IPL 2023 : આ તારીખે ખેલાડીઓની નિલામી યોજાશે, 3 વર્ષ બાદ જૂના ફોર્મેટનો અમલ થશે!
કોરોનાની વિદાય બાદ હવે આખરે આઈપીએલ પુરી છુટછાથ સાથે યોજાશે. આઈપીએલ 2023ને લઈને તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. IPL ની આગામી સિઝન માટે હરાજી 16 ડિસેમ્બરે બેંગ્લોરમાં યોજાવાની છે.
નવી દિલ્હી : કોરોનાની વિદાય બાદ હવે આખરે આઈપીએલ પુરી છુટછાથ સાથે યોજાશે. આઈપીએલ 2023ને લઈને તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. IPL ની આગામી સિઝન માટે હરાજી 16 ડિસેમ્બરે બેંગ્લોરમાં યોજાવાની છે. ટૂર્નામેન્ટનું હોમ અને અવે ફોર્મેટ ત્રણ વર્ષ પછી પરત ફરશે. આ વર્ષે તમામ ટીમો એક મેચ હોમ ગ્રાઉન્ડમાં અને એક બહાર રમશે. આ ફોર્મેટ શરૂઆતથી જ ચાલી રહ્યું છે, પરંતુ કોરોનાને કારણે 2019થી આ ફોર્મેટ સાથે ટૂર્નામેન્ટ રમી શકાઈ નથી.
માર્ચના અંતિમ સપ્તાહમાં 16મી સિઝન શરૂ થઈ શકે છે. 2019 પછીની બે સીઝન ભારતની બહાર યોજાઈ હતી. ભારતમાં 2021ની સીઝન શરૂ થઈ ગઈ હતી, પરંતુ વચ્ચે વચ્ચે કોરોના સંક્રમણના કેસો આવ્યા બાદ સીઝનને UAE શિફ્ટ કરવી પડી હતી. 2022ની સીઝન સંપૂર્ણપણે ભારતમાં યોજાઈ હતી, પરંતુ સીઝનની લીગ તબક્કાની મેચો માત્ર ત્રણ શહેરોમાં જ રમાઈ હતી. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં પ્લેઓફનું આયોજન કરવામાં આવ્યું હતું.
IPL 2022ની મેગા ઓક્શનમાં ટીમોને 90 કરોડ રૂપિયાની સેલેરી પર્સ મળી હતી, પરંતુ આ વર્ષની હરાજીમાં તે વધારીને 95 કરોડ રૂપિયા થઈ શકે છે. ગયા વર્ષે મેગા ઓક્શન થયું હતું, પરંતુ સિઝન માટે મિની ઓક્શન થશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના અધ્યક્ષ પદેથી રાજીનામું આપતા પહેલા સૌરવ ગાંગુલીએ સ્ટેટ એસોસિએશનને પત્રમાં જણાવ્યું હતું કે આ વખતે લીગનું આયોજન હોમ અને અવે ફોર્મેટમાં કરવામાં આવશે.