અ'વાદમાં બીજી ટી-20 મેચ, ભારતનું જીતવું જરૂરી
આવતીકાલે અમદાવાદના મોટેરા સ્ટેડિયમ ખાતે ભારત અને પાકિસ્તાન વચ્ચે બીજી અને છેલ્લી ટી-20 મેચ સાંજે પાંચ વાગ્યે રમાવાની છે, જેમાં ભારત માટે જીતવું જરૂરી છે જો ટી-20 શ્રેણીને બરાબરી પર સમાપ્ત કરવી હોય તો આ મેચ ભારત માટે કરો યા મરો સાબિત થશે.
ઉલ્લેખનીય છે કે પ્રથમ ટી-20 મેચમાં પાકિસ્તાનને અંતિમ ઓવરમાં 10 રનની જરૂર હતી અને મલિકે રવિન્દ્ર જાડેજાની ઓવરના ચોથા બોલ પર વિજયી છગ્ગો ફટકારી મેચ જીતાડી હતી. ટીમ ઇન્ડિયાના ટોચના બેટ્સમેનોને બાદ કરતા ભારતના તમામ બેટ્સમેનો નિષ્ફળ રહ્યાં હતા. જ્યારે બોલિંગમાં નવોદિત ભુવનેશ્વર કુમારે ત્રણ વિકેટ ઝડપી હતી.
20 ઓવરની મેચમાં ભારત નવ વિકેટ ગુમાવીને માત્ર 133 રન જ બનાવી શક્યું હતું. પાકિસ્તાની બેટ્સમેનોએ આ પડકાર માત્ર પાંચ વિકેટ ગુમાવીને 19.4માં હાંસલ કરી લીધો હતો. પાંચ વર્ષ બાદ પહેલીવાર ભારતની ધરતી પર પાકિસ્તાન રમી રહ્યું છે અને તેની પહેલી મેચમાં ભારતે હારનો સામનો કરવો પડ્યો છે. બેંગલુરુમાં હાર બાદ ક્રિકેટ ચાહકોની નજર અમદાવાદની ટી-20 પર રહેશે.
વન ડે શ્રેણી 30 ડિસેમ્બરથી ચેન્નાઇમાં શરૂ થશે. બીજી વન ડે મેચ 3 જાન્યુઆરીએ કોલકાતા તથા ત્રીજી અને છેલ્લી મેચ 6 જાન્યુઆરીએ દિલ્હીમાં રમાશે.