ખેડૂતો માટે મોટા સમાચાર, હવે સરકાર આપશે 10 કલાક વીજળી
Agriculture News: ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું છે કે, કિસાનોના હિતને વરેલી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વની રાજ્ય સરકાર દ્વારા સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લામાં ખેડૂતોના મગફળી તેમજ અન્ય ઉભા પાકોને બચાવવા ખેતી માટે ખેતીવાડીના દરેક ગૃપને 10 કલાક વીજળી આપવાનો ખેડૂત હિતલક્ષી મહત્વનો નિર્ણય કર્યો છે.
ઉર્જા મંત્રીએ ઉમેર્યું કે, સામાન્ય રીતે રાજ્યમાં ખેતી માટે ખેતીવાડીના દરેક ગૃપને એક અઠવાડિયે દિવસે અને બીજા અઠવાડિયે રાત્રેની રોટે શન પદ્ધતિથી દરરોજ નિયમિત સમયસર 8 કલાક વીજળી આપવાનો કાર્યક્રમ અમલમાં છે, અને તે રીતે નિર્ધારીત નીતિ મુજબ ખેડૂતોને કૃષિ વિષયક વીજળી માટે સામાન્ય પરિસ્થિતીમાં પ્રતિ દિન સરેરાશ 8 કલાક વીજળી રોટેશનથી આપવામાં આવતી હોય છે.
સૌર ઉત્પાદનને અનુલક્ષીને હાલમાં ખેતીવાડી ક્ષેત્રે લગભગ 75 ટકા થી વધુ સપ્લાય દિવસ દરમિયાન આપવામાં આવે છે. રાજ્યના આશરે 20.10 લાખ ખેતીવાડી ગ્રાહકો પૈકી આશરે 16.01 લાખ ગ્રાહકો ને દિવસ દરમિયાન (એટલે કે સવારે 5 કલાકેથી રાત્રે 9 કલાકમાં) ખેતી વિષયક વીજળી પૂરી પાડવામાં આવે છે.

વરસાદ ખેંચાતો હોય અથવા ઉભા પાકને બચાવવું જરૂરી જણાય તેવા વિવિધ સંજોગોમાં તેમજ ઋતુ પ્રમાણેના ડાંગર, જીરું જેવા પાકને બચાવવા માટે જરૂરિયાત પ્રમાણે કૃષિ વીજગ્રાહકોને પ્રતિ દિન સરેરાશ 8 કલાક ઉપરાંત વધારાના કલાકો માટે વીજપુરવઠો પુરો પાડવામાં આવે છે.
હાલમાં રાજ્યમાં સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારના પીજીવીસીએલના વીજ વિતરણ ક્ષેત્ર હેઠળ આવતા જામ જોધપુર, લાલપુર, માણાવદર, વંથલી, મેંદરડા, કેશોદ, માંગરોલ, માળીયા હટીના તાલુકામાં તેમજ કચ્છ જિલ્લામાં મગફળી તેમજ અન્ય પાકોને બચાવવાના હેતુથી ખેતી માટે ખેતીવાડીના દરેક ગૃપને 10 કલાક વીજળી આપવા અમલવારી કરવાની સૂચના ડિસ્કોમને આપી દેવામાં આવી છે, જેનાથી ખેડૂતોના મહામૂલા ઉભા પાકને જીવતદાન મળ્યું છે.
મંત્રી કનુભાઈ દેસાઈએ ઉમેર્યું હતું કે, તારીખ 27 ઓગસ્ટ, 2024ના રોજ પીજીવી સીએલની મહત્તમ વીજમાંગ 3147 મેગાવોટ અને વીજ વપરાશ 55 મિલિયન યુનિટ્સ હતો, જે હાલમાં તારીખ 23 સપ્ટેમ્બર, 2024ના રોજ વધીને અનુક્રમે 9035 મેગાવોટ અને 154 મિલિયન યુનીટ્સ નોંધાયેલું છે.
આ દર્શાવે છે કે, પીજીવીસીએલની વીજમાંગમાં ઘણો વધારો થયો છે. આવી જ રીતે પીજીવીસીએલની ખેતીવાડી ક્ષેત્રની મહત્તમ વીજમાંગ 187 મેગાવોટ અને વીજ વપરાશ 3 મિલિયન યુનીટ્સ હતો, જે હાલમાં તારીખ 23 સપ્ટેમ્બર, 2024ના રોજ વધીને અનુક્રમે 5820 મેગાવોટ અને 55 મિલિયન યુનીટસ નોંધાયેલા છે. જે પીજીવીસીએલની ખેતીવાડી ક્ષેત્રની વીજમાંગમાં થયેલ વધારો દર્શાવે છે.
તારીખ 27 ઓગસ્ટ 2024 ના રોજ રાજ્યની મહત્તમ વીજમાંગ 12157 મેગાવોટ અને વીજ વપરાશ 269 મિલિયન યુનીટ્સ હતો, જે હાલમાં તારીખ 23 સપ્ટેમ્બર, 2024ના રોજ વધીને અનુક્રમે 24205 મેગાવોટ અને 493 મિલિયન યુનીટસ નોંધાયેલ છે. જે રાજ્યની વીજમાંગમાં થયેલા નોંધપાત્ર વધારો દર્શાવે છે.
ઉભા પાકને બચાવવા જરૂરી જણાય, ત્યારે મોંઘા ભાવના ગેસ એકમોમાંથી, કેન્દ્રીય ક્ષેત્રના જનરેટિંગ સ્ટેશન, એક્સચેન્જ અને રિઅલ ટાઇમ માર્કેટમાંથી મોંઘા ભાવે વીજળીની ખરીદી કરીને પણ ખેતીવાડી ક્ષેત્રે 10 કલાક વીજળી પૂરી પાડવામાં આવે છે.












Click it and Unblock the Notifications
