શ્રીનિવાસને બીસીસીઆઇને 39 અબજનો ચૂનો લગાવ્યો : લલિત મોદી
નવી દિલ્હી, 17 સપ્ટેમ્બર : ઈન્ડિયન પ્રીમીયર લીગ (આઈપીએલ)ના પૂર્વ કમિશ્નર લલિત મોદીએ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના અધ્યક્ષ એન શ્રીનિવાસન પર આરોપ લગાવ્યો છે. લલિત મોદીએ આરોપ મુક્યો છે કે શ્રીનિવાસને ચતુરાઈથી બોર્ડને 39 અબજ 68 કરોડ 27 લાખ રૂપિયાનો ચૂનો લગાવ્યો છે.
લંડનમાં સ્વનિર્વાસિત જીવન વીતાવી રહેલા મોદીએ ટવીટર પર શ્રીનિવાસન વિરૂધ્ધ મોરચો માંડતા કહ્યું કે બોર્ડ અધ્યક્ષે 2009માં આઈપીએલના બીજા સત્રમાં ચતુરાઈ સાથે પોતાની ધાલમેલને છુપાવી હતી. પોતાના આ આરોપોને સાબિત કરવા માટે મોદીએ કેટલાક દસ્તાવેજો પણ બહાર પાડયા છે.
દસ્તાવેજો અનુસાર શ્રીનિવાસને બીસીસીઆઈની પરવાનગી વિના ક્રિકેટ સાઉથ આફ્રિકા (સીએસએ)ને બેંક એકાઉન્ટ ખોલવા જણાવ્યું અને તે માટે 30 માર્ચ, 2009ના રોજ કાયદેસર એક સમજૂતી પણ કરી હતી. દેશમાં સામાન્ય ચૂંટણીઓને કારણે આઈપીએલના બીજા સત્રનું આયોજન દક્ષિણ આફ્રિકામાં કરવામાં આવ્યું હતું. આ સમજૂતીની શરત એ હતી કે આ ખાતાનું સંચાલન સીએસએ ટુર્નામેન્ટ સંચાલિત કરવા માટે કરશે. આનો ઉપયોગ તો બીસીસીઆઈના ખાતાની જેમ જ કરાશે પણ પરોક્ષ રીતે તે સીએસએનું ખાતું ગણાશે.