યુવરાજ ભારતીય ક્રિકેટનો ચેમ્પિયન : ધોની
કોલંબો, 13 સપ્ટેમ્બર : ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ કોલંબોમાં જણાવ્યું હતું કે 'વર્તમાનમાં ભારતીય ટીમનું પ્રદર્શન સારું છે. આ ટીમ ટ્વેન્ટી20 વર્લ્ડ કપમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરશે.' કોલંબોના પ્રવાસમાં ધોનીએ યુવરાજ સિંહના ભરપૂર વખાણ કર્યા હતા અને યુવરાજને ભારતીય ક્રિકેટ ટીમના ચેમ્પિયન ખેલાડી તરીકે ઓળખાવ્યો હતો.
ટ્વેન્ટી20 વર્લ્ડ કપના પ્રવાસમાં ધોનીએ જણાવ્યું કે 'લાંબા સમયે ક્રિકેટમાં પાછા ફરેલા યુવરાજ પૂરા ફોર્મમાં છે. યુવરાજ આપણી ટીમનો ચેમ્પિયન છે અને તેઓ ક્રિકેટમાં પાછા ફર્યા તેનો મને આનંદ છે. ધોનીએ યુવરાજની બેટિંગના વખાણ કર્યા અને જણાવ્યું કે યુવરાજની બેટિંગ ટ્વેન્ટી20 વર્લ્ડકપ માટે મહત્વની ભૂમિકા ભજવશે.'
ધોનીએ બુધવારે કોલંબો પહોંચીને જણાવ્યું હતું કે આપણી ટીમ એકદમ યુવાન છે. ટીમમાં ધણા ખેલાડીઓ ઑલરાઉન્ડરની ભૂમિકા ભજવવા માટે તૈયાર છે. રોહિત, વિરાટ, રૈના, યુવી અને સહેવાગ જેવા અનેક ખેલાડીઓ ટીમમાં છે જે ટ્વેન્ટી20માં એક કે બે ઓવર બોલિંગ કરી મેચનું પાસું પલટાવી શકવાની શક્યતા ધરાવે છે. ભારત ટ્વેન્ટી20ની પહેલી મેચ 19 સપ્ટેમ્બરે અફધાનિસ્તાન સામે રમશે. આ પહેલા સૌની નજર 17 સપ્ટેમ્બરે પાકિસ્તાન સામે યોજાનારી અભ્યાસ મેચમાં હશે.