ભારત માટે પ્રથમ T20 મેચ રમનારા ખેલાડીઓ હાલ શું કરી રહ્યા છે?
1 ડિસેમ્બર 2006ના રોજ જોહાનિસબર્ગ ખાતે ભારતે તેની પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. તે મેચને હવે 16 વર્ષ પૂર્ણ થયા છે. ત્યારથી ભારત સેંકડો મેચ રમ્યું છે અને સૌથી વધુ T20 મેચ રમનારા દેશોની યાદીમાં પાંચમા નંબરે છે.
1 ડિસેમ્બર 2006ના રોજ જોહાનિસબર્ગ ખાતે ભારતે તેની પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. તે મેચને હવે 16 વર્ષ પૂર્ણ થયા છે. ત્યારથી ભારત સેંકડો મેચ રમ્યું છે અને સૌથી વધુ T20 મેચ રમનારા દેશોની યાદીમાં પાંચમા નંબરે છે. હવે જ્યારે ભારતે ટી-20 મેચ રમીને 16 વર્ષ પૂરા કર્યા છે, તો ચાલો તમને જણાવીએ કે ભારત માટે પ્રથમ T20 મેચ રમનાર ક્રિકેટર કોણ હતા અને હવે તેઓ શું કરી રહ્યા છે. આ મેચમાં ભારતે 6 વિકેટે જીત મેળવી હતી.
વીરેન્દ્ર સેહવાગ
ડેબ્યૂ ટી20માં ભારતની કેપ્ટનશિપ કરનાર વીરેન્દ્ર સેહવાગે તેની છેલ્લી ટી20 મેચ 2012 ટી20 વર્લ્ડ કપમાં દક્ષિણ આફ્રિકા સામે રમી હતી. અને વર્ષ 2015માં તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું. હાલમાં સેહવાગ ઘણી ક્રિકેટ યુટ્યુબ ચેનલો પર નિષ્ણાત તરીકે દેખાય છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને પોતાના બેખૌફ નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. કેટલીકવાર તે કોમેન્ટ્રી કરતી વખતે તેના ક્રિકેટ અનુભવ અને ટિપ્સ શેર કરતો રહે છે. હરિયાણામાં તેમના નામ પર સેહવાગ ઇન્ટરનેશનલ સ્કૂલ પણ છે, જ્યાં બાળકોને અભ્યાસની સાથે ક્રિકેટ પણ શીખવવામાં આવે છે.
સચિન તેંડુલકર
ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરે ભારતની પ્રથમ T20 મેચમાં ઓપનર તરીકે જવાબદારી સંભાળી હતી. તે મેચમાં તેણે 12 બોલમાં 10 રન બનાવ્યા હતા. આ તેની પ્રથમ અને છેલ્લી ટી20 મેચ હતી. જો કે તે ક્રિકેટના અન્ય બંને ફોર્મેટમાં સક્રિય રહ્યો હતો. માસ્ટર બ્લાસ્ટરે તેની 200મી ટેસ્ટ મેચ પૂરી થવાના અવસર પર વર્ષ 2013માં ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી હતી. નિવૃત્તિ પછી સચિન IPL ફ્રેન્ચાઇઝી મુંબઇ ઇન્ડિયન્સમાં માર્ગદર્શક તરીકે જોડાયો. હાલમાં તે તેની યુટ્યુબ ચેનલ દ્વારા રમતને લગતી તેની મહત્વપૂર્ણ ટીપ્સ શેર કરે છે. આ સિવાય તે ઘણી જાહેરાતોમાં પણ જોવા મળે છે.
દિનેશ મોંગિયા
ભૂતપૂર્વ ડાબોડી બેટ્સમેન દિનેશ મોંગિયા પણ ભારતની પ્રથમ T20I મેચનો ભાગ હતો. તેણે તે મેચમાં 45 બોલમાં 38 રન બનાવ્યા હતા. સચિનની જેમ દિનેશ મોંગિયાની પણ આ પ્રથમ અને છેલ્લી T20 મેચ હતી. મોંગિયાએ તેની છેલ્લી હોમ મેચ વર્ષ 2007માં રમી હતી. બાદમાં તે ઈન્ડિયન ક્રિકેટ લીગ (ICL) ટીમ ચંદીગઢ લાયન્સનો ભાગ હતો. વર્ષ 2021માં તેને અરુણાચલ પ્રદેશની ટીમનો મુખ્ય કોચ બનાવવામાં આવ્યો હતો. આ વર્ષે ડિસેમ્બરમાં તેઓ ભાજપમાં જોડાયા અને રાજકારણમાં એન્ટ્રી લીધી.
મહેન્દ્રસિંહ ધોની
એમએસ ધોની ડેબ્યૂ મેચમાં 2 બોલમાં ખાતું ખોલાવ્યા વગર જ આઉટ થઈ ગયો હતો. જો કે, T20માં ખરાબ શરૂઆતને સુધારીને તેણે વર્ષ 2007માં જ T20 વર્લ્ડ કપની ટ્રોફી જીતવાનો રેકોર્ડ બનાવ્યો હતો. એમએસડીના નેતૃત્વમાં ભારતીય ટીમે 2011નો વર્લ્ડ કપ અને 2013ની ચેમ્પિયન્સ ટ્રોફી પણ જીતી હતી. અને આ રીતે ધોની ક્રિકેટ જગતનો સૌથી સફળ કેપ્ટન બન્યો. ધોનીએ ઓગસ્ટ 2020માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. જોકે તે આઈપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્સનું કમાન સંભાળી રહ્યો છે. અને હવે એ પણ સ્પષ્ટ છે કે IPLની આગામી સિઝનમાં પણ આપણે તેને CSK સાથે જોઈશું.
દિનેશ કાર્તિક
ભારતીય ટીમનો વિકેટકીપર-બેટ્સમેન દિનેશ કાર્તિક ભારતની પ્રથમ T20 ટીમનો એકમાત્ર સભ્ય છે, જેણે હજુ સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી નથી. 37 વર્ષની ઉંમરે તેણે IPLમાં તેના શાનદાર પ્રદર્શનને કારણે IND vs SA T20 શ્રેણીમાં પુનરાગમન કર્યું છે. વર્ષ 2006માં પ્રથમ T20 મેચમાં કાર્તિકે શાનદાર પ્રદર્શન કર્યું, જેના માટે તેને પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ મળ્યો. તેણે 28 બોલમાં 31 રનની તોફાની ઇનિંગ રમીને આ મેચમાં ભારતને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. હાલમાં, તે IPL ફ્રેન્ચાઇઝી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો એક ભાગ છે. IPL 2022 માં, કાર્તિકે RCB માટે સારું પ્રદર્શન કર્યું, તેણે 183.33ના સ્ટ્રાઈક રેટથી 330 રન બનાવ્યા. કાર્તિક હાલમાં સ્થાનિક ક્રિકેટમાં પણ સક્રિય છે.
સુરેશ રૈના
મર્યાદિત ઓવરોના નિષ્ણાત તરીકે જાણીતા સુરેશ રૈનાએ 2006માં ભારતની પ્રથમ T20 મેચમાં ચાર બોલમાં અણનમ ત્રણ રન બનાવ્યા હતા. તેણે બે કેચ પણ લીધા અને એક રન આઉટમાં મહત્વની ભૂમિકા ભજવી. રૈનાએ ભારત માટે 78 T20 મેચ રમી છે. તે T20 ક્રિકેટમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય ખેલાડી પણ છે. તેણે 2010માં T20 વર્લ્ડ કપ દરમિયાન દક્ષિણ આફ્રિકા સામે આ કારનામું કર્યું હતું. IPLમાં પણ રૈના CSK ટીમનો મોટો સ્ટાર રહ્યો છે. રૈના અને ધોનીની જોડીએ આઈપીએલમાં ધૂમ મચાવી છે. આ કારણથી ધોનીએ નિવૃત્તિ લીધી તે જ દિવસે રૈનાએ પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. IPL 2022 માં ન વેચાયા પછી રૈનાએ તેની ક્રિકેટ કોમેન્ટ્રીની શરૂઆત કરી છે.
ઇરફાન પઠાણ
પૂર્વ ઓલરાઉન્ડર ઈરફાન પઠાણને ભારતની પ્રથમ T20 મેચમાં એક પણ વિકેટ મળી ન હતી. તેણે ચાર ઓવરમાં 30 રન પણ આપ્યા હતા. પોતાની ઓન-ઓફ કારકિર્દીમાં પઠાણ ઈજા સામે લડતી વખતે ભારત માટે માત્ર 24 T20 મેચ રમી શક્યો હતો. આ ફોર્મેટમાં તેનું શ્રેષ્ઠ પ્રદર્શન 2007 T20 વર્લ્ડ કપની ફાઇનલમાં પ્લેયર ઓફ ધ મેચ જીતવાનું હતું. પઠાણ છેલ્લે વર્ષ 2012માં રમ્યો હતો અને વર્ષ 2020માં તેણે ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. આ પછી જમ્મુ અને કાશ્મીરની ટીમના મેન્ટર તરીકે તેને ઘણી પ્રશંસા મળી. આ સિવાય તે છેલ્લા ઘણા સમયથી કોમેન્ટ્રી અને ક્રિકેટ વિશ્લેષક તરીકે સક્રિય છે. તે ક્રિકેટ એકેડમી પણ ચલાવે છે. અને હવે પઠાણ કોલીવુડની ફિલ્મ કોબ્રાથી તેની અભિનય કારકિર્દીની શરૂઆત કરવા જઈ રહ્યો છે.
હરભજનસિંહ
પૂર્વ ઓફ સ્પિનર હરભજન સિંહે ભારતની પ્રથમ T20 મેચમાં ત્રણ ઓવરમાં 22 રન આપ્યા હતા. તેણે જોહાન વાન ડેર વાથની વિકેટ લઈને આ ફોર્મેટમાં પ્રથમ વિકેટ લીધી હતી. હરભજન 2007 T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમનો ભાગ હતો. તેણે ભારત માટે 28 ટી20 મેચ રમી હતી, જેમાં તેણે છેલ્લી મેચ વર્ષ 2016માં રમી હતી. સતત ભારતીય ટીમમાંથી બહાર હોવા છતાં ભજ્જી 2021 સુધી IPLનો ભાગ રહ્યો. તેણે ડિસેમ્બર 2021માં ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી હતી. જો કે, નિવૃત્તિ પહેલા જ ભજ્જીએ ક્રિકેટ એક્સપર્ટ તરીકે પોતાની નવી ઇનિંગની શરૂઆત કરી હતી.
ઝહીર ખાન
પૂર્વ ફાસ્ટ બોલર ઝહીર ખાને ભારતની પ્રથમ T20 મેચમાં શાનદાર બોલિંગ કરી હતી. તેણે પોતાની સ્વિંગ બોલિંગથી આફ્રિકાના બેટ્સમેનોને ખૂબ જ પરેશાન કર્યા હતા. તે મેચમાં ઝહીરે ચાર ઓવરમાં માત્ર 15 રન આપીને બે મહત્વની વિકેટ લીધી હતી. જેના કારણે ભારતને જીતવા માટે જરૂરી ગતિ મળી હતી. તેણે કુલ 17 T20 મેચોમાં ભાગ લીધો હતો અને 2012 T20 વર્લ્ડ કપ દરમિયાન દક્ષિણ આફ્રિકા સામે છેલ્લી મેચ રમી હતી. ઝહીર 2011ની વર્લ્ડ કપ વિજેતા ટીમનો પણ ભાગ હતો. તેણે વર્ષ 2015માં નિવૃત્તિની જાહેરાત કરી હતી. હાલમાં તે IPLની સફળ ફ્રેન્ચાઈઝી મુંબઈ ઈન્ડિયન્સના ડિરેક્ટર છે. આ સાથે તે અલગ-અલગ પ્લેટફોર્મ પર ગેસ્ટ તરીકે ગેમ સાથે જોડાયેલા પોતાના મંતવ્યો શેર કરતો જોવા મળે છે.
અજીત અગરકર
ભૂતપૂર્વ ભારતીય ઝડપી બોલર અજીત અગરકરને પણ ભારતની પ્રથમ T20I શ્રેણીનો ભાગ બનવાની તક મળી. અગરકરે અઢી ઓવર બોલિંગ કરતી વખતે તે મેચમાં 10 રન આપીને બે વિકેટ ઝડપી હતી. તેની એક ઓવર મેઇડન પણ હતી. અગરકર 2007 T20 વર્લ્ડ કપ વિજેતા ટીમનો ભાગ હતો. પરંતુ તેમ છતાં તેણે ભારત માટે માત્ર ચાર T20 મેચ રમી હતી. તેણે ઓક્ટોબર 2013માં તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી. નિવૃત્તિ પછી તેણે કોમેન્ટ્રી શરૂ કરી અને તે એક સારા ક્રિકેટ વિશ્લેષક તરીકે ઓળખાય છે. IPL 2022 માં તેને દિલ્હી કેપિટલ્સ માટે સહાયક કોચ તરીકે નવી જવાબદારી સોંપવામાં આવી છે.
એસ શ્રીસંત
ભૂતપૂર્વ ભારતીય ફાસ્ટ બોલર એસ શ્રીસંતે 2007 T20 વર્લ્ડ કપની ફાઇનલમાં મિસ્બાહ-ઉલ-હકનો કેચ લઈને ભારતને T20 વર્લ્ડ કપ ટ્રોફી તરફ દોરી હતી. તે 2006માં ભારતની પ્રથમ T20 મેચનો પણ ભાગ હતો. તે મેચમાં તેણે ચાર ઓવરમાં 33 રન આપીને એક વિકેટ લીધી હતી. શ્રીસંત 2011 વર્લ્ડ કપ ટીમનો પણ ભાગ હતો. જો કે વર્ષ 2013 માં સ્પોટ ફિક્સિંગના મામલામાં તેના પર ક્રિકેટમાંથી પ્રતિબંધિત કરવામાં આવ્યો હતો, ત્યારબાદ શ્રીસંત આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પરત ફરી શક્યો ન હતો. 39 વર્ષીય શ્રીસંતે આ વર્ષે માર્ચમાં ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. હાલમાં તે રાજકારણમાં પગ જમાવી રહ્યો છે અને તેણે અભિનયમાં પણ હાથ અજમાવ્યો છે. આ સિવાય શ્રીસંત ઘણા રિયાલિટી શોનો પણ ભાગ રહી ચૂક્યો છે.