની જાત પર કોઈ જવાબદારી લીધી નથી, અન્યને ટીમ ચલાવવાની મંજૂરી આપી છે.