
ફેન્સની માંગ પર ફરી એક વખત મેદાનમાં ઉતરશે યુવરાજ, ખુદ જાહેરાત કરી!
નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ બેટ્સમેન યુવરાજ સિંહ ફરી એકવાર મેદાન પર ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ કરતા જોવા મળી શકે છે. યુવરાજ સિંહે પોતે મંગળવારે જાહેરાત કરી હતી કે તે 2022માં પીચ પર પરત ફરશે. યુવરાજ નિઃશંકપણે ભારતના શ્રેષ્ઠ ઓલરાઉન્ડરોમાંનો એક છે. તેણે 2011ના વર્લ્ડ કપમાં મેન ઓફ ધ ટુર્નામેન્ટનો ખિતાબ પણ જીત્યો હતો. તેના શાનદાર પ્રદર્શનના કારણે ભારતે ફાઇનલમાં શ્રીલંકાને હરાવીને ટાઇટલ જીત્યું હતું.
વર્લ્ડ કપ દરમિયાન તેને કેન્સર હોવાનું નિદાન થયું હતું, પરંતુ તેણે ટીમ ઈન્ડિયા માટે રમવાનું ચાલુ રાખ્યું હતું. યુવરાજે 40 ટેસ્ટ, 304 ODI અને 58 T20 ઈન્ટરનેશનલમાં 17 સદી અને 71 અડધી સદી સાથે 11,000થી વધુ રન બનાવ્યા છે. આ સિવાય તેણે 2007 T20 વર્લ્ડ કપમાં સ્ટુઅર્ટ બ્રોડની ઓવરમાં છ સિક્સર ફટકારવાનો વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યો હતો.
તેને 2000માં નૈરોબીમાં ICC નોકઆઉટ ટ્રોફીથી ડેબ્યૂ કર્યું અને 17 વર્ષ સુધી રમ્યો. યુવરાજે ભારત માટે છેલ્લી વનડે 30 જૂન 2017ના રોજ નોર્થ સાઉન્ડ ખાતે વેસ્ટ ઈન્ડિઝ સામે રમી હતી. જે બાદ 2019 માં નિવૃત્તિની જાહેરાત કરી હતી. યુવરાજે ઈન્સ્ટાગ્રામ પર 2017માં રમેલી એક ઈનિંગ્સનો વીડિયો અપલોડ કર્યો હતો. જેમાં 2019માં રિલીઝ થયેલી અક્ષય કુમાર સ્ટારર ફિલ્મ કેસરીનું ગીત તેરી મિટ્ટી બેકગ્રાઉન્ડમાં વાગી રહ્યું છે. કટકમાં ઇંગ્લેન્ડ સામે આ ઇનિંગ્સ રમી હતી. તે મેચમાં યુવરાજે 127 બોલમાં 21 ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 150 રન બનાવ્યા હતા. તેને એમએસ ધોની સાથે 256 રનની ભાગીદારી પણ કરી હતી, ધોનીએ પણ 134 રન બનાવ્યા હતા. ભારતે છ વિકેટે 381 રન બનાવીને 15 રનથી મેચ જીતી લીધી હતી. યુવરાજ તેની શાનદાર ઇનિંગ્સ માટે પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો.
યુવરાજે વિડિયોને કેપ્શન આપતા લખ્યું કે, ભગવાન તમારું ભાગ્ય નક્કી કરે છે. ફેન્સની માંગ પર હું આશા રાખું છું કે ફેબ્રુઆરીમાં પિચ પર પાછો આવીશ. તમારા પ્રેમ અને શુભેચ્છાઓ બદલ આભાર મારા માટે ઘણું છે! સમર્થન કરતા રહો - આ અમારી ટીમ છે અને સાચા ફેન્સ મુશ્કેલ સમયમાં તેમનો સાથ આપશે. જો કે, યુવરાજે તે જાહેર કર્યું નથી કે તે કઈ ટૂર્નામેન્ટ રમવાનો છે. પરંતુ એવું માનવામાં આવે છે કે યુવરાજ સચિન તેંડુલકર અને વીરેન્દ્ર સેહવાગ સિવાય અન્ય ખેલાડીઓની જેમ જ રોડ સેફ્ટી સિરીઝ રમશે, જે આવતા વર્ષે રમાશે.
યુવરાજે પોતાની ક્રિકેટ કારકિર્દી દરમિયાન મોતને પણ હરાવ્યું હતું. 2011માં વર્લ્ડ કપ દરમિયાન તેની તબિયત બગડતા ખબર પડી કે તેના ફેફસામાં કેન્સરની ગાંઠ છે. ટીમના ઘણા દિગ્ગજોએ તેને ન રમવાની સલાહ આપી હતી, પરંતુ યુવરાજે બીમારીની પરવા કર્યા વિના દેશ માટે વર્લ્ડ કપ રમ્યો અને જ્યારે ટીમે ટાઈટલ જીત્યું તો સારવાર માટે ક્રિકેટમાંથી બ્રેક લીધો. લાંબા સમય બાદ યુવરાજ સિંહ આ જીવલેણ બીમારીને હરાવીને ફરી એકવાર બધાની સામે આવ્યો હતો. જો કે તે ઘણી વખત ટીમમાં સ્થાન મેળવવામાં ચૂકી ગયો હતો. અંતે યુવરાજે અન્ય લીગમાં રમવા માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો.